ઉત્સવ

કેનવાસ: માનવ ઇતિહાસનું સૌપ્રથમ પોડકાસ્ટ કયું હતું?

-અભિમન્યુ મોદી

માનવ ઇતિહાસનો સૌપ્રથમ નોંધાયેલો અને ગ્રંથસ્થ થયેલો પોડકાસ્ટ આપણી પાસે છે અને હા, એને આપણે વાંચી પણ શકીએ છીએ અને એને ભારતીયો ભગવદગીતા કહે છે આજના ઇન્સ્ટાગ્રામ જમાના મુજબ!
પોડકાસ્ટ એટલે શું?

બે વ્યક્તિ વાતચીત કરે એ અને ગામ આખું સાંભળે એ…. મહાભારતની ગીતા એ જ હતી.! યુદ્ધનું મેદાન હતું. અર્જુન વિષાદયોગમાં સવાલો પૂછી રહ્યો છે અને કૃષ્ણ જવાબ આપતા હતા,, જેને સંજય સાંભળીને ધૃતરાષ્ટ્રને કહી સંભળાવતા હતા- રિલે કરી રહ્યા હતા !

ત્યારે માઈક હતાં નહીં, કારણ કે માઈકની જરૂર ન હતી. કૃષ્ણનો પ્રચંડ પણ સૌમ્ય અવાજ એ ધારે તો આખી સૃષ્ટિ સુધી પહોંચી શકે એમ હતો.

સેઇમ ગોઝ ફોર મહાવીર સ્વામી અથવા તો કોઈ પણ તીર્થંકર….તીર્થંકરને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે એમનું પહેલું કામ સમવસરણમાંથી જ્ઞાન આપવાનું શરૂ કરે જેને ફક્ત દેવો કે માણસો નહીં,પરંતુ કોઈ પણ પ્રાણી કે જીવ સાંભળી શકે.

એ વખતે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે ઘણાબધા સવાલ-જવાબ થયા, જે બીજાએ સાંભળ્યા પણ ખરા. એ શું હતું? પોડકાસ્ટ.. ! .

આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં એક જમાનો હતો કે છોકરો ખાસ કંઈ કરતો ન હોય એવું બને. એને પૂછવામાં આવે કે શું કરે છે બેટા? એટલે તરત એના પપ્પા જવાબ આપે:

આ પણ વાંચો…કેનવાસ : DNA ટેસ્ટિંગ કટોકટીના સંજોગોમાં ઓળખચિન્હની ગરજ સારતું સૂક્ષ્મ પણ સચોટ માધ્યમ…

‘ભાઈ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કરે છે ને બસ.. એના માટે સારી ઓફિસ શોધીએ છીએ, તમારા ધ્યાનમાં હોય તો કહેજો.’ આવો જવાબ આવે એટલે આપણે આખું ચિત્ર સમજી જવાનું. એના પછી દશકો આવ્યો શૅરબજારનો. જેને પણ પૂછીએ એ શૅરબજારનું કરતા હોય. પછી આઈ-ટીની બૂમ આવી ને બોસ, કમ્પ્યુટર સિસ્ટમ લઈને જાવા ને સી સી પ્લસ શીખીને લોકો પોતાના સેન્ટર સ્થાપવા લાગ્યા. એના પછી અમુક એલઆઈસીના એજન્ટથી લઈને વોટ્સએપ ગ્રૂપના એડમિન સુધીના સ્ટેટસનો જમાનો આવ્યો. ટિકટોકનો સરદર્દીયો દશકો વહેલો પત્યો અને ઇન્સ્ટાગ્રામની રીલનો સમય આવ્યો…

જોકે, પછી નક્કર દશકો શરૂ થયો છે પોડકાસ્ટનો. દરેક ત્રીજો માણસ અત્યારે પોડકાસ્ટ કરી રહ્યો છે. કોઈ એક અજાણી વ્યક્તિને ફિલ્મના પ્રિમિયરમાં મળો ને એને પૂછે કે તમે શું કરો છો? તો જવાબ મળશે : ‘ઈન્ફલ્યુન્સર છું ને પોડકાસ્ટ કરું છું.’ આપણે હજુ તો કંઈક આગળ પૂછીએ એ પહેલાં તે પોડકાસ્ટર ભાઈ એના સ્પોટીફાયની લિંક સાથે એના કેટલા હજાર ફોલોઅર્સ કે લીસનર્સ છે એ કહી દેશે.

એક ઝમાને મેં જીસ કો ઇન્ટરવ્યૂ બોલા કરતે થે, વો આજ- કલ પોડકાસ્ટ હૈ.

બે માણસ જે કદાચ પહેલી વખત મળે છે એ દુનિયાના દરેક વિષય ઉપર વાત કરે છે. એલિયન્સે ક્રિપ્ટો કરન્સી બનાવી છે, ઈરાનને રશિયાએ હાઇડ્રોજન બૉમ્બ આપ્યો છે, દુનિયાનો દરેક પુરુષ અને દરેક સ્ત્રી વાસ્તવમાં અનુક્રમે ગે અને લેસ્બિયન હોય છે – વગેરે વગેરે જેવા કુછ ભી વિષયો ઉપર પોડકાસ્ટ થાય છે. કરી શકાય છે બિનધાસ્ત!
વિજય માલ્યાના પોડકાસ્ટ પછી તો જે છેવાડાનો માણસ પોડકાસ્ટ એટલે શું એ જાણતો ન હતો એ પણ જાણતો થઈ ગયો.

