Uncategorized

‘નીચા નગર’ સાથે ઓરમાયું વર્તન કેમ થયું?

હેન્રી શાસ્ત્રી

સત્યજિત રાયને પ્રેરણા આપનારી અને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’નો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી એકમાત્ર હિન્દી ફિલ્મ આજે સાવ વિસરાઈ ગઈ છે.

ડિયર ચેતન આનંદ,
તમારી ફિલ્મ ‘નીચા નગર’ જોઈ. હું બહુ જ પ્રભાવિત થયો અને પ્રમાણિકપણે કહું તો એ ફિલ્મ જોઈને જ મને મારી પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ બનાવવાની પ્રેરણા મળી…..

આ એ પત્રના અંશ છે જે વિશ્વ વિખ્યાત ફિલ્મ સર્જક સત્યજિત રાયએ આ ચિત્રપટથી પ્રભાવિત થઈ ‘નવકેતન ફિલ્મ્સ’ના ત્રણ આનંદ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ ચેતન આનંદ (અન્ય બે નાના ભાઈ હતા દેવ આનંદ અને વિજય આનંદ)ને લખ્યો હતો. (અલબત્ત, પત્રના શબ્દોમાં ફેરફાર હશે, પણ ભાવાર્થ આબેહૂબ જળવાયો છે).

આપણ વાંચો: ભારત-પાક તણાવ મુદ્દે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ શું કામ મૌન છે?

આ સ્મૃતિ ઉખેળવાનું કારણ એટલું જ કે આ વર્ષે આયોજિત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’નું પ્રીમિયર થયું, સત્યજિત રાયની ‘અરણ્યેર દિન રાત્રી’નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું અને એ ફિલ્મની અભિનેત્રીઓ શર્મિલા ટાગોર – સિમી ગરેવાલે એ રેડ કાર્પેટ પર વોક કરી, અનુપમ ખેર દિગ્દર્શિત ‘તન્વી ધ ગ્રેટ’નું સ્ક્રિનિંગ થયું, કોમ્પિટિશન જ્યુરીમાં પાયલ કાપડિયાની હાજરી જોવા મળી … વગેરે વાતો મીડિયામાં ગાજી, એનાં ગીત ગવાયાં અને દેશભરમાં પડઘા પડ્યા.

આજે તો મીડિયા – સોશિયલ મીડિયા પાવરફુલ છે અને સિદ્ધિના ગુણગાન તાત્કાલિક જગતના ખૂણે ખૂણે પહોંચી જાય છે. ખેદની વાત એ છે કે 1946માં આયોજિત પ્રથમ ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રતિષ્ઠિત Palme d’Or એવોર્ડ મેળવનારી પ્રથમ અને એકમાત્ર ભારતીય ફિલ્મ ‘નીચા નગર’ આજે સદંતર વિસરાઈ ગઈ છે.

એથી વધુ પીડા આપનારી વાત એ છે કે ભારતીય સિને રસિકોને આ ફિલ્મ થિયેટરમાં જોવાનો મોકો જ નથી મળ્યો. આ એ ફિલ્મ છે જેણે સત્યજિત રાયને ‘પાથેર પાંચાલી’ (1955) ફિલ્મ બનાવવા પ્રેરણા આપી (જે ખુદ ડિરેક્ટરે કબુલ્યું છે). એટલું જ નહીં, ‘નીચા નગર’ના મેકિંગની લાઈટિંગ સહિતની કેટલીક ટેક્નિકથી પ્રભાવિત થયેલા રાજ કપૂરએ એનો ઉપયોગ ‘આવારા’ (1951)માં કર્યો હતો.

આપણ વાંચો: શો-શરાબા : જિસકી મૂવી લંબી ઉસકા ભી બડા નામ હૈ…!

