ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: ઝરીના વહાબ: કેવી રીતે પોતાના લગ્નના બધા છેડા અકબંધ રાખ્યા છે?

રાજ ગોસ્વામી

ચિત્તચોર, સાવન કો આને દો અને ઘરોંદા જેવી ફિલ્મોથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝરીના વહાબને એક વાતનું શ્રેય આપવું પડે કે એ એના તામસી મિજાજના કાછડી છૂટા પતિ આદિત્ય પંચોલી સાથેનાં ખરાબે ચડેલાં લગ્નની વાત કરતાં શરમાતી નથી.

ભારતીય સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાનાં લગ્ન કે પતિ અંગેની અપ્રિય વાતોનો જાહેરમાં એકરાર કરતી નથી. તેનાં બે કારણ છે: એક તો ઘરની ઈજ્જતનો સઘળો ભાર સ્ત્રીના માથે હોય છે એટલે એ સહન કરે છે પણ હરફ ઉચ્ચારતી નથી. બીજું કારણ એ છે કે સ્ત્રીઓની વ્યક્તિગત ઓળખ અને માન-સન્માન-લગ્ન પતિ સાથે જોડાયેલું હોય છે એટલે તેમાં કોઈ ખરાબી હોય તો સ્ત્રી એને પોતાની અંગત નિષ્ફળતા માને છે.

ફિલ્મો જેવા ગ્લેમરસ અને લોકપ્રિય વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓ માટે તો આ વધુ મુશ્કેલ છે, કારણ કે સામાન્ય સ્ત્રી વિશે તો કદાચ ગલી-મહોલ્લા કે એના સમાજના લોકો કાનાફૂસી કરશે, પણ બોલિવૂડની પત્નીઓ અને પતિઓ તો આખા દેશની નજરમાં હોય છે અને એમનું ‘પાપ’ છાપરે (અને છાપે) ચઢીને પોકારે છે.

બોલિવૂડમાં તો આમ પણ એવો શિરસ્તો છે કે હસતા મોઢે ઘરના કંકાસ છુપાવી રાખવાના. બોલિવૂડમાં વ્યભિચાર તો ઘર-ઘરનો વિષય છે, પણ તેનો ઇનકાર કરતા રહેવાનું પણ એટલું જ જબરદસ્ત ચલણ છે. અહીં, ઘરનો અને (ઘર બહારનો) કચરો કાર્પેટ નીચે સંતાડી રાખવો અપવાદ નહીં, નિયમ છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢો તેનું નામ જ સફળતા છે…

આવી દંભી અને બે મોઢાવાળી દુનિયામાં ઝરીના વહાબ જેવી સ્ત્રીઓ જ્યારે બેબાક રીતે એના પતિનાં કરતૂતોનો એકરાર કરે એટલું જ નહીં, તેને ચલાવી લેવાનાં પોતાનાં કારણો આપે ત્યારે તેના સાહસ અને આત્મવિશ્વાસને સલામ કરવી પડે.

ઝરીનાની નિર્ણાયકતા તો ત્યારે જ નજર આવી ગઈ હતી જ્યારે એણે એનાથી પાંચ વર્ષ નાના આદિત્ય પંચોલીને એક ફિલ્મ સેટ્સ પર મળ્યાના 15 દિવસમાં જ જીવનસાથી તરીકે સ્વીકારવાનો ફેંસલો લઇ લીધો હતો. એ જ ઝરીનાએ હવે લગ્નનાં 38 વર્ષ પછી એના પતિના અનેક વ્યભિચારનો એકરાર કર્યો છે. એટલું જ નહીં, એ એનાથી વિચલિત પણ નથી.

