સ્પોટ લાઈટ : કસીનોની કમાલથી ‘અફલાતૂન’ નાટક મળ્યું…

-મહેશ્વરી
કસીનો… લાસ વેગસ… જેમ્સ બોન્ડ… શોખીન માણસની આંખો આંજી દેનારા, એ જ આંખો ચકળવકળ કરી દેનારા પરિબળ. કસીનો એટલે સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો જુગારનો અડ્ડો, પણ વિદેશમાં ‘ગેમ્બલિંગ ફેસિલિટી’ એવું રૂપાળું-સોફિસ્ટિકેટેડ નામ હોય છે. આમ જનતા માટે જુગાર રમવો એ અપલખણ કે બૂરી લત કહેવાય, જ્યારે ગેમ્બલિંગ એ ધનાઢ્ય લોકોનો શોખ, એમની હોબી, મનોરંજન મેળવવાનું ટાઈમપાસ સ્થળ કહેવાય.
નરસિંહ મહેતાની પંક્તિ જેવું: ‘નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય’. જેમ્સ બોન્ડની એકાદ ફિલ્મ મુંબઈમાં જોઈ હતી – ‘ડાયમંડ્સ આર ફોરએવર’ પણ બહુ કંઈ સમજાયું નહોતું. જોકે, બોન્ડ ફિલ્મમાં સમજવાનું કશું ન હોય, માત્ર જોઈને આંખો ઠારવાની હોય એવું મને કહેવામાં આવ્યું હતું. યુએસએમાં લાસ વેગસ વર્લ્ડ કેપિટલ ઓફ ગેમ્બલિંગ તરીકે પ્રખ્યાત છે અને એની તો ફક્ત વાતો સાંભળેલી. જોકે, એક દિવસ હું પોતે કસીનોના સ્લોટ મશીનમાં નસીબ અજમાવતી હોઈશ એવું મેં સપનેય નહોતું વિચાર્યું.
હું જુગાર ક્યારેય નથી રમી, એના માટે રુચિ પણ નહીં. હા, જિંદગી પણ એક જુગાર જ છે અને બધા એમાં દાવ લગાવે છે એ વાત જુદી છે. કોઈના પાસા ક્યારેક અવળા પડે તો ક્યારેક સવળા. આ અવળા-સવળાનો ખેલ મેં ખૂબ અનુભવ્યો છે. અલબત્ત અહીં તો સ્થૂળ જુગારની વાત હતી. સન સિટીના કસીનોમાં દાખલ થતાં જ સ્લોટ મશીનોમાંથી થતા પૈસાનો ખણખણાટ સાંભળી અવિનાશ વ્યાસના પેલા મજેદાર ગીત ‘તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું’ની જેમ મારું મન પણ નસીબ અજમાવવા લલચાઈ ગયું.
કસીનોમાં ગેમ્બલિંગ કેમ કરાય એ સમજતા મને વાર ન લાગી અને મેં સ્લોટ મશીનમાં સિક્કા નાખવાનું શરૂ કર્યું. હું જે દાવ અજમાવતી ગઈ એ બધા સવળા પડી રહ્યા હતા અને થોડીવારમાં તો મને બહુ બધા સિક્કા મળી ગયા. મારી આંખો તો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કાંતિ મડિયાનાં પત્ની નીતિન બહેને ભાગ્ય દેવીનું મારા પર કેવું વહાલ ઉભરાયું હતું એ જોયું અને એમની આંખો પણ પહોળી થઈ ગઈ. ’મહેશ્વરી, આ તો મિડાસ ટચ જેવું થઈ રહ્યું છે તારી સાથે’ તેમણે મને કહ્યું. ગ્રીક દંતકથામાં મિડાસ નામના રાજાની વાર્તા હતી. એ જેને પણ સ્પર્શ કરે એ બધું સોનું બની જાય એવું વરદાન તેને મળ્યું હતું. એના પરથી કોઈ વ્યક્તિના દરેક પ્રયાસે સફળતા મળે એને માટે ’મિડાસ ટચ’ એવો શબ્દપ્રયોગ વપરાય છે.