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ સ્તરે ફિલ્મોમાં લોકેશન
શૂટિંગ, સમકાલીન કથા – વિચાર વગેરે રજૂ થવા લાગ્યા. ફિલ્મ મેકિંગની આ શૈલી ગયજ્ઞ છયફહશતળ (નવ વાસ્તવવાદ) ચળવળ તરીકે ઓળખાઈ. ભારતમાં નવ વાસ્તવવાદ ફિલ્મો શરૂ કરવાનો શ્રેય ચેતન આનંદ (નીચા નગર), બિમલ રોય (દો બીઘા જમીન) અને ખ્વાજા અહમદ અબ્બાસ (ધરતી કે લાલ)ને આપવામાં
આવે છે.

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગોર્કીના નાટક પર આધારિત હિન્દી વાર્તા ‘નીચા નગર’ પર આધારિત એજ નામ ધરાવતી ફિલ્મ ‘નીચા નગર’ની વાર્તાનું કેન્દ્રબિંદુ હતી એક કાલ્પનિક શહેરમાં વસતા રાય અને રંક વચ્ચેની વિશાળ ખાઈ.

ધનવાન જમીનદાર પોતાના વિસ્તારની ગટરની ગંદકી કારમી ગરીબીમાં જીવતા નીચા નગર તરફ ધકેલી દેતા એમનું જીવન બદતર થઈ જાય છે. નીચા નગરમાં રોગચાળો ફેલાય છે અને બીમારીમાંથી ધન કમાઈ લેવાની લાલસાએ જમીનદાર ત્યાં હોસ્પિટલ શરૂ કરે છે. એક આદર્શવાદી યુવકના નેતૃત્વ હેઠળ ગામવાસીઓ જમીનદારનો વિરોધ કરે છે, જેમાં જમીનદારની દીકરીનો જ સાથ મળે છે. અને..

આપણ વાંચો: ફિલ્મનામા : હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા લોગો કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા…

જો આટલું જાણી તમને રસ પડ્યો હોય અથવા લગભગ
80 વર્ષ પહેલાં બનેલી ફિલ્મને મોટું સન્માન મળ્યું હતું એ જાણ્યા પછી એ જોવાની ઈચ્છા થાય તો એ ‘યુટ્યુબ’ પર ઉપલબ્ધ છે. જરૂર જો જો…

ભારતમાં બ્રિટિશ શાસનનો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો ત્યારે બ્રિટિશ સત્તાધીશોએ આકરા નિયમો – પ્રતિબંધો લાદ્યા હતા. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મર્યાદિત બજેટમાં કલાકાર કસબીઓના સહયોગથી આ ફિલ્મ તૈયાર થઈ શકી અને એવોર્ડ મેળવવામાં પણ સફળ રહી. જોકે, ‘કાન ફેસ્ટિવલ’માં મળેલી ધમાકેદાર સફળતા પછી સ્વદેશમાં ફિલ્મ રિલીઝ કરવા કોઈ ડિસ્ટ્રિબ્યુટર તૈયાર ન થયો.

જો પંડિત નેહરુએ કોશિશ ન કરી હોત તો ફિલ્મ થિયેટરમાં રિલીઝ પણ ન થઈ શકી હોત. અહીં નોંધવું રહ્યું કે ફિલ્મનું બલરાજનું મહત્ત્વનું પાત્ર નેહરુ પર આધારિત હતું.

ઈતિહાસના પ્રોફેસર, લંડનમાં ઉચ્ચ અભ્યાસ અને મુંબઈમાં ‘ઈપ્ટા’ના સભ્ય જેવું કારકિર્દી વૈવિધ્ય ધરાવતા ચેતન આનંદની ‘નીચા નગર’ દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ હતી. પહેલી જ ફિલ્મને પ્રતિષ્ઠિત પારિતોષિક વિખ્યાત ઈટાલિયન ફિલ્મમેકર રોબર્ટો રોઝેલિનીની Rome Open City સાથે મળ્યું હતું.

