
વડોદરાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તાજેતરમાં શરતી જામીન મળ્યા હતા. જે બાદ આજે તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયા હતા. જેલમાંથી ચૈતર વસાવા બહાર આવતાં જ તેના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને ખભે બેસાડી તેનું શાનદાર સ્વાગત કર્યું હતું.
હાઈ કોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આશરે અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ ગઈ હતી. ચૈતર વસાવા જેલ મુક્ત થવાના હોવાથી વહેલી સવારથી જ તેના સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા
જામીન મંજૂર કરતી વખતે હાઈ કોર્ટે કેટલીક શરતો મૂકી હતી. જે મુજબ ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકવામાં આવી હતી. ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો તેઓ ફરીથી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે, તો તેમના જામીન રદ થઇ શકે છે. તેમને તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
શું હતો મામલો
આશરે અઢી મહિના પહેલા ડેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા હતા. જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.

પોલીસ સાથે ઘર્ષણ અને ફરજમાં રુકાવટ
ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા.
ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે પ્રવેશઃ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

વન અધિકારી પર હુમલો અને ખંડણી:
ચૈતર વસાવા પર વન અધિકારીને ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને ખંડણી વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા.

હોટેલ મેનેજર પર હુમલોઃ
સપ્ટેમ્બર 2024 માં ચૈતર વસાવા અને તેમના 20 જેટલા સમર્થકો સામે ડેડીયાપાડામાં હોટેલ મેનેજર પર હુમલો કરવા, તોફાન કરવા અને ફોજદારી ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેમને રેસ્ટોરન્ટના બિલ પતાવવા માટે કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા, જાણો શું હતો મામલો