ઉત્સવ

વિશેષ પ્લસ : એક એવું મંદિર, જ્યાં ધાર્યું ન હોય એવી એવી અવાક કરી મૂકે તેવી પૂજા થાય છે?

-રાજેશ યાજ્ઞિક

મા કામાખ્યા મંદિર

પૂર્વોત્તરના રમણીય રાજ્ય આસામનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે. ભારતના 51 શક્તિપીઠોમાંથી એક મા કામાખ્યાનું સુંદર મંદિર આસામની ઓળખ છે. આમ તો, રાજકીય બળવા પછી મહારાષ્ટ્રના નેતાઓ મા કામાખ્યાના દર્શને ગયા હોવાથી જેમના માટે અજાણ્યું હતું એમના માટે પણ આ મંદિર જાણીતું બન્યું!

જોકે, પરમ શક્તિના ઉપાસકો માટે આ મંદિરનું અનેરું મહત્ત્વ છે. દેવી કામાખ્યા ફળદ્રુપતા, પુનર્જન્મ, પ્રજનન અને સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે. કામાખ્યા દેવીનો જેટલો ઇતિહાસ રોચક છે એટલો જ રોચક છે ત્યાં ઉજવાતો અંબુબાચી તહેવાર. કામાખ્યા માતા તંત્ર શાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ અહીં તંત્ર સાધના કરનારા સાધકો બહોળી સંખ્યામાં જોવા મળે છે.

હિન્દુ મહિના અષાઢના સાતમાથી દસમા દિવસ સુધીના અંબુબાચીના સમયગાળા દરમિયાન મંદિરના દરવાજા બધા માટે બંધ હોય છે, કારણ કે માન્યતા મુજબ તે સમયે દેવી કામાખ્યા માસિક સ્રાવના વાર્ષિક ચક્રમાંથી પસાર થાય છે. બારમા દિવસે, મંદિરના દરવાજા વિધિપૂર્વક ખોલવામાં આવે છે અને તે દિવસે મંદિર પરિસરમાં એક મોટો મેળો ભરાય છે.
અન્ય કોઈ મંદિરમાં નહીં અને અહીંયા જ કેમ દેવીના માસિક ચક્રની વાત આવે છે? કેમકે ભગવાન શંકરે દેવી સતીના દેહ સાથે તાંડવ કર્યું, ત્યારે દેશમાં 51 સ્થળે એ દેવીના અંગના ભાગો પડ્યા હતા, જેને આપણે ‘શક્તિ પીઠ’ તરીકે ઓળખીએ છીએ. એમાં ગોહાટીના નીલાંચલ પર્વતના આ સ્થળે દેવીની યોનિનો ભાગ પડ્યો હતો. તેથી, અહીં દેવીના ફક્ત યોનિ ભાગની પૂજા થાય છે.

માતા કામાખ્યાની યોનિ વાદળી પથ્થરના રૂપમાં અહીં નિવાસ કરે છે. કાલિકા પુરાણ અનુસાર, આ સ્થાન પર શિવના ત્રીજા નેત્રથી કામદેવ બળીને રાખ થઈ ગયા હતા અને એમને મૂળ સ્વરૂપને પાછું મેળવવાનું વરદાન મળ્યું હતું. ‘અંબુબાચી’નો અર્થ પાણીથી બોળવું એવો થાય છે, કારણે કે આ મહિનામાં અપેક્ષિત વરસાદ પૃથ્વીને ફળદ્રુપ અને પ્રજનન માટે તૈયાર બનાવે છે પરંતુ અંબુબાચી તહેવાર ‘સ્ત્રીના માસિક સ્ત્રાવ કેન્દ્રિત’ છે એવું કહીએ તો ઘણાને આશ્ચર્ય થાય, પણ એ સત્ય છે.

