સુખનો પાસવર્ડ: બોલો, લોકો તમને કેવી રીતે યાદ રાખે એ ગમે?

-આશુ પટેલ
થોડા દિવસો અગાઉ એક યુવાન મને મળવા આવ્યો. એણે હૈયાવરાળ ઠાલવતા કહ્યું, અમારી સોસાયટીમાં એક કાકા છે એમણે બધાના નાકે દમ લાવી દીધો છે. એ કાકાને દરેક વાતે કંઈક ને કંઈક વાંકું પડે છે અને પાડોશીઓને હેરાન કરવાનો એક પણ મોકો એ ચૂકતા નથી…. એ પછી પેલા યુવાને એની સોસાયટીમાં રહેતા તે ઉપદ્રવી વૃદ્ધ માણસ વિશેના ઘણા કિસ્સાઓ કહ્યા. એ કિસ્સાઓ સાંભળીને પણ આપણે અકળાઈ જઈએ તો સ્વાભાવિક રીતે તે યુવાન પોતે ઉપદ્રવી પાડોશીના ત્રાસનો ભોગ બન્યો હતો એટલે એનો ઉકળાટ વધુ અને વાજબી પણ હતો.
એણે મને પૂછયું કે મારે તે પાડોશી વિરુદ્ધ મીડિયામાં આપવું હોય તો શું કરવું જોઈએ? એ એટલો અકળાયેલો હતો કે એ કહે કે હું મીડિયામાં પેલા કાકા વિરુદ્ધ છપાવવા માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છું.!
મેં એને શાંત પાડ્યો ને કહ્યું: ‘એમની સાથે પનારો પડે નહીં એની તકેદારી રાખવાની. બાકી ઘણી સોસાયટીમાં કોઈક એકાદ એવી વ્યક્તિ હોય છે કે જે બીજાઓને હેરાન કરવામાં વિકૃત આનંદ મેળવતી હોય છે…’
મને એ યુવાનની અને એના પાડોશીઓની તો દયા આવી, પરંતુ એણે જે મોટી ઉંમરના વડીલ પાડોશી સામે ઉકળાટ ઠાલવ્યો એ વૃદ્ધની પણ દયા આવી, કારણ કે આવા માણસો પોતે તો અંદરથી જીવન માણતા જ નથી હોતા, પરંતુ બીજા લોકો માટે પણ એ દુ:ખના પાસવર્ડ સમા સાબિત થતા હોય છે.
તમારી આજુબાજુ પણ એવી કોઈક ને કોઈક વ્યક્તિ તમને દેખાશે કે જેને દુનિયામાં કશું સારું દેખાતું જ નથી હોતું. એમને દરેક વાતમાં કંઈક ને કંઈક વાંધો પડતો હોય છે.
વર્ષો અગાઉ મેં એવો એક કિસ્સો જોયો હતો કે જેમાં એક સોસાયટી જર્જરિત થઈ ગઈ હતી. સોસાયટીના બાકીના બધા જ સભ્યો સોસાયટીના રી-ડેવલપમેન્ટ માટે મથી રહ્યા હતા, પરંતુ એક વાયડો સભ્ય આડો ફાટયો હતો અને તેણે વર્ષો સુધી એ સોસાયટીનું રી-ડેવલપમેન્ટ થવા દીધું ન હતું. એ સોસાયટી એટલી જર્જરિત થઈ ચૂકી હતી કે એમાં રહેતા તમામ માણસોના જીવ તાળવે ચોંટેલા રહેતા હતા.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…
તે વાયડા માણસના કુટુંબના સભ્યો પણ એની વિરુદ્ધ હતા પરંતુ એના નામે ફ્લેટ હતો અને એણે વાયડાઈ કરીને વર્ષો સુધી સોસાયટીનું રી-ડેવલપમેન્ટ થવા ન દીધું. સમય જતાં એ માણસનું મૃત્યુ થયું ત્યારે પાડોશીઓ દુ:ખી થવાને બદલે રાજી થયા હતા અને એના કુટુંબના સભ્યો પણ ઉપરછલ્લો શોક દર્શાવતા હતા, પરંતુ અંદરથી તેમણે રાહત નો અનુભવ કર્યો હતો.
આનાથી વિપરીત રીતે દરેક સોસાયટીમાં કોઈક ને કોઈક એવી વ્યક્તિ હોય કે જે ઉત્સાહી હોય. કોઈની તકલીફમાં મદદરૂપ બનવા માટે તૈયાર હોય અને અડધી રાતે પણ કોઈના પર મુશ્કેલી આવી પડે તો તે દોડી જતી હોય.
મારા આવા એક પાડોશી મિત્ર હતા દિનેશ પારેખ. કોઈને પણ મદદરૂપ થવા માટે એ તત્પર રહેતા. એમનું અચાનક મૃત્યુ થયું ત્યારે એમની અંતિમ વિદાય વખતે સોસાયટી ના તમામ લોકો રડ્યા હતા. અંતિમવિધિ વખતે સ્મશાનમાં પણ પાડોશીઓ એમણે કરેલા મદદના કિસ્સાઓ કહી રહ્યા હતા.
