તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ ને આરામ અનુભવાય છે

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. યોગાસન અને પ્રચલિત વ્યાયામ પદ્ધતિની તુલના:

ખરેખર તો યોગાસનના અભ્યાસને પ્રચલિત વ્યાયામપદ્ધતિ સાથે સરખાવવો જોઈએ નહિ, કારણ કે યોગાસન કોઈ વ્યાયામપદ્ધતિ નથી.

આમ છતાં બંનેમાં અધિષ્ઠાન શરીર છે અને યોગાસનનો અભ્યાસ શારીરિક કેળવણી માટે પણ વ્યાપક પ્રમાણમાં થાય છે. શરીરને કેળવવા માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થઈ શકે તેમ છે. વળી યોગાસન એક વ્યાયામપદ્ધતિ છે, તેવી ગેરસમજ પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે.

પરિસ્થિતિ આવી છે, ત્યારે આ બંનેની તુલના આપણને યોગાસનના સ્વરૂપને સમજવામાં અને તદ્વિષયક ગેરસમજનું નિરાકરણ કરવામાં ઉપયોગી થઈ શકશે.

(1) પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં શરીરનાં અંગોનું ઝડપી હલનચલન (Movement) કરવામાં આવે છે. દંડ, બેઠક, દોડવું, તરવું, ચાલવું, રમતો આદિ વ્યાયામોનાં સ્વરૂપ પરથી આ બાબત સ્પષ્ટ સમજી શકાય છે. યોગાસન હલનચલન નથી, પરંતુ શરીરની વિશિષ્ટ અવસ્થા છે.

હા, શરીરને વિશિષ્ટ અવસ્થામાં મૂકવા માટે હલનચલન તો કરવું જ પડશે, પરંતુ તે યોગાસનનો ગૌણ ભાગ છે, જ્યારે પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં તો તે જ પ્રધાન છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ

યોગાસન ધારણ કરવા માટે શરીરનું જે હલનચલન થાય છે, તે ખૂબ ધીમી ગતિએ થાય છે, જ્યારે વ્યાયામપદ્ધતિમાં હલનચલન (Movement) ઝડપી હોય છે.

(2) બંનેનાં સ્વરૂપમાં ઉપર્યુક્ત મૂળભૂત તફાવત હોવાથી પ્રચલિત વ્યાયામની તુલનામાં યોગાસનના અભ્યાસ વખતે થતો શક્તિવ્યય (Energy expenditure) નજીવો હોય છે. પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં શક્તિવ્યય દર મિનિટે 2 થી 14 કેલરી હોય છે. યોગાસનમાં આ પ્રમાણ 0.8થી 3 કેલરી હોય છે. આમ હોવાથી પ્રચલિત વ્યાયામને અંતે થાક અનુભવાય છે, જ્યારે યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ અને આરામ અનુભવાય છે.

(3) પ્રચલિત વ્યાયામપદ્ધતિનો હેતુ શારીરિક બળ, સ્વાસ્થ્ય, વિકાસ અને કૌશલ પૂરતો મર્યાદિત છે, જ્યારે યોગાસનનો હેતુ આધ્યાત્મિક વિકાસ છે. યોગાસનના અભ્યાસથી શરીર-મનના સ્વાસ્થ્યની પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ તે તો આડપેદાશ છે, તેમ સમજવું જોઈએ.

(4) માત્ર શારીરિક રીતે વિચારીએ તોપણ પ્રચલિત વ્યાયામપદ્ધતિ સ્નાયુતંત્રને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલ છે. યોગાસનો જ્ઞાનતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર અને પાચનતંત્ર પર કાર્ય કરે છે. યોગાસનો આ ત્રણે તંત્રો પર અસર પહોંચાડી તેમના દ્વારા સમગ્ર શરીર પર અસર પહોંચાડે છે. આમ યોગાસનો આરોગ્યના કેન્દ્ર દ્વારા પરિઘને પકડે છે, જયારે પ્રચલિત વ્યાયામ પદ્ધતિ પરિઘ દ્વારા કેન્દ્રને પકડે છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!

(5) યોગાસનોનો અભ્યાસ મનોયોગપૂર્વક થવો જોઈએ. યોગાસન મનોશારીરિક અવસ્થા છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં આવી કોઈ અપેક્ષા નથી. પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં મનની ગતિ અંદરથી બહાર વળે છે. યોગાસનમાં મન અંદર વળે છે.

(6) સમગ્ર યોગાભ્યાસ માટે આદેશ છે – कुर्यात् अध्यात्म चेतसा। (તે આધ્યાત્મિક મનથી કરો.) આ આદેશ યોગાસનને પણ લાગુ પડે જ છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિ अध्यात्म चेतसा । (આધ્યાત્મિક મનથી) નહિ, શારીરિક દૃષ્ટિકોણથી થાય છે.

(7) યોગાસનોનો અભ્યાસ કરનાર સાધક યમ-નિયમપૂર્વક જીવન જીવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં એવી કોઈ અપેક્ષા કે શરત નથી.