નસીબના ખેલનો આનંદ હું ઉઠાવી રહી હતી ત્યાં મને નીતિન બહેનનો અવાજ સંભળાયો કે ‘આ વખતે તમે મહેશ્વરી બહેનને જ લો, કારણ કે એમના નસીબ હમણાં પાધરા ચાલી રહ્યા છે.’ વાત તો મારી જ થઈ રહી હતી, પણ કોની સાથે એ મને ખબર ન પડી. કસીનોના ખેલ પત્યા પછી નીતિન બહેને મને કહ્યું કે ‘આશિષ ત્રિવેદીનો ફોન આવ્યો હતો. નીરજ વોરા, મિહિર ભુતા, મનોજ જોશી અને બીજા કેટલાક લોકો ભેગા મળી નાટકનું આયોજન કરી રહ્યા હતા.’ નીતિન બહેનનું કહેવું હતું કે આ વખતે મને લેવી જોઈએ કારણ કે મારું લક સારું ચાલી રહ્યું છે. ફિલ્મ દુનિયાની જેમ નાટકની દુનિયામાં પણ પુરુષાર્થ સાથે પ્રારબ્ધમાં લોકો માનતા હોય છે.
કાંતિ મડિયા સાથે આશરે ત્રણેક મહિનાનો નાટ્ય પ્રવાસ ખેડી અમારો કાફલો મુંબઈ પાછો ફર્યો. આ પ્રવાસ જીવનનું એક સંભારણું છે. લોકોના પ્રેમ – લાગણી, આફ્રિકાની ભૂમિનું સૌંદર્ય, કસીનોની કમાલની સાથે સાથે અન્ય કલાકારોનો સહવાસ અને કાંતિ ભાઈના માર્ગદર્શનમાં બીજું પણ ઘણું શીખવા મળ્યું. આવી નાટ્ય સફરમાં આર્થિક મૂડીની સાથે સાથે અનુભવની મૂડી પણ બંધાય છે. આર્થિક મૂડી તો ખર્ચાઈ જાય, પણ પેલી અનુભવની મૂડી આજીવન સાથે રહે ને જીવન વિકાસમાં કાયમ મદદરૂપ થાય.
મુંબઈ પહોંચી એટલે આશિષે તરત મારો કોન્ટેક્ટ કર્યો. ‘નીતિન બહેને કહ્યું છે કે આ વખતે તમારી સાથે નાટક કરવાનું છે’ એમ તેણે મને કહ્યું. હું હસી પડી. નસીબ, ભાગ્ય, લક કેવા કેવા ખેલ બતાવે છે. કસીનોમાં સ્લોટ મશીનમાં થોડાક સમય માટે તકદીરે મારા પર હેત વરસાવ્યું અને એને કારણે મને એક નવા નાટકમાં કામ કરવાનો ચાન્સ મળ્યો.
એ નાટકનું નામ હતું ‘અફલાતૂન’. મિહિર ભુતા અને નીરજ વોરાએ સાથે મળી એ નાટક લખ્યું હતું એવું મને યાદ છે. આ જ નાટક પરથી રોહિત શેટ્ટીએ ‘ગોલમાલ’ ફિલ્મ બનાવી હતી એવું પણ સાંભળવા મળ્યું હતું. નાટકનો ડિરેક્ટર હતો નીરજ વોરા જેણે સરસ મજાની કોમેડી ફિલ્મ ‘ફિર હેર ફેર’ ડિરેક્ટ કરી હતી. એના રિહર્સલમાં હું વ્યસ્ત થઈ ગઈ.
નાટકની વાત આગળ કહેવા પહેલા આફ્રિકાના એક સ્મરણપટ પર અંકિત થઈ ગયેલા પ્રસંગની વાત તમારી સાથે શેર કરવી છે. સાઉથ આફ્રિકામાં કિમ્બર્લી નામનું એક શહેર છે. દુનિયાભરના વેપારી વર્ગમાં અને વિશેષ કરી ગુજરાતી વેપારીઓમાં આ શહેર જાણીતું છે, કારણ કે ડાયમંડ માઇનિંગ સેન્ટર-હીરાની ખાણના પ્રદેશ તરીકે પ્રચલિત હતું. હરવા ફરવા દરમિયાન કિમ્બર્લી જવાનો મોકો પણ મળ્યો. અહીં એક મશીન હતું જેમાં એક તરફથી ધાતુ સ્વરૂપમાં સોનું નાખવામાં આવે અને અંદર એના પર પ્રક્રિયા થઈ એ જ સોનું ઈંટ સ્વરૂપે-બ્રિક ફોર્મમાં બહાર આવે.
