સ્પોટ લાઈટ: જયશંકર ‘સુંદરી’ પુરુષ પાત્રમાં પણ પ્રશંસનીય…

-મહેશ્વરી
હું અમેરિકા જવા ઊપડી એ પછીની વાત આગળ ચલાવતા પહેલા એક જૂના નાટકની અને એના મુખ્ય કલાકારોની વાત કહેવી છે. જૂની રંગભૂમિની સ્મૃતિઓ હું મમળાવતી હતી ત્યારે 70 વર્ષ પહેલા ભજવાયેલા ‘મેના ગુર્જરી’ નાટકનું સ્મરણ થયું. રંગભૂમિએ એવાં કેટલાંક નાટક આપ્યાં છે જે તે સમયકાળમાં આદર સત્કાર મેળવવામાં સફળ રહ્યા હતા એટલું જ નહીં એ નાટકના કલાકાર પણ સ્મૃતિપટ પર અંકિત થઈ ગયા છે. ‘મેના ગુર્જરી’ એ શ્રેણીમાં બિરાજમાન છે.
આ નાટકની લાક્ષણિકતા એ હતી કે એનું કથાબીજ એક પ્રચલિત ગરબા પરથી લેવામાં આવ્યું હતું. સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ, આજ મારા આંગણે પધારશે મા પાવાવાળી’ ગરબાથી લગભગ બધા સર્વવિદિત હશે. અનેક લોકોને તો એ યાદ પણ હશે. નવરાત્રી દરમિયાન તો એ રોજ સાંભળવામાં પણ આવતો હશે. ‘મેના ગુર્જરી’ નાટકમાં આ ગરબો ઉપરાંત લોકગીતો ઉમેરવામાં આવ્યા હોવાથી નાટક ખૂબ જ લોકભોગ્ય બન્યું હતું. 70 વર્ષ પહેલાનું આ નાટક આજે ભજવાય તો નાટ્ય પ્રેમી પ્રેક્ષકોનો આવકાર મળે કે કેમ એ વિચારે હું ચડી ગઈ.
નાટકનું કથાવસ્તુ જાણવાથી જે તે સમયના સમાજની માનસિકતાનું પ્રતિબિંબ જોવા મળે છે. કલાના સ્વરૂપનું આ જ તો મહત્ત્વ હોય છે જે સાંપ્રત સમાજ સામે અરીસો ધરી એની છણાવટ કરે છે. નાટકનું કથાવસ્તુ આ પ્રમાણે હતું: મેના નામની ગુર્જર કોમની યુવતીને પિયરથી સાસરે તેડી જવા તેના દિયર હીરાજી આવે છે. સાસરે તરફ જતી વેળા મેના કુતૂહલથી પ્રેરાઈને રસ્તામાં પડાવ નાખી વિશ્રામ કરતા બાદશાહને જોવા જતી વખતે પકડાઈ જાય છે. માંડવગઢના ગુર્જર વંશના લોકો મેનાને મુક્ત કરે છે.
જોકે, અહીં કથામાં વળાંક આવે છે. સાસરિયા મેનાને સ્વીકારતા નથી, કારણ કે એ પરધર્મી લોકો વચ્ચે રહી હતી. અત્યંત સ્વમાની હોવાથી મેના પાવાગઢ જતી રહે છે. નારી હૃદયનાં સ્નેહ, સમર્પણ, સ્વમાન અને સતીત્વનો મહિમા આ શૌર્યકથામાં જોવા મળે છે.
આ નાટકનો વિશેષ ઉલ્લેખ જયશંકર ‘સુંદરી’ના સંદર્ભમાં કરવો છે. મારી આ કોલમ નિયમિત વાંચતા ‘મુંબઈ સમાચાર’ના વાચકપ્રેમીઓને યાદ હશે કે અગાઉના હપ્તમાં રંગભૂમિના એક વખતના કુશળ નટ જયશંકર ‘સુંદરી’ને હું મળી અને તેમણે મને આશીર્વાદ આપ્યા હતા એની મેં માંડીને વાત કરી હતી. ‘મેના ગુર્જરી’ નાટકનું દિગ્દર્શન તેમણે કર્યું હતું. અનેક વર્ષ સુધી તખ્તાના અનુભવનો નિચોડ આ નાટકનું જમા પાસું હતું.
