ગારગાઈ પ્રોજેક્ટને વન્યજીવન અને પર્યાવરણને લગતી મંજૂરી બાકીરાજ્ય તરફથી એપ્રિલમાં મંજૂરી મળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની વધતી લોકસંખ્યા અને પાણીની વધતી માગણીને જોતા મુંબઈ મહાનગરપાલિકાએ પ્રસ્તાવિત ગારગાઈ બંધનું કામ હાથમાં લીધું છે.
જોકે આ પ્રોજેક્ટને હજી સુધી કેન્દ્રના વન્યજીવ અને પર્યાવરણને લગતી આવશ્યક મંજૂરીઓ મેળવવાની બાકી છે. આ મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરીને બંધનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવવાનું છે.
ગારગાઈ પ્રોજેક્ટને મુંબઈ મહાનગરપાલિકાએ સૌ પ્રથમ ૨૦૨૦ની સાલમાં મંજૂરી આપી હતી. તેમ જ ગારગાઈ બંધના કામ માટે આવશ્યક વન્યજીવ અને પર્યાવરણને લગતી આવશ્યક બાબતોને રાજ્ય સરકાર તરફથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૧૭ એપ્રિલના રોજ મંજૂરી આપી હતી.
મુંબઈગરાને ૪૪૦ મિલ્યન લિટર વધારાનું પાણી ગારગાઈ બંધમાંથી ઉપલબ્ધ થવાનું છે. ગારગાઈ બંધનું કામ પૂરું કરવા માટે વન્યજીવ અને પર્યાવરણને લગતી શરતોને આધીન કામ કરવાનું છે.
મુંબઈ મહાનગરપાલિકાના વોટર સપ્લાય પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સૌરભ દેશપાંડેએ જણાવ્યું હતું કે ગારગાઈ બંધને કારણે મુંબઈને દરરોજ ૪૪૦ મિલ્યન લિટર પાણી ઉપલબ્ધ થવાનું છે.
આ પ્રોજેક્ટને કારણે છ ગામનું પુનર્વસન કરવું પડવાનું છે, જેમાં વાડાના દેવલી ગામ ન જીક ૪૦૦ હેકટર જમીન તેમના પુનર્વસન માટે નક્કી કરવામાં આવી છે.
વધુ માહિતી આપતા સૌરભ દેશપાંડેએ જણાવ્યું હતું કે જમીન સીમાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સીમાંકન અને અસરગ્રસ્તના પુનર્વસનની દેખરેખ માટે એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્ર તરફથી મંજૂરી મળવાની બાકી છે. એક વખત મંજૂરી મળી જાય તો તે બાદ તરત ટેન્ડર બહાર પાડીને કામ ચાલુ કરવામાં આવશે. આ પૂરા પ્રોજેક્ટનો પૂરો ખર્ચ લગભગ ૩,૧૦૫ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
આ પણ વાંચો…ગારગાઈ પ્રોજેક્ટ પાટે ચઢ્યો!