ઇન્ટરવ્યૂમાંથી પોડકાસ્ટનું નામકરણ થયું કઈ રીતે?

પોડકાસ્ટ કોઈ કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં બનેલા કોઈ સ્ટાર્ટ-અપની દેન નથી. એમટીવીના સ્ટુડિયોમાં વીડિયો જોકી એડમ ક્યુરી અને સોફ્ટવેર ડેવલપર ડેવ વાઈનરે ઓડિયો ફાઇલ્સ માટે પ્રયોગાત્મક ધોરણે આ શરૂ કરેલું-ફક્ત આઈફોન/પેડ/પોડના યુઝર માટે જ. માટે જ આ માધ્યમ આઈ-પોડ+બ્રોડકાસ્ટ=પોડકાસ્ટ તરીકઓળખાયું .

આ પણ વાંચો…કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?

ટેક્નોસેવી નિષ્ણાતોનો એ પ્રયોગ હતો, પણ અગ્નિ અને પૈડાંની શોધની જેમ હવે તો પાણીના ગ્લાસમાં હળદર નાખવી અને પોડકાસ્ટ શરૂ કરવો – એ પણ માનવજાત માટે અતિમહત્ત્વના ગણાવા લાગ્યા છે.

પ્રાચીન ગ્રીક શહેરોમાં ટાઉન સ્કવેર એટલે કે ગામના ચોકને અગોરા કહેવાતો. સોક્રેટિસ એ અગોરામાં જાય. કોઈ પથ્થર પર બેસે. પ્રગાઢ મૌન ધારણ કરે. અચાનક મૌન તોડીને મોટે મોટેથી બોલવા લાગે. એ જે બોલતા એ કોઈ ચોક્કસ વિષય વિષેનું ઊંડું આત્મચિંતન ને આત્મમંથન હોય. થોડા કલાકો બોલ્યા પછી સોક્રેટિસ એવું કહે… ‘હવે વધુ આવતા અંકે’. આ સોક્રેટિસનો પોડકાસ્ટ હતો.

જિસસ ક્રાઇસ્ટ પણ પર્વત ઉપર શું કરતા? પોડકાસ્ટ જ સ્તો. બસ, માઈક હતું નહીં. માઈકની જરૂર હતી નહીં. બુદ્ધ, કબીર આવા મહામાનવો વોકિંગ પોડકાસ્ટર હતા. લોકો એમને સાંભળવા ઘરબાર બધું છોડીને એમના નકશે-કદમ પર ચાલતા. લોકો એમને શ્રદ્ધાળુ કહેતા. પોડકાસ્ટના પ્રામાણિક શ્રોતાઓનું અંતિમ સ્વરૂપ એટલે શ્રદ્ધાળુ થતું હશે. આવાં બીજાં પચાસ ઉદાહરણો આપી શકાય. ગાંધીજીએ પણ પોડકાસ્ટ કરેલા-આપેલા. એ આજના ફોર્મેટમાં રેકોર્ડ ન થયા એટલું જ!

આ માનવસહજ પ્રકૃતિ છે કે બીજા બે જણ શું વાત કરતા હોય એની વાતો દરવાજે કાન મૂકીને સાંભળવામાં મજા આવે છે. પોડકાસ્ટ હવે પ્રમોશન, બિઝનેસ, રાજકારણ કે બીજા અમુક ઉદ્દેશો માટેનું માધ્યમ પણ બની ગયું છે.

દરેક માણસ પોતાને નિષ્ણાત સમજતું હોય એવું પણ દેખાય, પણ પોડકાસ્ટે નોનસેન્સ અને ક્રિન્જ કોન્ટેન્ટ(શરમજનક સામગ્રી)ની સ્ક્રોલિંગ હારમાળા તોડી. કઈંક નક્કર કોન્ટેન્ટ આવ્યું. એ સાચું કે ખોટું એ ચર્ચા અલગ છે, પણ લોકોનો અનુભવ, દરેક વ્યક્તિની પોતાની અલગ કહાની, એનો અલગ પોઇન્ટ ઓફ વ્યૂ આ બધું જાણવાથી સમજશક્તિનો વ્યાપ વધે છે એ ચોક્કસ છે. અમુક સારા પોડકાસ્ટર પણ છે, જે સાચે લાઈફ બદલી શકે છે.

ઓલમોસ્ટ સમકાલીન એવા મહાવીર અને બુદ્ધ બંને મળ્યા હતા કે મળ્યા ન હતા એ ઓથેન્ટિક માહિતી ક્યાંય નથી, પણ માની લો કે એ બંને વિભૂતિઓ-ભગવાન મળ્યા હોત તો કેવો સંવાદ, કેવો પોડકાસ્ટ રચાયો હોત? એ બંને મૌન રહ્યા હોત. આવી વ્યક્તિના મૌનને સાંભળી શકે એવા પરમ શ્રોતા આપણે બની શકીશું?
જવાબ શોધવા ફંફોળવા જેવો ખરો…

આ પણ વાંચો…કેનવાસ : ટીનેજરના સંબંધ ઉપર આપણે ક્યાં સુધી ચોકી પહેરો ભરીશું ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button