ઉત્સવ

સુખનો પાસવર્ડ : યાદ રાખો, એક દિવસ આપણે પણ અહીંથી જવાનું છે…

-આશુ પટેલ

થોડા સમય અગાઉ એક ઓડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં બે જૂના મિત્રો વચ્ચેની વાત હતી. એક માણસે એના જૂના મિત્ર એવા સરકારી અધિકારીને કોલ કર્યો. પૂછયું: ‘કેમ છે તું?’ એ સાથે પેલો સરકારી અધિકારી ભડકી ગયો હતો. એણે કહ્યું:
‘મોં સંભાળીને વાત કરજે! હવે તારે મને સાહેબ કહીને બોલાવવો પડે! હવે હું સરકારી અધિકારી છું. હવે હું કોઈ નાનો માણસ નથી એટલે તું મને તુંકારે ન બોલાવી શકે.’

એના જૂના મિત્રએ જવાબ આપ્યો: ‘યાર, તું હવે સરકારી અધિકારી ખરો છે, પણ આપણે જૂના મિત્રો તો છીએ ને! એટલે મેં તને તુંકારે બોલાવ્યો. તને વર્ષોથી તુંકારે બોલાવવાની આદત છે.’ એના જવાબથી તો સરકારી અધિકારી વધુ રોષે ભરાયો. એણે કહ્યું : ‘મારી સાથે વાત કરવી હોય તો તારે મને ‘સાહેબ’ કહીને સંબોધન કરવું પડશે.’

આવા લોકો વિશે જાણીને મનમાં ગુસ્સો ન જાગે, પરંતુ કરુણા જન્મે છે કે કોઈ માણસ જે પણ બને એણે ધરતી પર પગ રાખવાનું ન ભૂલવું જોઈએ. માણસ નેતા બને, અભિનેતા બને, પોલીસ અધિકારી બને કે મુખ્ય પ્રધાન બને કે ઊઠીને વડા પ્રધાન સુધ્ધાં બની પણ જાય તોય એણે એ યાદ રાખવું જોઈએ કે છેવટે હું એક માણસ જ છું અને થોડા દાયકાઓ માટે જ અહીં આવ્યો છું અને મારે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે.

જેની પાસે સત્તા, સંપત્તિ, શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, ફેન ફોલોઈંગ (કે ભક્તો) હોય એવી લગભગ દરેક વ્યક્તિના મનમાં પોતે બીજાઓથી કોઈક રીતે મોટો છે એનો નશો હોય છે. આ મોટા હોવાનો નશો માણસને ભુલાવી દેતો હોય છે કે આ સૃષ્ટિમાં એનું અસ્તિત્વ એક રજકણ સમાન પણ નથી. વિરાટ સૃષ્ટિને સમજવા માટે માણસે સ્પેસ- અંતરિક્ષનો થોડો અભ્યાસ કરવો જોઈએ. ખરેખર તો આખી પૃથ્વીની તમામ સરકારોએ વિદ્યાર્થીઓ શિક્ષણના એક તબક્કે સ્પેસ વિશે ભણે એ નિશ્ચિત કરવું જોઈએ.

અખિલ બ્રહ્માંડમાં આપણે કશું જ નથી એ વાત ભાવિ પેઢીના મગજમાં ઉતારવી જોઈએ. બ્રહ્માંડ વિશે વધારે કંઈ નહીં તો એટલું તો ભણાવવું જ જોઈએ કે કોઈ શહેરનો ઉદ્યોગપતિ કે કોઈ દેશનો બિઝનેસ ટાઇકુન કે કોઈ પ્રધાન કે સંસદસભ્ય કે વિધાનસભ્ય કે મેયર કે મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનર કે કોન્સ્ટેબલ હોય તો તે અખિલ બ્રહ્માંડનો રણધણી નથી થઈ જતો. (ક્યારેક કોઈ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ કોઈ વાહનચાલકને અટકાવે ત્યારે લાઈસન્સની માગણી એવી રીતે કરતો હોય છે કે જાણે આખી સૃષ્ટિનો કર્તાહર્તા એ પોતે જ હોય).

જો લોકોને એવું શીખવવામાં આવે કે આ બ્રહ્માંડમાં તમારું અસ્તિત્વ તણખલાના પણ કરોડોમાં ભાગ સમું છે તો આવી વ્યક્તિઓના મન પર કોઈ પણ પ્રકારનો અહંકાર કે નશો સવાર થવાની શકયતા ઘટી જાય. ગઈ સદીના ચિંતક અને લેખક બર્ટ્રાન્ડ રસેલની એક વાર્તા યાદ આવે છે. એમાં એક ધર્મગુરુ સપનામાં મૃત્યુ પામે છે અને સ્વર્ગના દરવાજે જાય છે. એણે સ્વર્ગના દરવાજાની બહાર રાહ જોવી પડે છે. બહુ લાંબા સમય સુધી તે દરવાજો ખખડાવે છે એ પછી એ વિશાળ દરવાજાની એક નાનકડી બારી ખૂલે છે અને એ દરવાજામાંથી એક ચહેરો દેખાય છે. સપનામાં મૃત્યુ પામેલો ધર્મગુરુ એને કહે છે કે ‘જા, જલદી જઈને ઈશ્વરને જાણ કર કે પૃથ્વીના સર્વોચ્ચ ધર્મગુરુ આવ્યા છે.’

