ઉત્સવ

મ્યુઝિયમની સાથે હવે ઝૂને પણ ‘આવજો’ કહેવાનો સમય આવી ગયો છે?

એક સંગ્રહાલય તો બીજું સંગ્રહસ્થાન… એક પૌરાણિક તો બીજું પ્રાકૃતિક બન્ને અગત્યના છે આપણા માટે. આમ છતાં, એ બન્નેને નાબૂદ કરવાની કેમ ચર્ચા ચાલી રહી છે?

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

ઈજિપ્તનું લેટેસ્ટ મ્યુઝિયમ, જામનગરનું ‘વનતારા’ પ્રાણીસંગ્રહાલય, લંડનનું ઝૂ

આદિ માનવના જમાનાથી માનવમાત્રને સંઘરવાનો આદત પડી ગઈ છે, જેમાંથી જાતભાતનાં સંગ્રહાલયો સર્જાતાં ગયાં. હમણાં તાજેતર- આ નવેમ્બરના પ્રારંભમાં જ એક અબજ ડૉલરના ખર્ચે ઈજિપ્તે વિશ્વનું સૌથી વિશાળ ‘ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમ (GEM)’ દર્શકો માટે સત્તાવાર રીતે ખૂલ્લું મુકાયું છે.

આશરે 887 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સંગ્રહાલયમાં દુર્લભ એવી 56 હજારથી વધુ પ્રાચીન કલાકૃતિ છે. એટલું જ નહીં, ઈજિપ્તના આ તાજા સંગ્રહાલયમાં ત્રણ હજાર વર્ષ જૂનો તૂતનખામનની કબર અને એનો દુર્લભ ખજાનો પણ દર્શકોને જોવા મળે છે. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે એ માત્ર એક જ પ્રાચીન સંસ્કૃતિ ઈજિપ્ત (સિંગલ સિવિલાઈઝેશન) પર આધારિત છે.

એક સમય એવો હતો, જ્યારે દરેક દેશ માટે મ્યુઝિયમ અગત્યના ગણાતાં. આપણી સંસ્કૃતિ-કળા-ઈતિહાસને જાળવી રાખવા માટે સંગ્રહસ્થાન ભવ્ય ભૂતકાળ વર્તમાનથી લઈને ભાવિને સાંકળી લેતી એક અતિ અગત્યની કડી ગણાતી, પણ સમય પલટાતા ઈલેકટ્રોનિક શોધખોળના પગલે પગલે આખી દુનિયા ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ.

આ ડિજિટલ વિજ્ઞાને અનેક કામ સરળ-સસ્તા ને ઝડપી કરી દીધા. આને કારણે હવે આજની યુવા પેઢીમાં એક નવો વિચાર રમવા માંડયો છે કે આટલી વિશાળ જગ્યામાં પથરાયેલાં સંગ્રહાલયોમાં અસંખ્ય-અગણિત ઐતિહાસિક વસ્તુઓની ગોઠવણી-જાળવણી પાછળ અનેક લોકોની જબરી જહેમત અને વધતા જતાં લખલૂટ ખર્ચાની હવે જરૂર છે ખરી?

જો કે બીજી તરફ, આવાં સંગ્રહાલયોની તરફેણ કરતો પણ એક વર્ગ કહે છે કે પાઠ્યપુસ્તકોમાં વાંચેલા કે પછી દસ્તાવેજી ફિલ્મોમાં જોવાં મળેલાં અકબરનાં ભારેખમ બખ્તર કે શિવાજી મહારાજની જીવલેણ તીક્ષ્ણ તલવાર આજે આપણને મ્યુઝિયમમાં સાક્ષાત નજરોનજર નિહાળવા મળે છે. એના જેવી અનેક ઐતિહાસિક ક્ષણોને સાક્ષાત જીવવાનો કેવો અનન્ય રોમાંચ થાય?!

સામે પક્ષે એક વર્ગ એવો પણ છે,જે કહે છે આપણી કળા-સંસ્કૃતિની આ બધી વિરાસતને જો આપણે ડિજિટલરૂપે માત્ર એક ક્લિક દ્વારા જોઈ શકીએ- જોઈતી માહિતી મેળવી પણ શકીએ તો પછી લાંબાં- પહોળાં-ખર્ચાળ મ્યુઝિયમની શું જરૂર?

આ વિચારધારાની તાત્કાલિક અસર એ થઈ કે અસંખ્ય ઐતિહાસિક વસ્તુઓને ડિજિટલરૂપે અકબંધ સાચવી લઈને ઘણાં દેશમાં નાનાં નાનાં મ્યુઝિયમ આટોપી લેવામાં આવ્યાં છે. એક અંદાજ મુજબ જગતના 202 દેશમાં 55,000થી વધુ મ્યુઝિયમ છે.
આપણા દેશમાં પણ પૌરાણિક વારસો ધરાવતા આશરે 800 સંગ્રહાલય આજે મોજૂદ છે. એટલું સારું છે કે આપણે ત્યાં આ મ્યુઝિયમો પર તાળા લગાડી દેવાની કોઈ વૈચારિક ચળવળ હજુ શરૂ નથી થઈ.