સોસાયટીના કોઈ સભ્યના વડીલની મધરાતે તબિયત બગડી હોઈ ને એમને લઇને હોસ્પિટલ પહોંચી જતા હતા અને તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરતા ને સવાર સુધી ખુદ જાગતા હતા.સોસાયટીમાં કોઈ પણ તહેવાર હોય એટલે એ તહેવારની ઉજવણીમાં દિનેશભાઈ મોખરે હોય. નવરાત્રિ કે જન્માષ્ટમી કે હોળી જેવો મોટો તહેવાર આવવાનો હોય ત્યારે દિવસો અગાઉથી એની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય અને પછી તહેવાર દરમિયાન સોસાયટીના લોકોને ખૂબ મજા કરાવે અને પોતે પણ આનંદ માણે.
મોટી ઉંમરના હતા પરંતુ યુવાનોને શરમાવે એવા તરવરાટથી દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા હતા. દશેરાનો દિવસ હોય તો એ ખુદ કાર લઈને બીજા ઉપનગરમાં જઈને ફાફડા અને જલેબી લઈ આવે અને સોસાયટીમાં પોતાના મિત્રો સાથે બેસીને ફાફડા-જલેબીની મહેફિલ માણે અને જેમની સાથે અંગત સંબંધ હોય એમના ઘરે ફાફડા-જલેબી મોકલાવે. આવા કિસ્સાઓ કહેતા-કહેતા પણ પાડોશીઓ રડી રહ્યા હતા.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?
ઘણા માણસો જિંદગીમાં સતત ફરિયાદો જ કરતા હોય છે. દરેક વાતમાં ફરિયાદ કરવાની આદત હોય છે. સતત ફરિયાદ કરતા રહેતા માણસો પ્રત્યે લોકોને પણ અણગમો થઈ જતો હોય છે. એમને કુટુંબના સભ્યો સામે ફરિયાદ હોય, સોસાયટીના સભ્યો સામે ફરિયાદ હોય, સોસાયટીની કમિટી સામે ફરિયાદ હોય, પોતાના શહેર સામે ફરિયાદ હોય, નેતાઓ સામે ફરિયાદ હોય અને દેશની સામે ફરિયાદ હોય ને જ્યાં કોઈ ફરિયાદ કરવાનું કારણ ન હોય ત્યાં પણ એમની પાસે ફરિયાદનું કારણ હાજર હોય.
આવા માણસો પોતે તો અંદરથી દુ:ખી રહેતા જ હોય છે, પરંતુ બીજા લોકોને પણ દુ:ખી કરતા રહે છે. આવી સતત ફરિયાદ કરનારી વ્યક્તિઓ પણ તમે જોઈ હશે. એવી વ્યક્તિ તમારી સામે આવે ત્યારે તમને ભાગી છૂટવાનું મન થતું હશે.
એની સામે મારા પાડોશી દિનેશ પારેખ અને એમના જેવા પરગજુ માણસોને જોઈએ ત્યારે આનંદ થાય કે હજી દુનિયામાં એવા માણસો છે ખરા કે જે બીજાઓને મદદરૂપ બનવા માટે તત્પર હોય છે. મારા પાડોશી મિત્ર દિનેશ પારેખનું મૃત્યુ થયું એ પછી દિવસો સુધી સોસાયટીમાં કોઈ સામસામે મળે તો પણ દિનેશભાઈને યાદ કરીને વાતો કરે કે દિનેશભાઈની ખોટ સાલે છે સોસાયટીમાં કોઈ સમસ્યા આવે ત્યારે પણ આજે બધાને દિનેશભાઈ અચૂક યાદ આવે.
ભીખુદાન ગઢવીની કેસેટ્સ બાળપણમાં ખૂબ સાંભળી છે. ભીખુદાનભાઈના શબ્દો ઘણીવાર યાદ આવે: ‘આણંદો કહે પરમાણંદાને કે માણહે માણહે ફેર. એક લાખ દેતા ન મળે અને બીજા ત્રાંબિયાના તેર.’
માણસે નક્કી કરવું જોઈએ કે મૃત્યુ પછી લોકો તેને કેવી રીતે યાદ કરે એ તેને ગમે? જો તમારા ગયા પછી તમને ઓળખતા માણસોની આંખો ભીંજાય એવું ઈચ્છતા હો તો બીજાઓને મદદરૂપ બનતા શીખવું જોઈએ. બીજાઓના સુખમાં સહભાગી થતા શીખવું જોઈએ અને એ ન કરી શકાય તો બીજાઓને નડવાનું બંધ કરવું જોઈએ.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ -ઃ જાત પર વિશ્વાસ છે તો આખી દુનિયાની સલાહ સામે મક્કમ રહો !