સ્પોટ લાઈટ : ડાયલોગનું રિહર્સલ ઊડતા વિમાનમાં

- મહેશ્વરી
ગુજરાતી નાટ્ય સૃષ્ટિમાં ત્રિવેદી પરિવારનું યોગદાન અનન્ય અને અમૂલ્ય છે. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને એમના ભાઈ અરવિંદ ત્રિવેદીની કારકિર્દી રંગભૂમિના ઈતિહાસનું બેજોડ સંભારણું છે. આ બે ભાઈઓ ઉપરાંત કૌસ્તુભ ત્રિવેદી અને આશિષ ત્રિવેદીએ પણ રંગભૂમિના ઘડતરમાં યથાશક્તિ ફાળો આપ્યો છે.
તાજેતરમાં કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન થયું અને રંગભૂમિએ એક નિષ્ઠાવાન અને પ્રયોગશીલ નાટ્યકર્મી ગુમાવ્યો. અલબત્ત કૌસ્તુભ ત્રિવેદી જેવી વ્યક્તિ આપણી વચ્ચેથી કેવળ સદેહે જ વિદાય થાય. એમનું યોગદાન રંગભૂમિની જણસ છે.
મને જાણીને આનંદ એ વાતનો થયો કે ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેના સહ નિર્મિત નાટકની જાહેરખબરમાં કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત એવો ઉલ્લેખ છે. એ વાંચીને મન હરખાઈ ગયું. રંગભૂમિ પર કૌસ્તુભ જે કંઈ નવા પ્રયોગો કરવા ધારતો હતો એ પૂરા કરવાની કોશિશ થઈ રહી છે એ રંગભૂમિ માટે ગર્વ લેવા જેવી વાત છે.
મારું મરાઠી નાટક જોઈ ઉપેન્દ્રભાઈએ મને એમની સાથે કામ કરવા બોલાવી હતી એનો ઉલ્લેખ મેં આ લેખમાળાના પ્રારંભમાં કર્યો હતો. કોઈ કારણસર હું એમને મળવા ન જઈ શકી અને એમની સાથે કામ કરવાનો મોકો ગુમાવ્યો એનો વસવસો મને કાયમ રહ્યો છે.
જોકે, એમના પુત્ર આશિષ ત્રિવેદી સાથે ‘અફલાતૂન’ નાટકમાં કામ કરવાની તક મળી અને અનુભવ ઘણો સારો રહ્યો. મને જ્યારે અમેરિકાની ઓફર મળી ત્યારે આશિષે જે સહજતાથી ‘જાવ બહેન, અમેરિકા. તમને એક સારી તક મળી રહી છે એનો લાભ ઉઠાવો. મારી શુભેચ્છા છે’ કહ્યું એ મને સ્પર્શી ગયું. ચાલી રહેલા સફળ નાટકનો નિર્માતા કલાકારને નાટક છોડવા ઝટ મંજૂરી આપે નહીં. આશિષ રિપ્લેસમેન્ટ સાથે નાટક કરવા તૈયાર હતો.
મેં અમેરિકાના પ્રવાસે જવાની તૈયારી શરૂ કરી દીધી. ‘અફલાતૂન’ના શો ચાલી રહ્યા હતા એની સાથે એ નવા નાટકના રિહર્સલ પણ શરૂ થઈ ગયા. અમેરિકા માટે મને જૂની રંગભૂમિનું સદાબહાર નાટક ‘પૈસો બોલે છે’ નાટકની ઓફર આવી હતી. નંદલાલ શાહના આ નાટકના સળંગ 514 પ્રયોગ થયા હતા.
