ઉત્સવ

સ્પોટ લાઈટ : દીકરી જ માની પીડા ભૂલી જાય ત્યારે…

-મહેશ્વરી

મંગળવારે જેઠ સુદ પૂનમ છે. આ દિવસે પરણેલી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે તેમ જ ઘર – પરિવારની સુખ – સમૃદ્ધિ માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. મેં પોતે ક્યારેય આ વ્રત નથી રાખ્યું, પણ ઘણી મહિલાઓને ભક્તિભાવથી વટ સાવિત્રીનું વ્રત કરતા જોઈ છે. એમની શ્રદ્ધા અને સમપર્ણને સલામ. કોલમ લખતી વખતે કોઈનો ફોન આવ્યો ત્યારે વાતચીતમાં આ વ્રતનો ઉલ્લેખ થયો અને ભાંગવાડી થિયેટરના દિવસોમાં એક વયસ્ક કલાકારે એક નાટકમાં વટ સાવિત્રીના વ્રતનો કરેલો ઉલ્લેખ મને યાદ આવી ગયો.

મુંબઈમાં રંગભૂમિ સાથે પારસીઓ જોડાયા હતા એ જ સમયકાળમાં સૌરાષ્ટ્રમાં શ્રી આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના થઈ હતી. મોરબીના વાઘજી આશારામ ઓઝા અને મૂળજી આશારામ ઓઝા નામના બે ભાઈઓએ સાથે મળી આ નાટક કંપની શરૂ કરી હતી. વાઘજીભાઈ પોતે નાટક લખતા. તેમણે લખેલા પાંચ અંકી નાટક ‘ભર્તૃહરિ’ને અફાટ લોકપ્રિયતા મળી હતી. ‘આર્ય સુબોધ નાટક મંડળી’ એ કવિ ચિત્રકાર ફુલચંદ માસ્તરના ‘મહાસતી અનસૂયા’ લખાવ્યું અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના ‘બુદ્ધદેવ’ નાટકની ભજવણી કરી હતી. મંડળીના ‘ચંદ્રહાસ’ નાટકનો એક ગરબો ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો: વટસાવિત્રી વ્રત આજ પૂરણ કરીએ રે; થશે પૂજન વડનું આજ સહિયર સંગે રે!

કસીનોમાં ચમકેલા નસીબને કારણે મને ‘અફલાતૂન’ નાટક મળ્યું એની વાત મેં ગયા હપ્તામાં કરી હતી. શુકન – અપશુકન અંગેની માન્યતા ફિલ્મોની જેમ નાટ્ય દુનિયામાં પણ વર્ષોથી જોવા મળી છે. જોકે, હું મુંબઈ પહોંચું એ પહેલા મને આંચકો આપનારી, હલબલાવી નાખનારી એક ઘટના બની. વાત એમ હતી કે હું આફ્રિકા જવા નીકળી ત્યારે મારા ઘરમાં મારી મોટી દીકરી ચેરી એના બાળક અને પતિ સાથે રહેવા આવી ગઈ હતી. ચેરીને ઘર ગોતવાની કડાકૂટમાંથી રાહત મળે અને મારા દીકરા શાંગ્રિલનું ધ્યાન પણ એ રાખે એ હેતુસર આ ગોઠવણ મેં કરી હતી.

આફ્રિકામાં નાટકના બધા શો પતાવી અમે હરી ફરી રહ્યા હતા અને થોડું ઘણું શોપિંગ કરવાનો આનંદ લઈ રહ્યા હતા. એક દિવસ હું બહારથી પાછી ફરી ત્યારે હું જે જગ્યાએ રહેતી હતી એ પટેલ પરિવારના શ્રીમતીએ મને કહ્યું કે ‘મુંબઈથી તમારી દીકરીનો ફોન આવવાનો છે. મને સહેજ ધ્રાસકો પડ્યો. ચેરી કોઈ મુશ્કેલીમાં મુકાઈ હશે? એનું બાળક સાજું માંદું થયું હશે? મારા દીકરા શાંગ્રિલે કંઈ કર્યું હશે?’ વિચારો કેડો નહોતા મુકતા. એવામાં ફોનની ઘંટડી વાગી અને સહેજ ધ્રુજતા અવાજે હું બોલી કે ‘બોલ ચેરી, શું થયું?’ આ સવાલનો ચેરીએ આપેલો જવાબ સાંભળી મારો નિસ્તેજ થયેલો ચહેરો જોઈ મિસિસ પટેલ પણ સહેજ ગભરાઈ ગયા. મેં ફોન મૂક્યો એટલે ‘કેમ બહેન, કોઈ પ્રોબ્લેમ?’ મેં તરત એમનો હાથ હાથમાં લઈ કહ્યું ‘ના, બહેન ચિંતાની કોઈ વાત નથી.’