દરેક ઈંટ 16 કિલોની. ઘણા લોકો આ જોવા આવતા અને મહિલાઓની સંખ્યા વધુ કેમ રહેતી એ મારે સમજાવવાની જરૂર ખરી? એક આશ્ર્ચર્યજનક વાત એ જાણવા મળી કે જોવા આવનારા લોકોમાંથી જે વ્યક્તિ એ સોનાની ઈંટ ઉપાડી બતાવે એ ઈંટ એને આપી દેવામાં આવે. ફ્રીમાં ઈંટ મળવાનું ગાજર દેખાડ્યું હોવાથી મોટાભાગના સહેલાણીઓ એ ઈંટ ઉપાડવાની કોશિશ કરતા, પણ કોઈને સફળતા નહોતી મળતી. મને સુધ્ધાં ઈચ્છા થઈ. મેં કોશિશ કરી, ઈંટ થોડી ઊંચકાઈ પણ પાછી જમીન પર પડી ગઈ. આવું કેમ થયું એના અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યા, પણ સોનું ભાવમાં મોંઘું એમ વજનદાર ધાતુ તરીકે પણ જાણીતી છે. કિમ્બર્લીનો આ સોનેરી અનુભવ યાદગાર રહ્યો.
ત્રિકમ નટનાં મશહૂર સ્ત્રી પાત્રો: સુરભિ-સંયુક્તા ને લુત્ફુન્નિસા
નંદશંકર તુળજાશંકર મહેતાની ‘કરણઘેલો’ (1866)થી નવલકથા પ્રકારનો ગુજરાતીમાં વિસ્તાર થયો એવું માનવામાં આવે છે. એના બીજા જ વર્ષે એટલે કે 1877માં ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ પ્રકાશિત થઈ હતી. નવલકથાનો આશય કેવળ પ્રેમકથા ન રહેતા સંસ્કૃતિ કથા બની એનો ચાર ભાગમાં વિસ્તાર થયો હતો. આ આવકારદાયક નવલકથાનું નાટ્ય સંસ્કરણ બનતા બીજા 35 વર્ષ લાગી ગયા.
અમદાવાદ ગુજરાતી નાટક કંપની માટેના ‘માધવ વિલાસ’થી નાટ્ય લેખનનો પ્રારંભ કરનારા રંગભૂમિના પ્રસિદ્ધ નાટ્યકાર છોટાલાલ રૂખદેવ શર્માએ 1912માં ‘સરસ્વતીચંદ્ર’ને નાટ્યદેહ આપ્યો હતો. એ જ વર્ષે સુરતમાં ભજવાયું હતું. નવા નવા વિષય લઈ નાટક લખવાનો ચીલો પડ્યો અને માત્ર 40 વર્ષના અલ્પ આયુષ્યમાં નૃસિંહ વિભાકર નામના લેખકે એમાં માતબર યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમનું પહેલું નાટક હતું ‘સિદ્ધાર્થ બુદ્ધ’. 1914માં આર્ય નૈતિક નાટક મંડળીએ એ ભજવ્યું હતું.
જોકે, નાટકમાં વ્યક્ત થયેલા પ્રગતિશીલ વિચારો જનતાએ સ્વીકાર્યા નહીં. ત્યારબાદ ‘મધુબંસરી’, ‘મેઘમાલિની’ અને ‘સ્નેહ સરિતા’ જેવા નાટકોમાં પ્રયોગો કર્યા પણ રંગભૂમિની કાયાપલટ કરવાનો તેમનો મનસૂબો પાર ન પડ્યો. એ સમયે પ્રભુલાલ દ્વિવેદીના ‘માલવપતિ મુંજ’ નાટકમાં ત્રિકમ નામના નટએ સુરભિ નામનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રને અફાટ લોકપ્રિયતા મળી અને અન્ય ઉદાહરણની જેમ ‘સુરભિ’ એમનું બિરુદ, એમની ઓળખાણ બની ગયું. ત્યારબાદ ‘પૃથ્વીરાજ’ નાટકમાં ‘સંયુક્તા’ ‘સિરાજુદૌલા’ માં ‘લુત્ફુન્નિસા’ ત્રિકમ નટએ બે નારી પાત્ર ભજવ્યાં. પ્રભુલાલ દ્વિવેદીના ‘સંસાર સાગર’ના ગીત ‘જવાની રાતે રિસાઈ બેઠા, મળવા ગઈ તો કહે કે ઊંહું. પૂછ્યું મેં: ‘છે કંઈ ગુનો અમારો?’ કહો ને કંઈ ? તો કહે કે ઊંહું!’ ને નાટ્ય રસિકોએ ગળે વળગાડ્યું અને એમના અભિનયની પ્રશંસા થઈ.
આપણ વાંચો : સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!