કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?

- અભિમન્યુ મોદી
જૂનાં ઘરો અને નવાં ઘરોની બાંધણીને ધ્યાનથી જોઈ છે?
‘શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેજાદી જોઈ હતી’.
ઝરૂખામાં શહેજાદી, રાણી, રાજકુમાર જ કેમ ઉભા હોય? કારણ કે એ ઝરૂખા મહેલોમાં હોય તો હવે બીજો સવાલ, આજથી ત્રણ સદી પહેલાના ઘરોના ચિત્રોમાં સામાન્ય માણસ એટલે કે મધ્યમ આવક ધરાવતા મિડલક્લાસ મેનના મોહલ્લામાં બાલ્કનીઓ દેખાતી હતી? જૂનાં ચિત્રોમાં જો શહેર કે ગલી બતાવવામાં આવી હોય તો બે માળિયા ઘરના છાપરા તો મોટાભાગે ત્રિકોણાકાર જ કેમ રહેતા? બસો-ત્રણસો વર્ષ પહેલા મકાનની હારમાળા ‘C’ કે ‘U’ આકારમાં ભાગ્યે જ જોવા મળતી. અને હવે દરેક ઘરમાં વરંડો, ઓસરી, બાલ્કની, સપાટ અગાશી ચારે દિશામાં ફ્લેટની હારમાળા કેમ દેખાય છે?
એક શબ્દમાં જવાબ જાણવો હોય તો આ રહ્યો જવાબ: ટીબી અર્થાત ટ્યુબરકયુલોસીસ.
આ રાજરોગને આજ સુધી શ્રાપ જ મળ્યા છે. તમારા કુટુંબનો આંબો લો. તેમાં ત્રીજી-ચોથી કે સાતમી-આઠમી પેઢીએ કોઈ તો એવા દુર્ભાગી સ્વજન હશે જ, જેનું મૃત્યુ ટીબી- ક્ષય રોગને લીધે થયું હોય. અત્યારે પણ દુનિયાની પચીસ ટકા વ્યક્તિ એટલે કે કુલ વસતિનો ચોથો ભાગ કોઈના કોઈ સમયે ટીબીથી પીડાય છે.
ખાંસી, કળતર, તાવ માણસને ઘસી નાખે. કુટુંબના એક સભ્યને થાય એટલે બીજાને થવાની સંભાવના વધી જાય. કોઈ યુદ્ધે નહિ લીધો હોય એટલો ભોગ આદિમાનવયુગથી ચાલી આવતા આ રોગે લીધું છે. ઈજિપ્શિયન મૃતદેહોના પરીક્ષણમાં પણ બહાર આવ્યું કે એમનામાંથી મોટા ભાગના ક્ષયરોગથી પીડાતા.
માટે સામૂહિક રીતે કેન્સર કરતાં પણ વધુ ધિક્કારને પાત્ર બનેલો આ રોગાધિરાજ હંમેશાં નફરત પામ્યો છે, પરંતુ ટ્યુબરક્યુલોસીસે મોડર્ન આર્કિટેક્ચરનો પાયો નાખ્યો એ વાત નજરઅંદાજ ન થવી જોઈએ. આજે આપણે જે ડિઝાઈનનાં ઘરોમાં રહીએ છીએ તે ડિઝાઈનનો અમુક ભાગ આ રોગને આભારી છે.
ટીબીની પરાકાષ્ઠા ઔદ્યોગિક ક્રાંતિ વખતે આવી હતી, કારણ કે ફેક્ટરીઓનું પ્રમાણ વધ્યું. માણસો એકબીજાના શારીરિક સંસર્ગમાં વધુ આવતા થયા. બંધિયાર જગ્યાઓ અને લાંબા સમય સુધી એક જ જગ્યા પર કામ કરવાનું જરૂરી બન્યું. ટીબીનો રોગ વધુ ફેલાયો. 1810 થી 1815 વચ્ચે ન્યુયોર્કની ચોથા ભાગની વસતિ ટીબીમાં ખલાસ થઇ ગઈ. અમેરિકાએ ઔદ્યોગિકરણ તરફ દોટ મૂકી તો તેની સાઈડ ઈફેક્ટ ટીબીના સ્વરૂપમાં આવી.
તબીબી સંશોધનકાર રોબર્ટ કોચે ટીબી રોગ માટેના અપરાધી બેકેટેરિયાને છૂટો પાડ્યો 1880 પછી. ત્યાં સુધી એટલો ખ્યાલ આવી ગયો હતો કે ટીબી પેશન્ટને રાહત આપવા માટે એને એકાંતમાં રાખવો. જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય, હવા-ઉજાસ આવે અને ચોખ્ખાઈ હોય માટે આ સમયગાળા દરમિયાન સૂર્યસ્નાન માટે સેનેટોરિયમની સ્થાપના થવાનું શરૂ થઇ ગયું.