જેમ આજે મ્યુઝિયમોને આટોપી લેવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે અન્ય વિવાદાસ્પદ ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે કે આજના જમાનામાં ઝૂ એટલે કે પ્રાણીસંગ્રહાલયોની પણ જરૂર કેટલી?!

સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ઝૂની જરૂર કેમ પડી? આની પાછળ સરળ તર્ક એવો છે કે આદિજમાનાના માનવે એના શક્તિશાળી શત્રુ એવાં કેટલાંક જંગલી પશુ-પ્રાણીઓનો સામનો કરવો પડતો. પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે માનવીએ અનેકને હંફાવીને એમને પાળતું બનાવ્યાં તો જેમને આસાનીથી પાળી ન શકાય એવાં અમુક ખુંખારને એક યા બીજી રીતે પરાજિત કરી બંધક બનાવ્યાં. આમ સમય જતાં પોતાનાં શૌર્ય વત્તા અહંમમાંથી પ્રાણીસંગ્રહાલય‘પેદા’ થયાં.

આમ જુઓ તો આવાં સંગ્રહાલયનો પ્રારંભ છેક ઈશુ જન્મના 2500 વર્ષ પૂર્વે ઈજિપ્ત મેસોપોટેમિયામાં થયો હતો એવું ઈતિહાસે નોંધ્યું છે. એ જમાનામાં ઝિરાફ-રીંછ-હાથી, ઈત્યાદિને શ્રીમંતો પોતાને ત્યાં રાખતાં. એ પછી 1752માં વિશ્વનું સર્વપ્રથમ સત્તાવાર ઝૂ વિયેનામાં શરૂ થયું, જે આજે પણ કાર્યરત છે! ત્યાર બાદ તો યુરોપમાં ઝૂની હારમાળા શરૂ થઈ.

એમાંથી મોટાભાગનાં પ્રાણીસંગ્રહાલય લંડનના સૌથી જૂના રિજન્ટ પાર્ક ઝૂને નજર સામે રાખીને બનાવવામાં આવ્યાં છે અને છેલ્લાંમાં છેલ્લા સર્વે મુજબ આજે જગતમાં 10 હજારથી વધુ પ્રાણીસંગ્રહાલય છે, જેમાં સૌથી વધુ (371) અમેરિકામાં છે. ત્યાર પછી જર્મનીમાં (309) ઝૂ છે. ભારતમાં પણ 347 જેટલાં ઝૂ છે, પણ એમાંથી માત્ર 164ને સત્તાવાર માન્યતા મળી છે.

આ બધા વચ્ચે, મ્યુઝિયમની જેમ એના સમાંતરે ઝૂની પણ એ જ ચર્ચા-વિચારણા ચાલી રહી છે કે આજના જમાનામાં નવાં પ્રાણીસંગ્રહાલય બનાવવાની કે હયાત છે એની જાળવણી કરવી કેટલી જરૂર..?

પ્રાણીપ્રેમીઓ તથા મૂંગાપશુ-પ્રાણી પર થતાં અત્યાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારી સંસ્થાઓ પહેલેથી જ ઝૂને એક ‘કાયમી નજરકેદ’ રાખવાનાં સ્થળ તરીકે ઓળખાવે છે. થોડા મહિના પહેલાં અંબાણી પરિવારના ‘વનતારા’ પ્રાણીસંગ્રહાલય પણ એક આવા જ વિવાદમાં અટવાયું હતું.

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંતના નેજા હેઠળ જામનગરમાં 3500 એકર પર ફેલાયેલા દેશન આ સૌથી વિશાળ ઝૂમાં દેશ વિદેશના આશરે દોઢ લાખથી વધુ પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. અહીં એમનાં માટે અતિ આધુનિક ગોઠવણ હોવા છતાં ‘વનતારા ’માં પ્રાણીઓની સંભાળ બરાબર લેવાતી નથી એવી કોર્ટ ફરિયાદ થઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે એ ફરિયાદ ફગાવી દઈને ‘વનતારા’માં બધુ ‘ઓકે’ છે એવો ચુકાદો આપ્યો હતો.