ત્યારે એ દરવાજાની નાનકડી બારી ખોલનારો જીવ એને પૂછે છે કે ‘તમે કઈ પૃથ્વી પરથી આવો છો?’
ધર્મગુરુ કહે છે કે ‘પૃથ્વી તો એક જ હોય ને, બેવકૂફ!’
પેલો કહે છે કે ‘ના. બ્રહ્માંડમાં તો કરોડો પૃથ્વી છે એમાંથી કેટલા નંબરની પૃથ્વી પરથી તમે આવો છો?’
ધર્મગુરુ: ‘શું ગાંડાઘેલા જેવી વાતો કરે છે તું!’
બારી ખોલનારો જીવ જવાબ આપે છે:
‘ઠીક છે, પૃથ્વીનો નંબર ખબર ન હોય તો તમે કહો કે તમે કેટલા નંબરની સૂર્યમાળામાંથી આવો છો?’
ત્યારે તે ધર્મગુરુને પોતાની ઓકાતનું ભાન થાય છે. અને તેની આંખ ઊઘડી જાય છે. સાચા અર્થમાં એની આંખ ઊઘડી જાય છે.

જેના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર હોય એવા લોકોને આવી જ અન્ય એક વાર્તા પણ ભણાવવી જોઈએ.
એ વાર્તા વોલ્ટેરની છે, જેમાં સિરિયસ નામના એક ગ્રહનો દસ લાખ ફૂટ ઊંચો જીવ બીજા ગ્રહની સફરે નીકળી પડે છે. પ્રવાસમાં કંપની મળી રહે એ માટે વચ્ચે આવતા એક ગ્રહના વામન જીવને સાથે લે છે. એ વામન જીવની ઊંચાઈ ‘માત્ર’ પંદર હજાર ફૂટ જ છે. તે બંને ફરતા-ફરતા પૃથ્વી પર આવે છે અને એક જગ્યાએ દરિયામાં ઊભા રહે છે. એ વખતે એક મોટા ખાબોચિયામાં કશીક વસ્તુ જુએ છે.

એ વાસ્તવમાં દરિયામાં તરતું એક જહાજ હોય છે. પંદર હજાર ફૂટ ઊંચો જીવ ઝૂકીને એ જહાજને પોતાની હથેળીમાં લે છે. એ જહાજમાં કેટલાક માણસો સફર કરી રહ્યા હોય છે. એમને સૂક્ષ્મ જંતુઓની જેમ હલનચલન કરતા જોઈને પંદર હજાર ફૂટ ઊંચો જીવ એના ગ્રહની ટેકનોલોજીની મદદથી પોતાનો અવાજ નાનો કરીને એ જહાજમાં ફરી રહેલા જીવો એટલે કે માનવીઓ પૈકી એક નમૂનાને પૂછે છે કે ‘ભાઈ, તું કોણ છે? ત્યારે એ જહાજમાં સવાર માનવી એને કહે છે કે ‘માત્ર વિરાટ શરીરને કારણે પોતાને મોટો માનનારા મૂર્ખ જીવ, હું એક બૌદ્ધિક માનવી છું અને આ બ્રહ્માંડનાં રહસ્યોનો તાગ પામવાની કોશિશ કરી રહ્યો છું!’

આખી સૃષ્ટિ પોતાના થકી જ ચાલે છે એવા ભ્રમમાં જીવતા ઘણા રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, પત્રકારો, ફિલ્મ સ્ટાર્સ, શ્રીમંતો, અંડરવર્લ્ડના ગુંડાઓ કે અપર વર્લ્ડના વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ પોતાના પાવર, મસલ પાવરનું કે પોતાની સંપત્તિનું ભદ્દી રીતે પ્રદર્શન કરતા જોવા મળે ત્યારે કે સોશિયલ મીડિયા પર ક્ષુલ્લક મુદ્દે વાંદરાઓની જેમ હૂપાહૂપ કરી રહેલા અલ્પમતિવાળા બેપગાળા જીવો, ખેપાની મનુષ્યો, કટ્ટર સરકાર સમર્થકોનો, વિપક્ષના ટેકેદારોનો કે સરકારના વિરોધ માટે દેશદ્રોહની હદ સુધી જવા તત્પર રહેતા ઘણા સો કોલ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ્સનો વાણીવિલાસ જોવા મળે ત્યારે વોલ્ટેર અને બર્ટ્રાન્ડ રસેલની આ વાર્તાઓ યાદ આવી જાય છે.

આજના આ ‘સુખનો પાસવર્ડ’ કોલમ-કથાનો સાર એ છે કે ‘દરેક માણસે એ યાદ રાખીને જીવવું જોઈએ કે એક દિવસ એણે પણ અહીંથી કાયમ માટે વિદાય થવાનું છે…

રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

કવિની સૂક્ષ્મ દૃષ્ટિ પ્રકૃતિને માણે છે, જાણે છે અને શબ્દ દ્વારા પોતાના અનુભવનું કાવ્યમાં રૂપાંતર કરે છે. આગિયાની વાત કરતાં કરતાં માનવી જીવનની દાસ્તાનને ભૂલતા નથી. સંસારીઓનો પ્રેમ અને સંસાર કોયડાની કલાપીએ કરેલી વાત પોતાની આગવી છે.

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?

અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી;
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?

કવિએ પૂછેલો પ્રશ્ન શાશ્વત છે અને એ જેટલો સાચો છે એટલી જ સાચકલી કવિની પોતાની વાણી છે. એક જ વાક્યમાં કહી શકાય કે નાસ્તિ યેષાં યશ: કાયે જરામરણંજ ભયમ્.

આપણ વાંચો : સુખનો પાસવર્ડ : જો એવા બોજ હેઠળ દબાઈ ન જઈએ તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button