(8) યોગાસન સમગ્ર યોગસાધનાનો એક નાનકડો ભાગ છે, તે સાંકળનો એક મંકોડો છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં એવું અનુસંધાન નથી.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે

(9) પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં સંવેગોની કેળવણી, મનની સ્થિરતા અને મનની શુદ્ધિ તરફ દૃષ્ટિ નથી. યોગાસનના અભ્યાસ દ્વારા આ હેતુ પણ સિદ્ધ થાય તેવી અપેક્ષા અને શક્યતા છે.

  1. યોગાસનના અભ્યાસથી શું થાય છે?

પ્રથમ દૃષ્ટિએ સાવ સરળ અને સાવ બહિરંગ લાગતો આ અભ્યાસ માનવના વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન પાસાઓ પર ઊંડી અને દૂરગામી અસર પાડે છે. હવે આપણે જોઈએ કે યોગાસનના અભ્યાસ દ્વારા વ્યક્તિત્વનાં ભિન્ન ભિન્ન પાસાઓ પર કેવી અસર પડે છે અને આ અસર કઈ રીતે થાય છે:

(અ) શારીરિક દૃષ્ટિએ:

શારીરિક દૃષ્ટિએ આપણે પ્રારંભમાં જ જોયું છે કે યોગાસનો વ્યાયામ પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ નથી. વળી એ સ્પષ્ટ છે કે યોગાસનો જેનો નાનકડો ભાગ છે, તે યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે. હા, આ વાત સાચી જ છે, પરંતુ એનો અર્થ એમ નથી જ કે યોગમાં શરીરનો વિચાર જ નથી. સાચી વાત તો એ છે કે અન્ય કોઈ પણ સાધનપદ્ધતિ કરતાં યોગમાં શરીરનો વિશેષ વિચાર કરવામાં આવ્યો છે.

હવે આપણે જોઈએ કે શરીરનાં સ્વાસ્થ્ય, દૃઢતા, કાર્યક્ષમતા આદિ માટે યોગાસન કેટલે અંશે અને કઈ રીતે ઉપયોગી થાય છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…

શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ચાર બાબતો આવશ્યક છે:

(1) જ્ઞાનતંત્ર તંદુરસ્ત અને કાર્યક્ષમ હોય.

(2) અંત:સ્ત્રાવી તંત્ર શરીરને આવશ્યક સ્ત્રાવો નિયમિત અને પ્રમાણસર પૂરા પાડે.

(3) શરીરના બધા જ જીવકોશોને આવશ્યક પોષક તત્ત્વો નિયમિત અને પ્રમાણસર મળ્યાં કરે. એટલે કે પાચનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર સ્વસ્થ હોય.

(4) શરીરના મળોનો નિયમિત અને નિ:શેષ ઉત્સર્ગ થાય, તે માટે આવશ્યક છે કે ઉત્સર્ગતંત્ર સ્વસ્થ હોય. હવે આપણે જોઈએ કે યોગાસનના અભ્યાસથી આ કાર્ય સિદ્ધ થઈ શકે છે કે કેમ?

(1) શીર્ષાસન, વિપરીતકરણી, સર્વાંગાસન વગેરે યોગાસનો મગજને વધુ લોહી પૂરું પાડે છે. તેમ કરીને આ આસનો મગજ અને તેમાં નીકળતા જ્ઞાનતંતુઓને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, હલાસન, ચક્રાસન, સર્વાંગાસન, વિપરીતકરણી વગેરે અને બીજાં સંખ્યાબંધ યોગાસનો છે જે કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે.

યોગમાં ભાગ્યે જ એવાં કોઈ યોગાસનો હશે, જે કોઈ ને કોઈ રીતે શરીરમાં વ્યાપ્ત જ્ઞાનતંતુઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી ન હોય. મગજ, કરોડરજજુ અને જ્ઞાનતંતુઓનાં સ્વાસ્થ્ય માટે યોગાસનો અન્ય કોઈ પણ વ્યાયામ પદ્ધતિથી ઓછાં ઊતરે તેમ નથી, બલકે સૌથી ચડિયાતાં સિદ્ધ થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે

(2) અનુભવ, પ્રયોગો અને યોગાસન વખતે થતી શારીરિક ક્રિયાઓના અભ્યાસથી સિદ્ધ થયું છે કે અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગાસનોનો નિયમિત અભ્યાસ અપ્રતિમ છે.

અંત:સ્ત્રાવી ગ્રંથિઓની રાણી સમી પિચ્યુટરી અને પિનિયલ ગ્રંથિને સ્વસ્થ રાખવા માટે શીર્ષાસન સર્વોત્કૃષ્ટ છે. થાઈરોઈડ અને પેરાથાઈરોઈડના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા માટે સર્વાંગાસન, વિપરીતકરણી અને મત્સ્યાસન ખૂબ જ લાભપ્રદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button