જોકે, વાત ચિંતાની હતી, આંચકો આપનારી હતી, પણ મિસિસ પટેલ સાથે શેર કરવા જેવી નહોતી. ચેરીએ ફોનમાં કહ્યું કે ‘હું જ્યારથી અહીં રહેવા આવી છું ત્યારથી માસ્તર અને એમના પરિવારને પણ મારી પાસે બોલાવી લીધા છે.’ માસ્તર, ચંદ્રકાન્ત માસ્તર, મારા પતિ જેમની સાથે જોગેશ્વરીમાં મેં સંસાર માંડ્યો હતો અને એક દિવસ મેં જ ઊભું કરેલું ઘર એમને કારણે છોડી ખાલી હાથે મારે નીકળી જવું પડ્યું એ જ માસ્તરને મારી દીકરીએ ઘરમાં રહેવા બોલાવ્યા હતા. જરાય ખોટું નહીં બોલું, પણ મને એ જરાય નહોતું ગમ્યું. પણ, હું કંઈ કરી શકું એમ નહોતી. તે આવું કેમ કર્યું એમ પણ મેં ચેરીને પૂછ્યું નહીં. જોકે, મને એક વાતનું દુ:ખ થયું કે ભૂતકાળમાં માસ્તરે મને જે પીડા આપી હતી, જે હદે મારી હેરાનગતિ કરી હતી એ બધું જાણતી હોવા છતાં ચેરીએ કેમ માસ્તરને ભાવભીનું આમંત્રણ આપી સાથે રહેવા બોલાવ્યા? આ સવાલનો જવાબ મારી પાસે નહોતો.

મુંબઈ આવવા માટે વિમાને ટેક ઓફ કરતાંની સાથે મારું મન તરત પહોંચી ગયું મુંબઈ. ઘરે જઈ માસ્તરના પરિવારનો સામનો કરવાનો, એમની સાથે રહેવાનું… આ બધી બાબત મને અસ્વસ્થ કરનારી હતી. જોકે, હું ઘરે પહોંચી ત્યારે માસ્તર અને એમનો પરિવાર જતો રહ્યો હતો. હું આવું એ પહેલા ચેરીએ જ એમને રવાના કરી દીધા હશે એવું મારું માનવું હતું. જોકે, જે થયું એ સારું જ થયું. હાશકારો અનુભવ્યો.

ત્રણ મહિનાના આફ્રિકાના પ્રવાસ પછી તરત રૂટિનમાં ગોઠવાઈ ગઈ. નિરાંત લેવાનો તો સમય જ નહોતો મારી પાસે, કારણ કે ‘અફલાતૂન’ નાટકના રિહર્સલમાં જોડાઈ જવાનું હતું. પરેશ રાવલ, મનોજ જોશી અને બીજા બધા કલાકાર પણ નિયમિત આવતા હતા. જોકે, મને નવાઈ એ વાતની લાગી કે નાટકની સ્ક્રિપ્ટ તૈયાર નહોતી. આવા મહારથીઓ કામ કરી રહ્યા હોય ત્યારે સ્ક્રિપ્ટ તૈયાર ન હોય એ વાત મગજમાં બેસે એવી નહોતી, પણ એ વાસ્તવિકતા હતી. રિહર્સલ હોય ત્યારે અમુક સીન લખાઈને આવે અને એટલા રિહર્સલ થાય. હું અને હેમંત ઝા નાટકના મુખ્ય કલાકાર. નાટકનો ભાર અમારા બંનેના ખભા પર હતો. પણ ધીરે ધીરે નાટક આગળ વધી રહ્યું હતું અને એમ કરતા કરતા નાટક ઓપન થવાનો દિવસ આવી પહોંચ્યો.

