ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં રંગો ને સુગંધની સફર એટલે કુદરતે બક્ષેલી અણમોલ ભેટ…

- કૌશિક ઘેલાણી
વેલી ઓફ ફ્લાવર્સ એટલે સુગંધોની સફર. આપણે હંમેશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ, પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેમણે ચોક્કસપણે આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા જોઈને એવું લાગે કે માનવી ભલે ગમે તેટલી શોધ કરી લે, નવાં નવાં યંત્રો શોધી કાઢે, પરંતુ નિસર્ગના સર્જન સામે તે હંમેશાં પાંગળો જ રહેશે. કોઈપણ માનવી અથાગ પ્રયત્નો પછી પણ આવી ફૂલોની ઘાટી બનાવવા અસમર્થ છે. આ વિશાળ અને ખૂબસૂરત વિસ્તાર ખૂબ જ વિશાળ છે. પરિણામે નિર્જન હોય એવું દીસે. અહીંનું વાતાવરણ હંમેશાં શાંતિપૂર્ણ અને આહલાદક છે. અહીં જવાનો સમય જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો છે. સામાન્ય રીતે હિમાલય વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલન જેવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ જુલાઈના અંતમાં જ અહીં બધાં ફૂલો એના સંપૂર્ણ રંગોમાં રંગાય છે એટલે એને એના વાસ્તવિક રૂપમાં જોવા માટે આ સમયગાળો જ શ્રેષ્ઠ છે.
ઘાંઘરિયાથી આગળ જતો બીજો ટ્રેક આપણા વેલી ઓફ ફ્લાવર્સ તરફ જાય છે. ત્યાં આશરે ચાર કિલોમીટર જેટલો ટ્રેક છે. અહીંથી પસાર થતા એવું લાગે કે જો રસ્તો જ આટલો સુંદર છે તો વેલી કેટલી રમણીય હશે. અહીંનો સફર દરેક પગલે કંઇક ને કંઈક નવું દૃશ્ય અને શ્રાવ્ય બંને રીતે આપે છે. આ સ્થળની એક બહુ જ ખાસ વાત એ છે કે આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. તમને ક્યાંય રસ્તા પર ફેંકાયેલા પ્લાસ્ટિક નહીં દેખાય. રસ્તા પર એક મજાનું બોર્ડ દેખાશે જેના પર લખ્યું હશે, ‘કુછ દેર બેઠ કર પ્રકૃતિ કે નજારો કા આનંદ લે.’ વેલી ઓફ ફ્લાવર્સનો મિજાજ જ અલગ પ્રકારનો છે. વેલીમાં દાખલ થતાં જ એમ લાગે જાણે કોઈ કલ્પનાનાં પ્રદેશમાં પહોંચી ન ગયા હોઇએ. ચારે તરફ ગાઢ વનરાજી, વિશાળ પર્વતો, હિમશિખરો અને તેમની વચ્ચે દેખાતા ગ્લેશિયર એ બધાના વર્ણન માટે શબ્દો ખૂટી પડે. ચોતરફ નજર કરીએ તો રંગબેરંગી, વિવિધ આકારોમાં અલગ અલગ રૂપરંગના અઢળક ફૂલો મરક મરક હાસ્ય કરતાં જોવા મળે. આ વેલીમાં પાંચસોથી પણ વધુ પ્રકારના વિવિધરંગી ફૂલો જોવા મળે છે અને તેને પૂર્ણ રીતે ખીલવાનો સમય મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ વચ્ચેનો હોય છે. વેલીમાં દાખલ થતાં જ આપણે ક્યારેય ન જોયેલાં એવાં ભિન્ન ભિન્ન આકારનાં પર્ણો અને વનસ્પતિ દિગ્મૂઢ કરી મૂકે એમ છે. પ્રાચીન સમયમાં જેના પર લખાણ થતું એવાં ભોજપત્રોનાં વૃક્ષો પણ ઠેર ઠેર જોઇ શકાય છે. આ ઉપરાંત, જંગલી ગુલાબ, બ્રહ્મકમળ, બ્લુ પોપી જેવાં ફૂલો સાથે વેલીનું અપાર સૌંદર્ય કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દેશે. અહીંનાં સૌંદર્ય થકી કોઈ પણ ઉંમરનો વ્યક્તિ બાળકની માફક જિજ્ઞાસુ અને ઉત્સાહિત બની જાય. ઊંચી પહાડીઓ તેમજ તેની વચ્ચે આવેલા વિશાળ બ્યૂગ્યલો એટલે કે ઘાસનાં વિશાળ મેદાનો અને તેમાંથી પસાર થતા ખળખળ વહેતા સંગીતમય ઝરણાઓ, રંગબેરંગી હિમાલયના પક્ષીઓના મધુર અવાજો, પવનના સુસવાટા, પાંદડાઓનો અવાજ દરેક ભેગા મળીને એક કર્ણપ્રિય સંગીતમય ધૂનની રચના કરે છે અને આવી અદ્ભુત ધૂનને માણતાં માણતાં અહીં જ હંમેશાં માટે સ્થાયી થઇ જવાનું મન થઇ જાય એવું છે. આ વેલી માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અહીં કેટલીક એવી ઔષધીઓ પણ મળી આવે છે જે સમગ્ર વિશ્વમાં અપ્રાપ્ય છે. પક્ષીવિદો અને વનસ્પતિમાં રસ ધરાવતી વ્યક્તિઓ માટે તો આ સ્થળ સ્વર્ગસમા ખજાના જેવું કહી શકાય. અહીં પ્રકૃતિનું અજોડ સર્જનસમા હિમાલયન મોનાલ, વિવિધ સનબર્ડ્સ, હિમાલયન વલચર, ગોલ્ડન ઇગલ જેવા દુર્લભ પક્ષીઓ મુક્તપણે વિહરતાં આપણને મંત્રમુગ્ધ કરી મૂકે છે. ક્યાંક ધવલ વાદળોની ફોજ પહાડની ટોચ પર બેસીને પહાડો સાથે વાર્તાલાપ કરતી જોઈ શકાય તો વળી ક્યાંક વચ્ચેથી જગા કરીને અવનીને સ્પર્શતાં સૂર્યના કિરણો… આવું અઢળક છે અહીં જે આપણને બે ઘડી વિચારતા કરીને નિસર્ગ સાથે આપણને પરિચય કરાવે છે.
કોઈપણ આશય વિના ક્યાંક નીકળી પડવું હોય તો ઉત્તરાખંડની આ જગ્યા સર્વશ્રેઠ કહી શકાય. અહીં બધા જ સરળતાથી પહોંચી શકે છે. અહીં પહોંચવા માટે ઋષિકેશથી વાહનો સરળતાથી મળી રહે છે અને નજીકનું સૌથી મોટું માર્કેટ જોશીમઠ છે.
જોશીમઠમાં એકાદ બે દિવસ રહીને અહીંનો આનંદ લઇ શકાય છે. નિસર્ગનો આનંદ જે સ્થળે મળે એ સ્થળે ખુલ્લા દિલથી લઇ લેવો જોઈએ કારણ કે, આજના આધુનિક યુગમાં ધીરે ધીરે કુદરત લુપ્તતાનાં આરે આવીને ઊભી છે. કુદરત સાવ જ આધુનિકતાની ગર્તામાં ધકેલાય જાય એ પહેલાં અહીંની ખુલ્લી હવામાં શ્વાસમાં અને અહીંના સત્વ અને તત્ત્વને મનમાં ભરી લેવું જોઈએ.
આપણ વાંચો: બોલો, તમે શું કહો છો? જન્મ – જન્માક્ષર – જન્માંતર