નાટકે ગુજરાતી રંગભૂમિ પર નવો વિક્રમ સર્જ્યો. જૂની રંગભૂમિના દિગ્દર્શકોમાં નંદલાલ ભાઈનું મહત્ત્વનું સ્થાન છે. ફિલ્મના કહેવાતા આક્રમણ છતાં જૂની રંગભૂમિનાં કેટલાંક નાટકો છેક 1970 સુધી લોકપ્રિય હતાં. ‘
પૈસો બોલે છે’ એનો પ્રભાવી પુરાવો હતો. ‘પૈસો બોલે છે’માં છપ્પા (છ પદ ચરણ કે પંક્તિઓની રચના) બોલવાની બધા કલાકારને બહુ મજા આવતી હતી. છપ્પા પ્રેક્ષકોને એ હદે પ્રિય હતા કે કલાકાર એના છેલ્લા શબ્દો બોલે જ નહીં, પ્રેક્ષકો કોરસમાં બોલે ને ગજબના હરખાય. નાટક અને પ્રેક્ષક વચ્ચે એવો ગજબનો તાલમેલ હતો.
જોકે, ‘પૈસો બોલે છે’ની ટીમ અમેરિકા જવા ઊપડે એ પહેલા એક અણધારી ઘટના બની. અમે બધાએ યુએસના વિઝા માટે અરજી કરી હતી. ઈન્ટરવ્યૂના દિવસે હીરોનો રોલ કરતા પારસી અભિનેતાને જ પહેલા બોલાવ્યો અને એના જ વિઝા નામંજૂર થઈ ગયા. ભૂતકાળમાં તેણે મોડલિંગ કર્યું હતું એના ફોટોગ્રાફ્સ બતાવ્યા એ કારણસર એને વિઝા ન મળ્યા એવી વાતો ત્યારે થઈ હતી.
અમે બધા વિમાસણમાં મુકાઈ ગયા કે હવે શું કરવું? શો મસ્ટ ગો ઓન એ વણલખ્યો નિયમ છે. સદનસીબે એનો તોડ બહુ જલદી નીકળી ગયો. મહેશ ઉદેશી નામના એક કલાકાર હતા અને એમની પાસે વિઝા હતા. એટલે એમની પસંદગી કરવામાં આવી. જવાની તારીખ નજીક હોવાથી મહેશભાઈ સાથે રિહર્સલ કરવા માટે સમય નહોતો.
વળી જે દિવસે અમે યુએસ પહોંચવાના હતા એ જ દિવસે શો પણ હતો. એટલે તૈયારી માટે સમય નહોતો. હું નાટકની હીરોઈન હતી. એ સમયે અમેરિકા પહોંચતા ત્રીસેક કલાક થતા હતા. એટલે પ્લેનમાં બેઠા બેઠા મેં અને કમલેશ મોતાએ મળી મહેશભાઈને ડાયલોગ તૈયાર કરાવ્યા. વિમાનમાં સંવાદનું રિહર્સલ થયું હોય એવી કમાલ ગુજરાતી રંગભૂમિમાં જોવા મળી.
વિમાન મુસાફરી દરમિયાન મુકેશ ઉદેશીએ મને પૂછયું કે ‘મેં સાંભળ્યું છે કે નાટકના લોકો અફલાતૂન-અફલાતૂન કરી તમારી ટીખળ કરે છે. શું આ વાત સાચી છે? અને સાચી હોય તો આવું સંબોધન કરવાનું કારણ શું?’ એમની વાત સાંભળી હું હસી પડી અને નજીકના ભૂતકાળમાં સરી ગઈ.
વાત એમ હતી કે ‘અફલાતૂન’ નાટકના શરૂઆતના શો દરમિયાન નીરજ વોરાએ મારો ડાન્સનો નવો સીન ઉમેર્યો હતો એનો વિસ્તાર કરવામાં આવ્યો. એમાં ગીત પણ ઉમેરાયું અને ગીત સીન કરતાં વધુ લોકપ્રિય થયું હતું. દર્શકોને એ હદે એ પસંદ પડ્યું હતું કે અનેક નાટ્ય રસિકો માત્ર એ ગીત જોવા-સાંભળવા માટે નાટક જોવા આવતા હતા. એ ડાન્સ અને ગીત માટે નાટકને રિપીટ ઓડિયન્સ મળ્યું હતું, એટલે બધા ‘અફલાતૂન અફલાતૂન’ કહીને મને ચીડવતા હતા.