આપણ વાંચો: જ્યારે દિગ્ગજ સ્ટાર્સ સેટ પર ટકરાય…

વૈશ્વિક સન્માન મેળવનાર આ પ્રથમ ભારતીય ફિલ્મ ઉપરાંત ભારતીય જીવનનું પ્રતિબિંબ ઝીલી પશ્ર્ચિમના દેશોને પ્રભાવિત કરનારી પણ આ પહેલી ભારતીય ફિલ્મ હતી. અને હા, જગવિખ્યાત સિતાર વાદક રવિશંકરની સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ હતી, પણ શિખર પર વાવટો લહેરાયો હોવા છતાં એ ફિલ્મ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગઈ એ મોટી કરુણતા કહેવાય.

‘નીચા નગર’ ભારતમાં કેમ રિલીઝ ન થઈ એનું કોઈ સત્તાવાર કારણ નથી, પણ એ સમયે ભારતમાં બ્રિટિશ શાસન હતું અને સામ્રાજ્યવાદ વિરોધી ફિલ્મ બ્રિટિશ સેન્સરશિપને આંખમાં કણાની જેમ ખૂંચી હોય અને એટલે એને પ્રદર્શિત થવા ન દીધી હોય આ સંભાવના છે.

વિદેશમાં વાહવાહ પણ સ્વદેશમાં જે રીતે એની ઉપેક્ષા થઈ એનાથી નિરાશ થયેલા ચેતન આનંદએ પછી ફિલ્મ બનાવવાની પદ્ધતિ બદલી નાખી. આનાથી હિત સધાયું કે અહિત થયું એ તો ‘નીચા નગર’ અને ત્યારબાદની એમની ફિલ્મો જોઈ દરેક જણે જાતે નક્કી કરી લેવું. જોકે, આ બદલાવ એટલો ઘેરો હતો કે જ્યારે સૌથી નાના ભાઈ વિજય આનંદે ફિલ્મોમાં કરિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદે એમને કહ્યું કે દરેક તબક્કે બાંધછોડ કરવા માટે તૈયાર રહેવું પડશે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

વિજય આનંદે પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઉમા ભાભીના કહેવા અનુસાર ‘નીચા નગર’ પછી ચેતન આનંદએ સતત બાંધછોડ કરવી પડી હતી. વાત દીવા જેવી સ્પષ્ટ છે. ‘નીચા નગર’ની કરુણાંતિકા બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફ્ળતા સુધી સીમિત ન રહી. સૌથી મોટો ફટકો એ પડ્યો કે ચેતન આનંદે પાંખો ફેલાવી ફિલ્મો બનાવવા પર જાતે જ લગામ મૂકી દીધી.

દેશના ભાગલા પછી ફિલ્મના નિર્માતા એ. હલીમ ફિલ્મની નેગેટિવ લઈ પાકિસ્તાન જતા રહ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનારી આપણી એ ફિલ્મ નામશેષ થઈ ગઈ એવું દેશવાસીઓએ માની લીધું, પણ સદનસીબે સત્યજિત રાયના સિનેમેટોગ્રાફર સુબ્રોતો મિત્રને ભંગારની એક દુકાનમાં સબડી રહેલી આ ફિલ્મના રીલ મળ્યા અને આપણી મૂડી આપણી તિજોરીમાં આવી ગઈ.

ચેતન આનંદ અને સત્યજિત રાયને એકબીજાની ક્રિયેટીવીટી માટે અનહદ આદર હતો. ‘નીચા નગર’ માટે રવિશંકર અને ત્યારબાદ ‘આંધિયા’ માટે અલી અકબર ખાનને સંગીતકાર તરીકે અજમાવવાના ચેતન આનંદના સાહસથી પ્રોત્સાહિત થઈ સત્યજિત રાયએ એમની ફિલ્મો ‘અપુટ્રિલોજી’, ‘પારસ પત્થર’ અને ‘દેવી’માં આ બંને મહારથીને સ્વરાંકનની જવાબદારી સોંપી હતી.

ચેતન આનંદની એ એક ફિલ્મ ‘નીચા નગર’ના કેટકેટલાં
યોગદાન છે, પણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button