ઉત્સવ

સર્જકના સથવારે: સાહિત્ય-સંસ્કાર ને ગઝલના શાયર મધુકર રાંદેરિયા

-રમેશ પુરોહિત

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના

આ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે

1970ના દાયકામાં મુંબઈમાં કવિતા, ગઝલ, નાટ્ય, સંસ્કારી અને સામાજિક પ્રવૃત્તિઓનો સુવર્ણકાળ હતો. કવિતામાં અને ગઝલમાં વર્ષમાં સમાન ગતિ રાખનાર હરિન્દ્ર દવે જેવા સાહિત્ય સ્વામીઓ હતા, કવિ તારુપી ગોવર્ધનને ટચલી આંગળીએ ઉપાડનાર સુરેશ દલાલ, જગદીશ જોષી, અનિલ જોશીનો ઉદય થઈ ચૂક્યો હતો ત્યારે કવિતા, ગઝલ, નાટક, સાહિત્ય, સંસ્કાર અને સામાજિક ક્ષેત્રે કામ કરતા સાહિત્યકારોમાં મધુકર રાંદેરિયા દબદબો ભરેલું નામ હતું.

નાટક લખવા અને નાટકોમાં વિલક્ષણ ભૂમિકા ભજવીને મુંબઈમાં ગુજરાતી તખ્તાને રંગ રોશની આપનાર મધુકરભાઈની બહુઆયામી પ્રતિભા નોંધનીય હતી. શિક્ષણ, ગઝલ અને નાટ્યક્ષેત્રનું એમનું પ્રદાન ચિરંજીવી છે.

પરંપરાની ગુજરાતી ગઝલોના મુકામ સામે હરિન્દ્ર દવે સંપાદિત ‘મધુવન’માં કુલ 83 જેટલા શાયરોની 213 જેટલી ગઝલોનો સમાવેશ થયો છે. તેમાં શૂન્ય પાલનપુરી, બેફામ અને મરીઝ જેવા દિગ્ગજ શાયરોના સમકાલીન મધુકર રાંદેરિયાની ત્રણ ગઝલો લેવામાં આવી છે.

રાંદેરિયા એટલે રાંદેરના, રાંદેર એ પરંપરાગત ગઝલનું ઉદ્ગમ છે. અહીં જ ગઝલ ફૂલી-ફાલી છે. અહીંથી મુશાયરા પ્રવૃત્તિનો પ્રારંભ થયો છે. આવા ગઝલના મક્કા જેવા ગામ રાંદેરમાંથી આવેલા મધુકર રંગીલદાસ રાંદેરિયાનો જન્મ 3 એપ્રિલ, 1917ના રોજ થયો હતો.

એમણે 1941માં એમ.એ. કર્યું અને શિક્ષણનો પ્રવિત્ર વ્યવસાય સ્વીકાર્યો હતો. કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પ્રતિષ્ઠિત જયહિંદ અને ભવન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

આ પણ વાંચો…સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’…

‘ગુજરાતી નાટ્ય’ના તંત્રી પદે રહેનાર મધુકરભાઈ બૃહદ ભારતીય સમાજના ડાયરેક્ટર, નાટકોના લોકપ્રિય અભિનેતા, રેડિયો બ્રોડકાસ્ટર અને જાહેર વક્તા તરીકે મુંબઈના સપ્તરંગી જાહેરજીવનમાં ખ્યાતિ પામ્યા હતા. ચોટદાર અને પ્રતિભાવંત રજૂઆત માટે પ્રખ્યાત આ શાયર મુશાયરાના સફળ સંચાલક તરીકે જાણીતા થયા હતા.

એમના નાટ્યક્ષેત્રના પ્રદાનને નજરમાં રાખીને આફ્રિકાના કંપાલા કેન્દ્રમાં યોજાયેલા નાટ્યોત્સવમાં એકમાત્ર નિર્ણાયક તરીકે 1963માં ગયા હતા. કોલેજના એમના ગુજરાતી ના વર્ગોમાં જેમણે ગુજરાતી ન લીધું હોય એવા વિદ્યાર્થીઓ પણ આવતા. અસ્ખલિત વાણી અને છટાદાર રજૂઆતથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બનતા.

