આરોગ્ય એક્સપ્રેસ : મનને શાંત રાખવા છે? આવાં યોગાસન બહુ ઉપયોગી છે…

-રાજેશ યાજ્ઞિક
હજુ ગત શનિવાર- 21 જૂનના દિવસે વિશ્વભારમાં યોગ દિનની ઉજવણી થઈ…
આજે જગતભરના લોકો તબીબો -મનોચિકિત્સકો એક અવાજે સ્વીકારે છે કે યોગ માત્ર શારીરિક કસરત કે શારીરિક આરોગ્ય માટેનો વ્યાયામ નથી. યોગની મન-મસ્તિષ્ક પર પણ સકારાત્મક અસર થાય છે. આજના વ્યસ્ત જીવનમાં, આપણે બધા કોઈને કોઈ કારણસર તણાવમાં રહીએ છીએ. આખો દિવસ મનમાં ઉથલપાથલ રહે છે. મન અશાંત રહે છે અને વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી.
આના કારણે, વ્યક્તિ અનિંદ્રા અને ચિંતાની ફરિયાદ કરવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે, તમારા શરીર અને મનને સંપૂર્ણપણે આરામ આપવો જરૂરી છે. ચાલો, આજે જાણીએ એવા કેટલાક યોગાસન વિશે જે શરીરની સાથે મનને પણ આરામ આપે છે.
સેતુબંધાસન
આ આસનમાં શરીર પુલ જેવો આકાર બનાવે છે. તેથી એને સેતુબંધાસન કહે છે. આ આસન પીઠ અને પગને મજબૂત બનાવે છે, સાથે સાથે છાતી અને કરોડરજ્જુને પણ ખેંચે છે. તમારી કોર સ્ટ્રેન્થ પણ વધે છે. આ યોગાસન કરવા માટે, જમીન પર પીઠના બળે સૂઈ જાઓ. હવે તમારા ઘૂંટણ વાળો અને તળિયા જમીન પર રાખો.
પછી બંને હાથો વડે બંને પગની ઘૂંટી અથવા એડીને પકડો. શ્વાસ અંદર લેતા લેતા, ધીમે ધીમે તમારા શરીરને ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં 1 – 2 મિનિટ સુધી રહો. (શ્વાસોચ્છવાસ ચાલુ રાખવો) આ પછી, શ્વાસ બહાર કાઢતા કાઢતા, શરૂઆતની સ્થિતિમાં પાછા આવો.
માર્જરી આસન
માર્જરી એટલે બિલાડી જેવી મુદ્રા. તમે કેટ વોક તો સાંભળ્યું હશે, પરંતુ એનું આસન પણ થાય છે! આ આસનમાં કરોડરજ્જુની હળવી ગતિ થાય છે. તેમાં બિલાડીની પીઠ ખેંચવાની નકલ કરવાની છે. તે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારવા અને એકંદર મુદ્રામાં સુધારો કરવા માટે જાણીતું છે. પહેલા વજ્રાસન મુદ્રામાં બેસવાથી શરૂઆત કરો.
ત્યારબાદ, બંને હાથોને ગોઠણથી દૂર એવી રીતે ટેકવો જેથી તમે હાથના ટેકે ગોઠણ ઉપર મધ્ય શરીરને ઊંચું કરી શકો. હવે જાંઘોને એવી રીતે ઊંચી કરો જેથી પગ સાથે 90 ડિગ્રીનો કોણ બને. હાથ અને ગોઠણના ટેકા ઉપર માત્ર પીઠને બિલાડીની જેમ ઊંચી કરો. આમ કરતી વખતે શ્વાસ અંદર લો. પછી શ્વાસ છોડતા છોડતા, ધીમે ધીમે, પીઠને નીચે વાળો અને જેટલું નીચે જઈ શકાય તેટલું જાઓ. આમ કરતી વખતે તમારું માથું આકાશ તરફ દૃષ્ટિ જાય તે રીતે ઉપર કરવું, જેવી રીતે બિલાડી કરે છે.
આ રીતે, 4 થી 5 વખત શ્વાસ અને ઉચ્છવાસ સાથે પીઠને આ મુદ્રામાં ઉપર-નીચે કરો. ધ્યાન રાખો કે તમે આ ધીમે ધીમે કરો. પછી ફરીથી શરીરને પહેલા પગ ઉપર ટેકવીને મૂળ સ્થિતિમાં આવો.
