અંબરનાથમાં ભાજપને મોટો ફટકો: અજિત પવાર જૂથે વ્હીપ ફગાવી શિંદે જૂથને ટેકો આપ્યો, સદાશિવ પાટીલની જીત

અજિત પવાર જૂથના ટેકાથી શિવસેનાના સદાશિવ પાટીલ જીત્યા, ભાજપ અને શિંદે જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલ મ્યુનિસિપલ ચૂંટણીઓનો જંગ ચાલી રહ્યો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગઠબંધનના સાથી પક્ષો અનેક ઠેકાણે એકમેકના વિરોધમાં ઊભા છે. આ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, ભાજપે ઘણી જગ્યાએ શિવસેના શિંદે જૂથ સાથે ગઠબંધન કર્યું છે, જ્યારે કેટલીક જગ્યાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અજિત પવાર જૂથ પણ આ ગઠબંધનમાં સામેલ છે.
દરમિયાન, જ્યાં અજિત પવાર જૂથ ભાજપ અને શિવસેના શિંદે જૂથ સાથે ગઠબંધન કરી શક્યું નથી, ત્યાં કેટલીક જગ્યાએ અજિત પવાર જૂથે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ સાથે ગઠબંધન કર્યું છે. પુણે અને પિંપરી ચિંચવડમાં NCP અજિત પવાર જૂથ અને NCP શરદ પવાર જૂથ વચ્ચે ગઠબંધન છે. આ દરમિયાન જ્યારે મ્યુનિસિપલ ચૂંટણી માટે જંગ ચાલી રહ્યો છે, ત્યારે અંબરનાથમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
અંબરનાથ નગરપાલિકાના ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના અંબરનાથ વિકાસ આઘાડીનો પરાજય થયો છે. બીજી તરફ, શિવસેના શિંદે જૂથના શિવસેના અંબરનાથ મહાયુતિ આઘાડીનો વિજય થયો છે. શિવસેનાના ઉમેદવાર સદાશિવમામા પાટીલનો વિજય થયો છે. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપ સમર્થિત ઉમેદવારની હાર સાથે હવે ભાજપના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ છે.
અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ કોર્પોરેટરની સંખ્યા 59 છે. આ નગરપાલિકામાં 14 ભાજપના કોર્પોરેટર હતા, જેમાં 12 કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, જેથી ભાજપમાં સંખ્યા 26 થઈ ગઈ, જેમાં એક અપક્ષ કોર્પોરેટર અને ચાર NCPના કોર્પોરેટર જોડાતા સંખ્યા 31 પર પહોંચી ગઈ હતી, અને ચૂંટણીના આગલા દિવસે જ આ બધા કોર્પોરેટરોને વ્હીપ પણ જારી કરવામાં આવ્યો હતો.
જોકે, છેલ્લી ઘડીએ રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના ચાર કોર્પોરેટરોએ શિવસેના શિંદે જૂથના શિવસેના અંબરનાથ મહાયુતિ ગઠબંધનને ટેકો આપ્યો, જેના પરિણામે અહીં શિવસેનાનો વિજય થયો. આ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાના કુલ 27 કોર્પોરેટર છે આ 27 અને રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના 4 મળીને શિવસેના શિંદે જૂથના 31 કોર્પોરેટર છે. આ ચૂંટણીમાં શિવસેના-અંબરનાથ મહાયુતિ આઘાડીના સદામામા પાટીલને 32 મત મળ્યા જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના અંબરનાથ વિકાસ આઘાડીના પ્રદીપ પાટીલને 28 મત મળ્યા.
મતદાનમાં શિવસેના મહાયુતિ વિકાસ આઘાડીને 32 મત મળ્યા, જ્યારે અંબરનાથ વિકાસ આઘાડીના ખાતામાં 28 મત મળ્યા, જેથી સદાશિવ (સદા મામા) પાટિલને ઔપચારિક રીતે વાઈસ પ્રેસિડન્ટ જાહેર કર્યા હતા. પરિણામ પછી કોંગ્રેસના ટેકેદારોએ ચોર મામા, ગદ્દાર મામાના નામે નારા લગાવ્યા હતા, જ્યારે સાંસદ શ્રીકાંત શિંદે પહોંચ્યા ત્યારે ભાજપ-શિવસેનાના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
આપણ વાંચો: કિશોરી પેડણેકરની મુશ્કેલીમાં વધારો: ઉમેદવારી ફોર્મમાં વિગતો છુપાવવા બદલ હાઈ કોર્ટમાં અરજી