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં ઝરીનાએ કહ્યું હતું, ‘અમે મળ્યાના 15-20 દિવસમાં લગ્ન કરી લીધાં હતાં. એ બહુ દેખાવડો હતો. એક ફિલ્મ સીનમાં એણે રડવાનું હતું. રડવાનું શરૂ કર્યું પછી અટક્યો જ નહીં. મેં કારમાં એનો હાથ પકડીને કહ્યું હતું- ‘રડીશ નહીં.’ તે વખતે એણે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો હતો. 15 દિવસમાં તો અમારાં લગ્ન થઇ ગયાં. ત્યારે લોકોએ કહ્યું હતું કે આ એટલો દેખાવડો છે કે એક અઠવાડિયામાં તને છોડી દેશે….પણ જુઓ, આજે 38 વર્ષ થઇ ગયાં.’

લગ્ન પછી આદિત્યના બીજી અભિનેત્રીઓ સાથેના સંબંધો છાપે ચડ્યા હતા, પણ ઝરીનાને ફર્ક પડ્યો નહોતો અને ઉપરથી એ એના માટે તૈયાર પણ હતી. એણે કહ્યું હતું, ‘લોકોને એવું લાગે છે કે હું બહુ સ્ટ્રેસમાં છું. એમને લાગતું હશે કે હું રોદણાં રડતી હોઈશ, પણ પરિણીત પુરુષને આરોપી બનાવવો અને એની સાથે સંબંધમાં હોય એ છોકરીને કશું ન કહેવું તે બરાબર નથી, પણ આવું થતું રહે છે. હું તેને ગંભીરતાથી લેતી નથી. મને ખબર છે કે એ ( આદિત્ય) મને પ્રેમ કરે છે અને કોઈની સાથે સંબંધમાં ગંભીર નહીં થાય.’

‘એ ઘર બહાર શું કરે છે તેની મને કોઈ પડી નથી,’ એવું કહેતાં ઝરીના ઉમેરે છે કે, ‘એ ઘરમાં આવ્યા પછી બહુ સરસ પિતા અને પતિ તરીકે વર્તે છે. મારા માટે એટલું જ મહત્ત્વનું છે. એ જો એના અફેરને ઘરમાં લાવતો હોત તો મને ખરાબ લાગ્યું હોત. ઘણા પુરુષ અફેરની સાથે પરિવારને પણ ચલાવે છે. હું જો આવી બાબતોને મન પર લઈને ઝઘડા કરું તો મારે જ સહન કરવાનું આવે. મારે દુ:ખી નથી થવું, હું મારી જાતને પ્રેમ કરું છું.’

ઝરીના જેવું વિચારવું અને વર્તવું સામાન્ય સ્ત્રીઓ માટે અઘરું છે. કદાચ એક સ્ત્રી તરીકે ઝરીના માટે પણ એના પતિનાં કારનામાં ચલાવી લેવાનું સરળ તો નહીં જ હોય અને એણે આટલાં બધાં વર્ષો સાથે રહ્યા પછી ‘નિસ્પૃહ’ રહેવાનું શીખી લીધું હશે.

ઘણી સ્ત્રી સામાજિક સ્ટેટ્સ, લાઈફ સ્ટાઈલ અને બાળકોની સલામતી માટે આદિત્ય પંચોલી જેવા પતિઓને સહન કરી લેતી હોય છે. લગ્નનો એક સમયગાળો થઇ જાય પછી તેને તોડવાનો વિકલ્પ ઉચિત નથી લાગતો. એવું શક્ય છે કે ઝરીના અને આદિત્ય વચ્ચે એવી સમજૂતી થઇ હોય કે એ એના સંબંધોથી લગ્ન કે પરિવારને પ્રભાવિત થવા નહીં દે અને એ બધું આદિત્ય ઘરની બહાર જ રાખશે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : મીડિયાને યુદ્ધની પૂરી સચ્ચાઈ ખબર ન હોય, પણ જૂઠ ન કહેવાનું સાહસ તો હોવું જોઈએ

13 વર્ષ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં ઝરીનાએ પતિના ઉગ્ર સ્વભાવ અંગે કહ્યું હતું, ‘હું એનો દોષ નથી કાઢતી. મને લાગે છે કે તે ઉંમરનું કારણ છે. તમે યુવાન અને લોકપ્રિય હોવ તો બગડી જવાની સંભાવના વધુ હોય છે. આદિત્ય આખાબોલો છે, જે આ ફિલ્મી જગતમાં ડખા ઊભા કરે છે. મારી દીકરી પણ એવી જ છે!’

