તરોતાઝા

આ યોગાસનો પાચન સંબંધિત સમસ્યામાં લાભદાયી છે

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

બદલાયેલી લાઇફસ્ટાઇલ, વધતા આધુનિકીકરણ અને કાર્યસ્થળ પર બેઠાડુ જીવન શૈલીના કારણે અનેક રોગ ઘર કરી જાય છે. તેમાંનો એક દૈનિક જીવનમાં સતાવતો રોગ એટલે પાચનની સમસ્યા. પહેલા મોટી ઉંમરે સતાવતી સમસ્યા હવે બાળકોથી લઈને કોઈ પણ ઉંમરમાં જોવા મળે છે. તેના માટે ફાકીથી લઈને દવાઓ સુધી ઉપચાર તો લોકો કરે છે, પણ જો તેની સાથે અમુક પ્રકારના યોગ આસનનો પણ અજમાવવામાં આવે તો લાંબે ગાળે ઘણો ફાયદો થાય છે.

ચાલો, જાણીએ એવાં કેટલાંક સરળ આસન, જે પાચન સંબંધી તકલીફોમાં રાહત આપી શકે, જેમકે ….

આપણ વાંચો: શું તમારા આરોગ્ય વીમામાં OPD કવર સામેલ છે?

પવન મુક્તાસન

નામ સૂચવે છે તેમ પેટમાં થયેલો ગેસનો ભરાવો મુક્ત કરવા આ આસન ઉપયોગી છે. આ આસન પેટ, નિતંબ, જાંઘ અને કુલ્હાને આરામ આપે છે. આંતરડાને આરામ આપવાથી, તમને ગેસ દૂર કરવામાં મદદ મળી શકે છે અને બાથરૂમ જવાનું સરળ બને છે. આ આસન કરવાથી પેટનું ફૂલવું અને ફસાયેલા ગેસને સંકોચન અને મુક્તિ દ્વારા દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

તમારી પીઠ પર સૂઈ જાઓ પછી તમારા ઘૂંટણને વાળો અને તમારા પગને 90 ડિગ્રી પર લાવો. હાથને તમારી પિંડીની આસપાસ એવી રીતે વીંટાળી દો, જેથી પગનું દબાણ પેટ પર આવે. શ્વાસ ચાલુ રાખો અને તમારા પેટને વિસ્તૃત કરો.

શ્વાસ બહાર કાઢો, જેથી પેટ અંદર જાય અને ફરી તમારા પગ પેટ તરફ દબાય. 3 થી 4 મિનિટ આ રીતે કરતા રહો અને પછી હાથની સાંકળી છોડીને પગને ફરી સીધા જમીન પર ધીમે ધીમે મૂકી દો.

આપણ વાંચો: જગન્નાથ રથયાત્રા પર તોળાતું કોરોના સંકટ! જાણો આરોગ્ય પ્રધાને શું સલાહ આપી?

પાદ હસ્તાસન

આ આસન ઊભા રહીને કરવાનું છે. પાદ હસ્તાસન પાચન અંગોને સંકુચિત કરે છે અને પરિભ્રમણને ઉત્તેજિત કરે છે જે પાચન ક્રિયા વધારવામાં મદદ કરે છે.

ઊભા રહેવાની સ્થિતિમાં તમારા પગ એવી રીતે રાખો, જેથી બે પગ વચ્ચે થોડું અંતર રહે; બંને હાથને શરીરની સીધમાં ઉપર લઇ જાઓ. એક ઊંડો શ્વાસ લઈને, શ્વાસ છોડતા છોડતા કમરથી શરીરને આગળની તરફ વાળો તમારા હાથના પંજા જમીનને સ્પર્શ કરાવવાની કોશિશ કરો. સામાન્ય રીતે હાથ પગના સમાંતરે રહે તે મુજબ આસન થાય છે.

તમારી ક્ષમતા હોય તેટલું જ વળવું. જો હાથ જમીનને ન સ્પર્શે તો પગ સુધી કે પિંડી સુધી જ્યાં પહોંચે ત્યાં સ્પર્શ કરો. આ આસન કરતી વખતે તમારા પેટ તરફ ધ્યાન આપો અને શ્વાસોચ્છવાસ ચાલુ રાખો. 2 થી 3 મિનિટ આસનની સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે શ્વસ લેતા લેતા ફરીથી હાથને ઉપર તરફ લઇ જતા શરીરને પણ ઉપર લઇ આવો.

આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ

પશ્ચિમોત્તાસન

આ આસન પાદ હસ્તાસન જેવું જ છે, પણ તે બેઠેલી સ્થિતિમાં કરવાનું છે. આ આસન પેટનું ફૂલવું ઘટાડવામાં અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે શરીરની ચેતાને શાંત કરવામાં અને માનસિક ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

આસન કરવા પગને આગળ તરફ લાંબા કરીને બેસો. પછી બંને હાથને શ્વાસ લેતા લેતા શરીરની સીધમાં માથા તરફ ઉપર લઇ જાઓ. હવે હાથોને સીધા રાખીને કમરથી શરીરને પગ તરફ વાળો અને બંને હાથોથી પગના તળિયા પકડવાની કોશિશ કરો. હાથ જેટલા આગળ લઇ શકો તેટલા જ કરવા. તળિયા સુધી ન પહોંચે તો પગના ઉપરના ભાગને પકડવા કોશિશ કરો.

માથું પગ ઉપર ટેકવી દેવું. જો એટલું ન ઝૂકી શકાય તો જેટલું નીચે જઈ શકાય તેટલું જવું જેથી પેટ ઉપર દબાણનો અનુભવ થાય. આસન દરમિયાન શ્વાસોચ્છવાસ ચાલુ રાખવા. 2 થી 3 મિનિટ આસનની સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે શ્વસ લેતા લેતા ફરીથી હાથને ઉપર તરફ લઇ જતા શરીરને પણ ઉપર લઇ આવો.

વજ્રાસન

આ આસન બહુ સરળ છે. વજ્રાસન પાચનમાં સુધારો કરવામાં અને પેટમાં ગેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

તમારા ઘૂંટણને વાળીને ઘૂંટણિયે બેસો. તમારા પગને હિપ્સ કરતાં થોડા પહોળા કરીને, એકબીજાથી અલગ કરો, તમારા પગના તળિયા આકાશ તરફ રહે તેવી રીતે પગ પાછળની તરફ વળેલા હોવા જોઈએ. તમને વધુ સમય આ રીતે બેસવામાં કષ્ટ હોય તો પગની ઘૂંટી નીચે ટુવાલ કે કોઈ નરમ કપડું રાખવું જેથી તેના પર દબાણ ન આવે.

પીઠ અને ગરદન સીધા રાખીને બેસો. ખભા પણ ઢીલા મૂકી દો, અને હાથ ને જાંઘ ઉપર સરળતાથી રહેવા દો. આ વિવિધ આસન ઉપરાંત, ભુજંગાસન અને અર્ધ મત્સ્યેન્દ્રાસન પણ ઉપયોગી સાબિત થાય છે. ધ્યાન રાખો કે જો તમને કમરની, પીઠની કે ગરદનની સમસ્યાઓ હોય, કે ઘૂંટણને લગતી સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લઈને જ આસનો કરવા હિતકર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button