નાટકની રસપ્રદ વાત એ હતી કે વિશેષ કરીને સ્ત્રી પાત્ર ભજવવા માટે ખ્યાતિ મેળવનારા જયશંકર ‘સુંદરી’એ આ નાટકમાં મેનાના પિતાનો રોલ કર્યો હતો. મા વિનાની મેનાને સાસરે વળાવતી વખતના દૃશ્યમાં લાકડીને ટેકે ઊભેલા પિતા જયશંકર ભાઈની આંખોમાંથી વહી જતો શ્રાવણ ભાદરવો જોઈ પ્રેક્ષકો પણ લાગણીશીલ થઈ દીકરી વિદાયની અનુકંપા અનુભવતા હતા.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : ડાયલોગનું રિહર્સલ ઊડતા વિમાનમાં
સ્ત્રી પાત્રો ભજવનાર નટ પુરુષ પાત્રમાં પણ અભિનયમાં દીપી ઊઠે અને લોકચાહના મેળવે એ અભિનયની ઊંચાઈ કહેવાય. મુરબ્બી જયશંકર ભાઇમાં એ ઊંચાઈ હતી. સિવાય દલપતરામના પ્રખ્યાત ‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની ભૂમિકા ભજવી જીવરામ ભટ્ટ તરીકે ઓળખ મેળવનારા પ્રાણસુખ નાયકની આ નાટકમાં અદાકારીની પણ પ્રશંસા થઈ હતી.
રંગભૂમિ તેમજ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોના ખ્યાતનામ અભિનેત્રી દીના પાઠક મેનાના પાત્રમાં દીપી ઉઠ્યાં હતાં. આ બધા કલાકાર અને તેમણે ભજવેલાં પાત્રો અને નાટકો રંગભૂમિના ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠો છે. એમને વંદન.
ગયા હપ્તામાં મેં નાટકની ટુર વિદેશ જવા ઊપડે એ પહેલા એમ્બેસીમાં એકાદ બે સીન પરફોર્મ કરીને દેખાડવા પડતા એ વિચિત્ર નિયમની વાત કરી હતી. આ સિવાય બીજો એક એવો પણ નિયમ હતો કે નાટકના ગ્રુપમાં દસથી અગિયાર લોકોને જ લઈ જવાની છૂટ હતી. એટલે બેકસ્ટેજમાં કામ કરતી કોઈ પણ વ્યક્તિ ટુરમાં સાથે ન હોય. પરિણામે નાટકના ખેલ વખતે ઉપયોગમાં લેવાતી પ્રોપર્ટીનું ધ્યાન રાખવું, કપડાને ઈસ્ત્રી કરવી વગેરે કામ દરેક કલાકારે જાતે જ કરવાના.
વિચિત્ર લાગતા આ નિયમનું મહત્ત્વ અમેરિકા પહોંચ્યા પછી સમજાયું. થયું એવું કે યુએસ જવા નીકળ્યા પહેલા અમે ‘પૈસો બોલે છે’ નાટકનું રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે એક યુવક બેકસ્ટેજ કરવા આવ્યો. જોકે, એને જોઈ મારા સહિત કેટલાક જણને બહુ નવાઈ લાગી હતી, કારણ કે એ નાટકની દુનિયાનો જ નહોતો. અગાઉ કોઈ પણ ગ્રુપમાં કે કોઈ પ્રોડક્શનના નાટકના રિહર્સલમાં એને કોઈએ જોયો નહોતો.
આ પ્રકારના કામનો કોઈ અનુભવ ન હોવા છતાં એણે કામ બહુ જલદી સમજી લીધું અને બેકસ્ટેજની વ્યક્તિ પાસે જે અપેક્ષા હોય એ પૂરી થાય એ રીતે એનું કામ જોઈ બધા ખુશ હતા. જોકે, આશ્ર્ચર્ય એ વાતનું હતું કે બેકસ્ટેજના માણસો લઈ નથી જવામાં આવતા તો આ યુવકને કેમ સાથે લેવામાં આવ્યો હશે?