આમ છતાં, પ્રાણીનાં સંગ્રહાલયના પક્ષમાં અને એની વિરુદ્ધમાં સતત જાતભાતની દાખલા-દલીલો ચાલ્યા જ કરે છે. ઝૂની તરફેણ કરનારા કહે છે : ‘શહેરી ઉછેર થયો છે એવાં બાળકો ટીવી શોમાં જોવાં પશુ-પ્રાણીને નિહાળે જરૂર છે, પણ જંગલમાં વસતાં પ્રાણીને આટલાં નજીકથી રૂબરૂ જોવાં-સમજવાં માટે આવાં ઝૂની તાતી જરૂર છે’ એમની બીજી દલીલ એ છે કે વધતાં જતાં પ્રદૂષણને તથા વણસી રહેલાં પર્યાવરણને લીધે જંગલનાં અનેક પ્રાણીઓની વસતિ ઝડપભેર ઘટી રહી છે. એમનું અસ્તિત્વ ખતરામાં છે.

નિષ્ણાતોના અંદાજ મુજબ છેલ્લાં 500 વર્ષમાં 800 જેટલાં જાનવરોની પ્રજાતિ વંશજ લુપ્ત થઈ ગયાં છે અને જે ઓછાં બચ્યાં છે એ પણ ઝડપથી નિકંદનના આરે પહોંચી ગયાં છે. એમને અને એનાં જેવાં બીજાંને ઉગારવા માટે પણ આધુનિક પ્રાણીસંગ્રહાલયની તાકીદે જરૂર છે. ઝૂના તરફેણકારોની ત્રીજી દલીલ એવી છે કે આવાં સુરક્ષિત સ્થળે જ એમની આયુ કેમ વધારવી એને લગતાં વૈજ્ઞાનિક પ્રયોગ- સંશોધન થઈ શકે. અમેરિકા તો વાર્ષિક 2.50 કરોડ ડૉલરથી પણ વધુ ખર્ચે આવાં સંશોધન કરે છે અને જાનવર દ્વારા માનવીને થતાં રોગ-બીમારીનાં પગેરું અને એને નિવારવાના તબીબી ઉકેલ પણ શોધે છે.

આમ છતાં આયાતી કે દેશી જાનવર પ્રાણીઓને એમનાં નૈસર્ગિક વાતાવરણમાંથી વિખૂટાં પાડી પિંજરામાં કેદ કરવાની માનવવૃતિનો અનેક ‘ઍનિમલ લવર્સ’ ગ્રૂપ સખત વિરોધ કરે છે. એ લોકો કહે છે કે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેક્નિકથી ઝૂને ગમે તેટલું અતિ આધુનિક બનાવીએ, છતાં નૈસર્ગિક કુદરતી વાતાવરણમાંથી છૂટ્ટુ પડીને ઝૂના કૃત્રિમ વાતાવરણમાં એને ગોઠતું નથી એ હકીકત છે.

થોકબંધ વૈજ્ઞાનિક તબીબી તારણો દર્શાવી ઝૂનો પ્રતિરોધ કરનારા અભ્યાસુઓ કહે છે કે સંગ્રહાલયમાં પ્રાણીનું બહુ ઝડપથી વજન વધે છે. પરિણામે માણસની જેમ જ એ પણ ઢગલાબંધ તબીબી સમસ્યાથી પીડાય છે. પીંજરું ગમે તેટલું મોટું હોય છતાં એ બંધિયાર જગ્યાને લીધે મનોમન અકળાય છે. ઝૂની અંદર પ્રાણીની સાયુજય અને પ્રજનન શક્તિ ક્ષીણ થાય છે- પ્રજોત્પતિ ઘટે છે. ટૂંકમાં, અહીં એની આવરદા ટૂંકાઈ જાય છે. જંગલ કરતાં અહીં એ ઓછું જીવે છે આ વિષમ હકીકત આંકડાથી પણ પૂરવાર થઈ છે.

પશુ-પ્રાણીનાં મુકતજીવન માટે હિમાયત કરતાં લોકો આજે એક વાત વારંવાર કહે છે : ‘આપણી આસપાસના વાતાવરણને પ્રદૂષણમુકત કરી ધરતીનું પર્યાવરણ વધુ ચોખ્ખું કરવા આપણે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે પ્રાણીને કેદ કરી એનાં પીંજરાને વધુ આધુનિક બનાવવા સતત જંગી ખર્ચ કરીએ છીએ. એને બદલે પ્રાણીને જયાંથી આપણે લાવ્યાં છીએ એ જ વન-જંગલને વધુ ને વધુ સ્વચ્છ બનાવીએ તો માનવી અને પ્રાણી બન્નેને જિંદગીનાં અનેક વણમાગ્યાં બોનસ મળી જશે.!

આ પણ વાંચો…ક્લોઝ અપ: નોખા શબ્દોની અનોખી ‘વર્ડ ઑફ ધ યર’ની આગવી સ્પર્ધા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button