એમણે ‘અંતે તો તમારી જ’ (1957) ‘અનન્તને આરે’ (1958) ‘મુક્તિદાતા લિંકન’ (1961) જેવા નાટકો લખ્યાં હતાં. ‘મહાસભાના મહારથીઓ’ (1946) ‘ઘરદીવડા’ (1958) તેમ જ ‘ભક્ત શિરોમણિ દયારામ’ (1959) જેવા જીવનચરિત્રો આપ્યાં છે. તેમ જ ‘મનોયાત્રા’ (1966) તેમનો નિબંધ સંગ્રહ છે અને ‘નવવધૂને પગલે’ (1957) તેમનો વાર્તા સંગ્રહ છે. એમણે અંગ્રેજીમાંથી કેટલાક પુસ્તકોનું સુંદર ભાષાંતર કર્યું હતું. 27 સપ્ટેમ્બર, 1990 રોજ મધુકરભાઈનું મુંબઈમાં અવસાન થયું હતું.

આ પણ વાંચો…સર્જકના સથવારે : પ્રકૃતિના સથવારે અનુભૂતિ અવતારનો શાયર કૈલાસ પંડિત

આ શાયરના પ્રખ્યાત શેરોનું રસપાન કરીએ:

આ લાંબા લાંબા મારગ પર,
કંઈ કંકર-કટંક વાગે છે
બેચેન બનાવી દેનારી
કંઈ લાખ ઉપાધિ જાગે છે;
આ સર્વ બલાઓ ઉપરથી
કંઈ અમથી અમથી આવે ના
બંદાની સાથે અલ્લાને
કંઈ મહોબત જેવું લાગે છે.

જનમનું એક બંધન જીવને
જીવનથી બાંધે છે
જીવન જીવતાં, જટિલ જેજાખ
જગની રોજ બાંધે છે;
મરણ તક બંધનોમાં બોજ ઓછા
હોય એ રીતે-
અહીંના લોક મડદાને ય
મુસ્કેટાટ બાંધે છે.

આપમેળે એ જ તો ચાલ્યા ગયાં
સાવ અમથી વાતમાં વંકાઈને;
મે ન્હતું કીધું: મને આવો, મળો,
એ જ કંટાળ્યાં હતાં હિજરાઈને.

તમે હોતાં નથી ત્યારે મને કેવુંક લાગે છે-
તમે આવી ચડો છો ને ખુલાસો થૈ નથી શકતો.

હું જાણું છું કે વર્ષાથી એક માવઠું જુદું થાયે છે
મુજ હાલત પર અમથી અમથી આ આંખ નિતારો શા માટે
આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
આ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારું ઈલામે શા માટે?
આ દિલને તમારા માટે તો બચપણથી અનામત રાખ્યું છે.
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?

તમારી સાથે મારી પ્રીત કંઈ ફોગટ નથી નીવડી
ગુલો પર આજ ચાલું છું, ગુલોને ખાર સમજીને.

કહ્યું કોણે: અમે બેહોરા છીએ આજ પી પી ને
અમે લથડ્યા છતાં લથડ્યા છીએ પાછા સુરાહી પર

અમે તૌબા કરી છે તો ય આંખો લાલ થઈ ગઈ છે
ચડ્યો છે તો ચડ્યો છે આપની આંખોનો મય બાકી.

અમે છો પડ્યા પાનખનરને પથારે
આ નકામી નકામી વસંતો ઠસ્સી છે.

આ પણ વાંચો…સર્જકના સથવારે: વાટમાં હું વૃક્ષને મળતો રહ્યો ના મળ્યો છાયાંને મળવાનો સમય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button