મહારાષ્ટ્રમાં હિન્દી લાદવા દેવાશે નહીં, ભાજપ ભાષાના આધારે વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: ઉદ્ધવ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રમાં હિન્દી ‘લાદવા’ સામે પોતાનો તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાજપ પર ભાષાના આધારે લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવો દાવો કર્યો હતો કે તેમના ભૂતપૂર્વ સાથી ભાજપ મુખ્યત્વે મરાઠી ભાષી રાજ્યમાં ‘ભાષા કટોકટી’ લાદવાનો પ્રયાસ કરી રહી છે.
ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું કે તેમનો પક્ષ હિન્દીનો વિરોધ કરતો નથી, પરંતુ ચોક્કસપણે તેના લાદવાની વિરુદ્ધ છે.
‘અમે કોઈપણ ભાષાનો વિરોધ કે ધિક્કાર કરતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે કોઈપણ ભાષા લાદવા દઈશું. અમે હિન્દી લાદવાનો વિરોધ કરીએ છીએ અને તે ચાલુ રહેશે,’ એમ તેમણે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ પહેલાથી પાંચમાના વિદ્યાર્થીઓને હિન્દી શીખવવા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારપૂર્વક જણાવ્યું હતું.
‘ભાજપ ભાષાના આધારે લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ભાષા કટોકટી લાદી રહી છે,’ એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં હિન્દી લાદવી રાષ્ટ્રીય પક્ષના છુપાયેલા એજન્ડાનો એક ભાગ છે. જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જાહેર કરે કે રાજ્યની શાળાઓમાં હિન્દી ફરજિયાત નહીં બનાવવામાં આવે તો વિવાદાસ્પદ ભાષાનો મુદ્દો ઉકેલી શકાય છે, એવી દલીલ વિપક્ષી નેતાએ કરી હતી.
તેમણે કહ્યું કે 2019થી 2022 સુધીના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની બધી શાળાઓમાં મરાઠીને ફરજિયાત વિષય બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમના કટ્ટર હરીફ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, જે શાસક ગઠબંધન ભાગીદાર શિવસેનાનું નેતૃત્વ કરે છે તેના પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ગદ્દારોને’ પાર્ટીના સ્થાપક સ્વ. બાળ ઠાકરેના આદર્શો વિશે જણાવવાની જરૂર છે.
આપણ વાંચો :શરદ પવારે દાવોસ સમિટ મામલે ફડણવીસ અને સામંતને ઝાટક્યા અને ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું કે…