નાટકનો પહેલો શો ભવન્સ, ચોપાટીમાં રાખ્યો હતો. ઓપનિંગ હતું એટલે હું થિયેટર પર થોડી વહેલી પહોંચી ગઈ. મારી ઈચ્છા ભાઉ સાહેબ – ગિરેશ દેસાઈને મળવાની હતી. કેટલાક વર્ષ પહેલા જૂની રંગભૂમિનું નાટક કરવાની તેમને અદમ્ય ઈચ્છા થઈ હતી ત્યારનો એમની સાથે પરિચય. બહુ જ મળતાવડા સ્વભાવના. એમની સાથે વાત કરવામાં મજા પડે અને કશુંક શીખવા મળે એ છોગામાં. હું તો ગઈ એમની પાસે અને અમે જૂની સ્મૃતિઓ વાગોળી રહ્યા હતા ત્યાં નીરજ વોરા આવ્યો. નીરજ નાટકનું ડિરેક્શન કરતો હતો અને એમાં એક્ટિંગ પણ કરતો હતો. આવીને મને કહેવા લાગ્યો કે ‘મહેશ્વરી બહેન, તમારા સીનમાં એક ડાન્સ રાખીએ…’ હું સહેજ ચોંકી ગઈ, કારણ કે રિહર્સલ વખતે આવી કોઈ વાત નહોતી થઈ. જોકે, નીરજ વોરા સ્ફુરણાનો માણસ હતો. એને સતત નવું નવું સુઝયા કરે અને યોગ્ય લાગે તો એ નાટકમાં ઉમેર્યા કરે. મેં હા પાડી અને એની પાસેથી 10 મિનિટમાં જ સીન સમજી લીધો.

મોટા ત્ર્યંબક ને નાના ત્ર્યંબક
19મી સદીના અંત ભાગમાં અને વીસમી સદીના પ્રારંભમાં સૌરાષ્ટ્રમાં અનેક નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી. લોકોમાં નાટકો માટે રુચિ કેળવાઈ રહી હતી. આ મંડળીઓમાં ‘વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી’, ‘દ્વારકા નૌતમ નાટક મંડળી’, ‘હળવદ સત્ય સુબોધ નાટક મંડળી’ વગેરે પ્રમુખ હતી. ઓગણીસમી સદીના છેલ્લાં 25 વર્ષમાં સાત નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. ‘આર્ય નૈતિક નાટક સમાજ’, ‘નાટક ઉત્તેજક મંડળી’, ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’, ‘શ્રી રોયલ નાટક સમાજ’, ‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’, ‘શ્રી દેશી નાટક સમાજ’ અને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’. ‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ની સ્થાપના મોટા ત્ર્યંબક (ત્ર્યંબકલાલ દેવશંકર રાવલ) અને નાના ત્ર્યંબક (ત્ર્યંબકલાલ રામચંદ્ર ત્રવાડી)એ કરી હતી. આ કંપનીને લેખક તરીકે કવિ નથુરામ મળ્યા હતા. દિવાળી નિમિત્તે ભજવાયેલું કવિ નથુરામ સુંદરજી શુક્લનું નાટક ‘નરસિંહ મહેતા’ આ કંપનીનું અવ્વલ દરજ્જાનું નાટક બની રહ્યું. ‘નરસિંહ મહેતા’ નાટકને ભરપૂર લોકપ્રિયતા મળી હતી. નાના ત્ર્યંબક તરીકે નામના મેળવનારા અભિનેતાએ નરસિંહનું પાત્ર ભજવી રસિકોની દાદ મેળવી હતી. ગાયકી પર એમની સારી હથોટી હતી. ત્યારબાદ ઐતિહાસિક નાટક ‘શૂરવીર શિવાજી’ રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકને પણ એટલી જ પ્રસિદ્ધિ મળી હતી. આ બધી નાટક કંપનીઓમાં સૌથી લાંબું આયુષ્ય ‘શ્રી દેશી નાટક સમાજ’ કંપનીએ ભોગવ્યું હતું.

આપણ વાંચો : સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button