શું સૌરભ ભારદ્વાજે ‘સેલ્ફ ગોલ’ કરીને ભાજપને આપ્યું મોટું હથિયાર?

દિલ્હીના નવા મુખ્ય પ્રધાન અને કેજરીવાલના ઉત્તરાધિકારીની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદ આતિશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે ‘મહિલા કાર્ડ’ રમીને 50 ટકા વસ્તીને અપીલ કરવાનો પ્રયાસ કર્યો છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ તેને ‘માસ્ટરસ્ટ્રોક‘ માની રહ્યા છે, ત્યારે કેજરીવાલ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કંઈક એવું કહ્યું છે જેને હવે ભાજપે એક મોટું હથિયાર બનાવી દીધું છે.
આતિશીને વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા તે પહેલા જ ભારદ્વાજે કોઈપણ ખચકાટ વિના મીડિયાને કહ્યું હતું કે સીએમ કોઈ પણ બને, ખુરશી કેજરીવાલની છે. જે રીતે તેમના નિવેદનને ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગંભીરતાથી લીધા છે તે જોતા એવો સવાલ થઇ રહ્યો છે કે શું સૌરભ ભારદ્વાજે સેલ્ફ ગોલ કર્યો છે.
સૌરભ ભારદ્વાજે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમ પણ કહ્યું હતું કે રાજીનામું આપવાનો નિર્ણય કરીને કેજરીવાલે બરાબર એ જ કર્યું છે જે ભગવાન રામે ગૌરવ ખાતર અયોધ્યાની ગાદી છોડીને કર્યું હતું.
જેમ ભગવાન રામ વનવાસમાં ગયા પછી તેમના નાના ભાઈ ભરતે તેમની પાદુકાને સિંહાસન પર બેસાડીને શાસન કર્યું હતું , તેવી જ રીતે દિલ્હીના નવા મુખ્ય પ્રધાન પણ કેજરીવાલ મુખ્ય પ્રધાન પદ પર પરત ફરે ત્યાં સુધી શાસન કરશે. સીએમ ભલે કોઇ પણ બને પણ ખુરશી કેજરીવાલ પાસે જ રહેશે, કારણ કે જનાદેશ તેમના નામે જ આપવામાં આવ્યો હતો.
સૌરભ ભારદ્વાજે આ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ભાજપે ભારદ્વાજના નિવેદનના આધારે આમ આદમી પાર્ટીને ઘેરવાનું શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ એક મહિલાને મુખ્ય પ્રધાન બનાવ્યાનું કહીને માઇલેજ લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભાજપે સૌરભ ભારદ્વાજને ટાંકીને કહ્યું હતું કે તેઓ ડમી સીએમ છે. ભાજપના નેતાઓ આતિશીના માતા-પિતા પર અફઝલ ગુરુ માટે લડવાનો આરોપ પણ લગાવી રહ્યા છે.
આપણ વાંચો: ‘અમારી સરકાર બની તો પશ્ચિમી યુપી બનશે અલગ રાજ્ય’: મતદારોને રિઝવવા માયાવતીનો માસ્ટરસ્ટ્રોક
ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પહેલા દિલ્હીની નજીક જેલમાં બંધ વ્યક્તિ સીએમ બન્યો, પછી જામીન પરનો વ્યક્તિ સીએમ બન્યો.
હવે એક ડમી સીએમ બનવા જઈ રહ્યો છે. ડમી સીએમનો આ શબ્દ મારો નથી, સૌરભ ભારદ્વાજ અને સોમનાથ ભારતીનો છે જેઓ કહી રહ્યા છે કે હવે જે પણ મુખ્ય પ્રધાન બનશે તે માત્ર ડમી સીએમ હશે. તે માત્ર નાઈટવુમનની ભૂમિકામાં હશે. આ મેં નથી કહ્યું પણ સૌરભ ભારદ્વાજે કહ્યું હતું. તમે ભલે એક મહિલાને સીએમ બનાવી, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમને ડમી સીએમ સાબિત કરી દીધા.