કેવી રીતે સાથે રહેવું એ તો અંતત: પતિ-પત્ની વચ્ચેનો મામલો છે. એમાં બીજા લોકો કે સમાજ કશું કરી ન શકે, પણ એ ઝરીનાની તાકાત જ કહેવાય કે એણે તડતડિયા અને લફરાંબાજ આદિત્ય પંચોલીને વર્ષો પહેલાં જ ઓળખી લીધો હતો અને ‘સાચવી’ પણ લીધો હતો. એટલું જ નહીં, ઝરીનાએ બિચારી સ્ત્રી બનીને રહેવાનું પણ પસંદ નથી કર્યું એટલા માટે જ એ બેબાક રીતે પોતાની વાત કરી શકે છે. આદિત્ય સાથે કેવી રીતે પનારો પાડવો તેનો આગવો ઝરીનાએ રસ્તો શોધી
કાઢ્યો છે.

તે વખતે પણ ઝરીનાએ કહ્યું હતું કે આપણે સૌ જીવનમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, પણ આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. ‘મારું જીવન કાયમી ખુલ્લી કિતાબ જેવું છે. બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે. બીજા લોકો ઘરની બહાર સુખી હોવાનો ઢોંગ કરે છે પણ ઘરમાં જુદું જ હોય છે. મારું એવું નથી. આદિત્ય હંમેશાં મારી સાથે પ્રમાણિક રહ્યો છે. એ મારી પાસે પહેલાં એકરાર કરે છે. મેં એને ક્યારેય સવાલ નથી કર્યો.’

ઝરીનાએ એની ક્યારેય ઊલટતપાસ લીધી નથી એટલે પતિ પર વધુ દબાવ રહે છે. ‘એવું જ કરવું જોઈએ,’ ઝરીનાએ કહ્યું હતું, ‘પુરુષની જ્યારે ભૂલ હોય ત્યારે એને દોષનો અહેસાસ થવો જોઈએ. હું ભૂતકાળમાં ચોંટી રહેતી નથી. એની કોઈ ડિમાન્ડ નથી હોતી. જે બનાવું તે હસતા મોઢે ખાઈ લે છે. મને કંટાળો આવે કે થાકી જાઉં મને ખુશ કરવા માટે બધું કરી છૂટે છે.’

ઝરીના એક મજબૂત સ્ત્રીનું ઉદાહરણ છે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે. એણે પોતાના લગ્નને એક ચાન્સ આપ્યો છે એટલે જ તે 38 વર્ષ ટકી રહ્યાં છે. એવું નહોતું એને અસર થઇ નહોતી, પરંતુ એણે ધીરજ જાળવી રાખી હતી.‘કોઈ રસ્તો બચ્યો ન હોત તો હું જરૂર આદિત્યને છોડી ગઈ હોત…’ તેમ એ કહે છે.

એક બાબતમાં ઝરીના સ્પષ્ટ છે કે એ મજબૂરીની મારી આદિત્યની સાથે નથી, પોતાની પસંદગીથી છે. એ કહે છે, ‘હું એને પ્રેમ કરું છું એટલે એની સાથે છું, નિર્ભરતાના કારણે નહીં. હું બહુ આઝાદ મિજાજી છું. મારે એકલા રહેવું હોય તો મારી પાસે પૂરતા પૈસા અને મારા નામે સંપત્તિ છે, પરંતુ હકીકત એ છે કે એને છોડી દેવાનો મને વિચાર ક્યારેય નથી આવ્યો..’
બ્રેવો, ઝરીના!

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: લોકોને સત્ય પસંદ હોય છે, પરંતુ પોતાની અનુકૂળતાનું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button