જોકે, એનાથી મને આનંદ થતો હતો. શેર લોહી ચડતું હતું. મુકેશભાઈ આ વાત સાંભળી ખડખડાટ હસી પડ્યા હતા. અને અમેરિકા ઊપડવાનો દિવસ આવી ગયો. જોકે, એ સમયે એક એવો નિયમ હતો કે નાટકની ટુર વિદેશ જવા ઊપડે એ પહેલા એમ્બેસીમાં એકાદ બે સીનનો પરફોર્મન્સ કરાવે. અલબત્ત વિદેશીઓને કશું સમજાય નહીં પણ ટ્રાન્સલેશન કરનારી વ્યક્તિ એમને નાટકનું હાર્દ સમજાવી દે અને પછી ગ્રીન સિગ્નલ મળી જાય. આજે આ વાત જાણી કદાચ હસવું આવી શકે, પણ આવા નિયમો સુધ્ધાંહતા.
‘એક જ ભૂલ’: કોર્ટરૂમ ડ્રામા
જૂની રંગભૂમિ પર વિલિયમ શેક્સપિયરનાં નાટકોનો આધાર લઈ નવા નાટક લખવામાં આવતા હતા તેમજ રૂપાંતરના પ્રયોગો સુધ્ધાં કરવામાં આવતા. નાટ્ય રસિકોને સતત કશુંક અવનવું મળતું રહે એ માટે આ કોશિશ હતી.
શેક્સપિયર ઉપરાંત આલ્ફ્રેડ હિચકોકની થ્રિલર ફિલ્મો અને આગાથા ક્રિસ્ટીની મર્ડર મિસ્ટ્રી નોવેલ પરથી પણ ગુજરાતી નાટકો અવતર્યા છે. આ સિવાય કોર્ટરૂમ ડ્રામાના નાટ્ય સંસ્કરણ પણ થયા હતા.
આ પણ વાંચો મિજાજ મસ્તી : સમજનેવાલે સમજ ગયે, ના સમજે વો ‘અનાડી’ હૈ…
‘એક જ ભૂલ’ કોર્ટરૂમ ડ્રામા અને એમાં રહસ્યનું ગૂંથાયેલું જાળું દર્શકોને આકર્ષિત કરતું હતું. ધનનો વરસાદ વરસાવનાર રહસ્યસભર નાટક ‘એક જ ભૂલ’નું કથાવસ્તુ મૂળ જર્મન કથામાંથી પ્રેરણા લઈ આકાર પામ્યું હતું. ચં. ચી. મહેતા સહિત અનેક નાટ્યકર્મીઓનું માનવું હતું કે સમય અનુસાર થોડા ફેરફાર કરીને જો ભજવવામાં આવે તો ચોક્કસ એ નાટક બોક્સ ઓફિસ પર હિટ જાય.
જોકે, એ સસ્પેન્સ નાટકની સ્ક્રિપ્ટ ગેરવલ્લે થઈ ગઈ હતી. બેદરકારીને કારણે અનેક નાટ્ય પ્રેમીઓ એક ઉમદા નાટકથી વંચિત રહી ગયા. સસ્પેન્સ નાટક હોવા છતાં ‘એક જ ભૂલ’નાં ગીતોને પણ ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. લોકોની જીભે ચડી ગયેલું એક ગીત હતું: ‘આપણે કરીશું વકીલાત ત્યારે ભરશે કોણ પાણી?, પછી ધણી, ધણિયાણી થઈ મ્હાલશે રે બા! આપણે પહેરશું પાટલૂન-બૂટ-કોટ-નેકટાઈ, પછી ધણી સેંથી, ટપકી પાડી નાચશે રે બા!’