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : અફલાતૂન’ને અફલાતૂન આવકાર
અમારો રસાલો પહોંચ્યો અમેરિકા અને પેલા બેકસ્ટેજ આર્ટિસ્ટનું પોત પ્રકાશ્યું. અચાનક એ ગાયબ થઈ ગયો. હું વિચારમાં પડી ગઈ કે છેક સુધી સાથે હતો એ બેકસ્ટેજ કરવા માટે આવેલો છોકરો અચાનક ગયો ક્યાં? મેં સાથી કલાકારને સવાલ કર્યો તો એનો જવાબ સાંભળી હું રીતસરની ચોંકી ગઈ. બે ઘડી તો મને કશું સમજાયું પણ નહીં.
સાથી કલાકારે હસતા હસતા મને જણાવ્યું કે ‘મહેશ્વરી બહેન, તમે સાવ ભોળા છો. નાટકમાં બેકસ્ટેજનું કામ કરવા એ થોડો આવ્યો હતો. એ તો ‘કબૂતર’ હતો. ઊડી ગયો.’ ઘરની અગાશી પર બેસતા અને શાંતિનું પ્રતીક તરીકે ઓળખાતા કબૂતરથી વાકેફ હતી અને મરદ માણસને સિંહને ઉપમા અપાય છે અને બીકણ વ્યક્તિ સસલું કહેવાય એ હું જાણતી હતી, પણ માણસ કબૂતર કહેવાય એ અમેરિકા પહોંચ્યા પછી જાણ્યું.
નાટકના ગ્રુપ સાથે એકાદી વ્યક્તિ આવે અને ગેરકાયદે વિદેશમાં ઘૂસણખોરી કરે એ કબૂતર કહેવાય એનું મને જ્ઞાન થયું. શાહરૂખ ખાનની ‘ડંકી’ ફિલ્મમાં પણ આ મુદ્દો વણી લેવામાં આવ્યો હતો ને. આમ યુએસમાં એન્ટ્રી સાથે જ બે ઘડી સ્તબ્ધ થઈ જવાય એવી ઘટના બની. સાથે ટુરમાં મર્યાદિત સંખ્યામાં જ કલાકાર લઈ જવાનો નિયમ પણ સમજાઈ ગયો.
મદનિકાના પુરુષ વેશમાં પરાક્રમ
નાટ્યકાર અને વિવેચક તરીકે જાણીતા રસિકલાલ છોટાલાલ પરીખ વિદ્વાન હતા.16 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યા પછી ભાષા પ્રીતિને કારણે સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ. કર્યું હતું. અભ્યાસમાં ઊંડા ઊતરવાની પિપાસા અને સાહિત્ય રુચિ હોવાથી પૂનામાં સંસ્કૃત અને અંગ્રેજીનો વિસ્તૃત અભ્યાસ કર્યો.
જીવનદર્શન માટે પણ લગાવ હોવાથી બંને ભાષાની સાથે ફિલોસોફી-તત્ત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. અભ્યાસુ વ્યક્તિની એક ખાસિયત એ છે કે જે વિષયમાં ઊંડું અધ્યયન કરવું હોય એને સંબંધિત વિષયો વિશે પણ જાણકારી મેળવવા કોશિશ કરે. એટલે રસિકભાઈએ મુનિશ્રી જિનવિજયજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન કર્યું. મુનિશ્રી વિદ્વાન હતા અને સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષા ઉપરાંત જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરી સંશોધન કર્યું હતું.
અભ્યાસ કરતા કરતા અધ્યાપન માટે રુચિ કેળવાતા 1920થી 1930 દરમિયાન શિક્ષક અને પ્રાચાર્યની ભૂમિકા અદા કરી. સર્જન પ્રક્રિયા માટે તીવ્ર લગાવ હોવાથી 1930માં અધ્યાપનને તિલાંજલિ આપી અને નાટ્ય લેખન તરફ વળ્યા. ‘શર્વિલક’ અને ‘મેનાગુર્જરી’ એમના તેજસ્વી નાટક તરીકે જાણીતા છે. ‘શર્વિલક’ નાટકમાં મદનિકાએ પુરુષ વેશમાં કરેલાં પરાક્રમોની ખાસ્સી પ્રશંસા થઈ હતી. ‘મેના ગુર્જરી’ નાટકે રસિકભાઈ પરીખને પ્રસિદ્ધિ અને પ્રશંસા અપાવ્યા હતા.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : દીકરી જ માની પીડા ભૂલી જાય ત્યારે…