તેનો બીજો ગહન અર્થ પણ થાય છે. સૂત્રાત્મક ભાવના એ છે કે, યોનિ એ કુદરતી સર્જનનું પ્રતીક છે નહીં કે વાસના-કામના પૂર્તિનું. આ તહેવાર પ્રજનન, પુનર્જન્મ અને કુદરતના રક્ષણનો તહેવાર છે. સ્ત્રીના માસિક સ્ત્રાવને આજે પણ બહુમતી લોકો એક લાંછન, એક અપવિત્રતા ગણે છે, જ્યારે અહીં રીતસરનો મેળો ભરાય, દેવીની પૂજા થાય અને તહેવાર ઉજવાય છે.
તેના દ્વારા એ કહેવામાં આવે છે કે સ્ત્રીના શરીર સાથે જોડાયેલી આ ઘટના જેટલી કુદરતી છે તેટલી જ પવિત્ર પણ છે, કારણકે જ્યાં સુધી સ્ત્રાવ છે ત્યાં સુધી જ જન્મ રૂપે સર્જન શક્ય છે, તેના વિના નહીં. વરસાદ પડે અને પૃથ્વી નવપલ્લવિત થાય એ પણ આવી જ એક પ્રક્રિયા છે. તેથી જો પૃથ્વીનું સર્જન અને તેની પ્રક્રિયા ઉજવાતી હોય તો સ્ત્રીનો માસિક સ્ત્રાવ કેમ નહીં? છે ને કેવી ઉમદા અને તાર્તિક વાત?!

આ પણ વાંચો…વિશેષ પ્લસ : માત્ર માનવ નહીં પશુ-પંખી પણ હોય છે સમજદાર!

અંબુબાચી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બને છે. કહેવાય છે કે દેવી માસિક ધર્મ શરૂ થાય તે પહેલાં, ગર્ભગૃહમાં મહામુદ્રાની આસપાસ સફેદ કપડાં પાથરવામાં આવે છે. જ્યારે ત્રણ દિવસ પછી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે દેવીના માસિક રક્તને કારણે આ કપડાં લાલ થઈ જાય છે!

તમને જાણીને નવાઈ લાગશે કે, ભક્તોને દેવીની યોનિનો આ અંગત અંગવસ્ત્રનો ટુકડો પ્રસાદ રૂપે આપવામાં આવે છે, જેને ભક્તો આશીર્વાદ રૂપે ગ્રહણ કરે છે અને સાથે એવી માન્યતા પણ છે કે આ આશીર્વાદથી ગર્ભ ધારણ ન કરી શકનારી સ્ત્રી, માતૃત્વ મેળવે છે. અન્ય એક રહસ્યમયી ઘટનામાં આ સમયે બ્રહ્મપુત્ર નદીનું પાણી ત્રણ દિવસ સુધી લાલ રહે છે…!
અંબુબાચી યોગ ઉત્સવ દરમિયાન માતા ભગવતીના ગર્ભગૃહના દરવાજા બંધ કરવામાં આવે છે અને તેમના દર્શન પણ પ્રતિબંધિત છે. ત્રણ દિવસ પછી જ્યારે મા ભગવતીનો રજસ્વલા કાળ સમાપ્ત થાય છે ત્યારે એમની વિશેષ પૂજા અને ધ્યાન કરવામાં આવે છે.

ચોથા દિવસે દેવીને સ્નાન કરાવ્યા પછી અને બ્રહ્મ મુહૂર્તમાં શણગાર્યા પછી જ ભક્તોના દર્શન માટે મંદિર ખોલવામાં આવે છે. જોકે, માસિક ધર્મના આ ઉત્સવ પર્વ વખતે જેમનો માસિક ધર્મ ચાલતો હોય તેવી સ્ત્રીને અહીં મંદિર પ્રવેશ પર પ્રતિબંધ હોય છે…આને એક વિરોધાભાસ કે વિટંબણા પણ કહી શકાય…

આ પણ વાંચો…વિશેષ પ્લસ : અપમાન કરનારા મિત્ર સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button