જર્મની, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશ મેડિકલ ટુરિઝમ માટે નહિં પણ ખાસ ટીબી-ટુરીઝમ માટે પ્રખ્યાત થઇ ગયા. લોકો સનબાથ લેવા, સ્વચ્છતા વાળી જગ્યામાં એકલા રહેવા માટે આવી જગ્યાઓ ગોતવા લાગ્યા,પણ દરદીઓની સંખ્યા બહુ હતી. માટે હોસ્પિટલો અને સેનેટોરિયમની ડિઝાઈન એવી બનવા લાગી કે તે એકસાથે ઘણાં પેશન્ટને સમાવી શકે અને બધાને પૂરતા સૂર્યપ્રકાશ અને સ્વચ્છતાનો લાભ મળે.
અમેરિકામાં ત્યારે ‘ક્ધઝમ્પશન’ તરીકે ઓળખાતા આ રોગ માટે સૌપ્રથમ સેનેટોરિયમ ડોક્ટર એડવર્ડ લિવિંગસ્ટન ટ્રુડોએ સ્થાપ્યું. તેમાં તડકો આરપાર નીકળી શકે એવા કાચ નાખવામાં આવ્યા અને બાલ્કની જેવો ભાગ સહેજ આગળ વધારવામાં આવ્યો.
ટીબી પેશન્ટ શક્ય એટલો સમય તડકામાં ખુરશી ઉપર બેઠા બેઠા પસાર કરતો. સોલેરિયમની સંખ્યા પણ વધવા લાગી. પછી હેલીઓથેરાપી એટલે કે સૂર્યસ્નાનનો લાભ વધુ લોકોને મળે તેના માટે અગાશીઓની વ્યવસ્થા ચાલુ થઇ. અણીદાર મિનારાની ફેશનનો ત્યાગ કરવો પડ્યો.
પેશન્ટ લાંબા સમય સુધી કેડના દુખાવા વિના બેસી શકે તેના માટે લાકડાની રીક્લાઈનર ખુરશીનું ચલણ વધ્યું. થૂંક જેવા શરીરની બહાર નીકળતા દ્રવ્યોથી પણ ટીબી પ્રસરે માટે વ્યક્તિગત સિન્ક/સેનેટરિવેરનું ચલણ વધ્યું.
ટીબીનો દબદબો જોતા નવાં બનતાં બાંધકામો જ એવાં થવા લાગ્યા કે જેમાં દરેક ખૂણે મહત્તમ સૂર્યપ્રકાશ આવે તથા હવાની અવરજવર ચાલુ રહે. સફાઈમાં સરળતા રહે. 1950 થી તો એન્ટીબાયોટિકનો વપરાશ થવા લાગ્યો માટે લોકો ભૂલી ગયા, પણ નવાં મકાનોની ડિઝાઈન એ મુજબ જ થવા લાગી કે ટીબી ન થાય.
ચંદીગઢ જેવાં શહેરોના વિશ્વવિખ્યાત આર્કિટેકટ લે કોર્બ્યુઝિયરે પણ કહ્યું કે દરેક માણસ કુદરતની બને એટલો નજીક રહે અને ખુલ્લામાં રહે તેવી ડિઝાઈન જ બનવી જોઈએ.
મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ, ટીબી નામની ભયંકર વ્યાધિએ મોર્ડન આર્કિટેક્ચરમાં પ્રદાન કર્યું. એક રોગ માનવસભ્યતાની રહેણીકરણી ઉપર કાયમી અસર છોડી જાય તે વાત મોટી છે.
આપણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : શું તમારા વ્યવસાયને બ્રાન્ડ બનાવવાની જરૂર છે?
આ દુ:ખદાયક ઈતિહાસ કેમ યાદ કર્યો? કારણ કે ભૂતકાળમાં એક રોગે માણસોના ઘરની ડિઝાઈન ફેરવી હતી, આજે માણસો પોતાના એ જ ઘરની ડિઝાઈન બદલાવીને ભવિષ્યની એક મોટી મહામારી બનવા જઈ રહેલા રોગને આમંત્રણ આપી રહ્યા છે. શું છે એ સમજાયું?
ઘરની દરેક દીવાલ ઉપર સ્વીચબોર્ડ હોય અને એમાં એક કરતાં વધુ પ્લગ હોય એવી સવલત ઇન્ટિરિયર ડિઝાઈનર આપી રહ્યા છે. ઘરના કોઈ પણ ખૂણે તમને ફોન ચાર્જ કરવાનું મન થાય કે લેપટોપ લઇને બેસવાનું મન થાય કે ટીવી જોવાનું મન થાય આમ કોઈને કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ચાલુ રહે તેવી ડિઝાઈનવાળા ઘરમાં આપણે રહીએ છીએ.
આ વાત કોઈ સંતની કથા જેવી ઉપદેશાત્મક લાગતી હોય તો એક નક્કર હકીકત જાણો લો કે આવનારા ચાલીસ વર્ષમાં ટકાવારી મુજબ નંબર વન ઉપર કેન્સર કે એઇડ્સ નહિ, પણ ડિપ્રેશન હશે. દુનિયાની અડધી વસતિ 2050 સુધીમાં મેન્ટલ ડિસઓર્ડરથી પીડાતી હશે અને તેમાં વર્ચ્યુઅલ રિયાલિટીમાં જીવાડતાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ કારણભૂત હશે.
ડિઝાઈન બદલો.. રોગ બદલેગા !