બાલાસન
નામ જણાવે છે તેમ, તેને બાળકોની મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનનો ઉપયોગ તણાવ દૂર કરવા અને જાંઘ, કુલ્હા, પગની ઘૂંટીઓ અને પીઠને ધીમેથી ખેંચવા માટે થાય છે. ઘૂંટણિયે પડવાની સ્થિતિમાં શરૂઆત કરો. ઘૂંટણ એકસાથે અથવા થોડા અલગ રાખીને તમારી એડી પર બેસો ઊંડો શ્વાસ લેતા બંને હાથ શરીરની રેખામાં સીધા ઉપર કરો. પછી ઉચ્છવાસ કરતા કરતા શરીરને આગળની તરફ વાળો. તમારી છાતી તમારી જાંઘોને અને કપાળ જમીનને સ્પર્શ કરે. તમારા લંબાયેલા હાથ પણ જમીનને સ્પર્શ કરવા જોઈએ. હથેળીઓ જમીન તરફ અથવા આકાશ તરફ રાખી શકો છો. આ મુદ્રામાં ઊંડો શ્વાસ લો. શરીરમાં અનુભવતા ખેંચાણ તરફ ધ્યાન આપો. 4 થી પ મિનિટ આ મુદ્રામાં રહીને ધીરે ધીરે શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતમાં પાછા ફરો.
પશ્ચિમોત્તાનાસન
આ આસન શરીરના પાછળના ભાગ માટે એક શક્તિશાળી ખેંચાણ ઊભું કરે છે, જેમાં હેમસ્ટ્રિંગ્સ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. આ નામ ‘પશ્ચિમ’ (પશ્ચિમ અથવા પાછળનો ભાગ), ‘ઉત્તાન’ (તીવ્ર ખેંચાણ) અને આસન (મુદ્રા)ની સંધિ છે.
આ આસન કરવા બંને પગ સીધા આગળ રાખીને બેસો. બંને એડી અને પગના અંગૂઠા એકસાથે હોવા જોઈએ. હવે શ્વાસ બહાર કાઢતા કાઢતા આગળ ઝૂકો અને બંને હાથ વડે બંને પગના અંગૂઠા પકડો. જો અંગુઠા ન પકડી શકાય તો જ્યાં સુધી હાથ પહોંચે ત્યાં પગને પકડો. તમારા કપાળને તમારા ઘૂંટણ પર સ્પર્શ કરો અને તમારી બંને કોણી જમીન પર સ્પર્શ કરાવો. 1 થી 2 મિનિટ સુધી આ મુદ્રામાં રહો. (શ્વાસોચ્છવાસ ચાલુ રાખો) પછી તમારી શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો.
શવાસન
જેમ આ આસનનું નામ છે તેમ શબ (મડદાં)ની જેવી મુદ્રા અપનાવવાની છે. આ એક ખૂબ જ આરામદાયક આસન છે જેનો ઉપયોગ યોગ સત્રના અંતે શારીરિક અને માનસિક આરામ માટે કરવામાં આવે છે. માનસિક તણાવ કે થાક લાગ્યો હોય ત્યારે પણ તમે આ આસન કરી શકો છો. આ આસન કરવા ચત્તા સુઈ જાઓ. આંખો બંધ કરો. તમારા બંને પગ વચ્ચે થોડું અંતર રાખો અને તમારા બંને હાથ શરીરને સમાંતર રાખો. શ્વાસોચ્છવાસ ચાલુ રાખીને શરીરના પગથી શરૂ કરીને માથા સુધીના અંગો પર ધ્યાન લઇ જાઓ. દરેક અંગને શિથિલ કરો અને તેમાં થતી સંવેદનાઓ અનુભવો. આ આસન કરતી વખતે તમે ઓમકારના નાદ, અથવા કોઈ પણ હળવું ધ્યાનમાં ઉપયોગી થાય તેવું સંગીત ચાલુ રાખી શકો છો.
આ આસન થાક અને તણાવથી મુક્તિ આપે છે, હળવાશનો અનુભવ કરાવે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘ ધરાવતા લોકો માટે આ આસન ખૂબ ઉપયોગી છે.
તમારી શારીરિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કોઈપણ આસનો જેમાં પીઠ, કમર, પગ, હાથ કે ડોકની મુદ્રાઓ હોય, તેમાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. યોગાસનો કરતી વખતે ચહેરા પર હળવું સ્મિત રાખવાની સજાગતા કેળવશો તો આસનો મનને વધુ શાતા આપશે
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ – : કયાં યોગ આસન વધારી શકે તમારું મેટાબોલિઝમ?