આરોગ્ય પ્લસ : કેવા ચિકિત્સક પાસે સારવાર લેવી જોઈએ?

- સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આપણે આ કોલમમાં વિવિધ તબક્કે અનેકવિધ રોગ – બીમારીઓ વિશેના વિભિન્ન ચિકિત્સા- ઉપચાર વિશે જાણ્યું.
આમ જૂઓ તો ભારત દેશના બહુ મોટા ભાગ્ય છે કે, આયુર્વેદનો ભવ્ય વારસો પરંપરામાં પ્રાપ્ત થયો છે. આપણી પાસે રોગને મૂળમાંથી નાબૂદ કરવા જેવા સચોટ, સરળ અને સસ્તા ઉપાયો છે, તેવા ઉપાયો તો વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ પાસે ભાગ્યે જ હશે. `આપણા ઘરનું રસોડું એ જ મોટું ઔષધાલય છે,’ પરંતુ કમનસીબી એ છે કે, તેનો ઉપયોગ ન કરતા આપણે કૃત્રિમ દવાઓની ખોટી ઘેલછામાં ફસાઈ જઈએ છીએ.
આપણી રોગ અંગેની ગેરસમજ દૂર થાય, સામાન્ય બીમારીઓમાં મોંઘી દવાઓના આડેધડ ઉપયોગથી બચી શકીએ અને સરળ તથા સસ્તા ઘરગથ્થુ ઉપચારો, યોગ્ય જીવનશૈલી તથા પથ્યાપથ્ય અપનાવી રોગને દૂર કરીને નિરોગી રહી શકીએ, તે હેતુને ધ્યાનમાં રાખીને અહીં માત્ર ઘરગથ્થુ ઉપચારો જ નહીં, પરંતુ સાથોસાથ મોટા ભાગના રોગનાં લક્ષણો અને કારણો પણ દર્શાવેલ છે, કેમ કે, બે વ્યક્તિઓમાં એક જ પ્રકારના રોગમાં અલગ-અલગ કારણ અને લક્ષણો સંભવિત છે. તેથી રોગ થયાનું શું કારણ છે, તે તપાસીને રોગનો યોગ્ય ઉપચાર કરી શકાય.
આજના ઝડપી અને આધુનિક યુગમાં રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નિદાન માટે યોગ્ય ચિકિત્સક તેમ જ
ચિકિત્સકો દ્વારા થતી વિધવિધ છેતરપિંડી વિશેની માહિતી પણ અહીં આપી છે.
પ્રામાણિક ચિકિત્સક
પ્રામાણિક ચિકિત્સકને ધન ઉપાર્જન અને સ્વપ્રસિદ્ધિ કરતાં દર્દીની સારવારમાં વધુ રસ હોય છે. વળી, એ દર્દીને દવાઓ
આપીને બાહ્ય રીતે રોગને નાબૂદ કરવા કરતાં રોગના મૂળ કારણને ઓળખી યોગ્ય આહાર-વિહારની પદ્ધતિ દ્વારા દર્દીને રોગમુક્ત કરવાનો પ્રયાસ કરે છે. તે ઉપરાંત દર્દીના શારીરિક અને માનસિક તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સારવાર કરે છે. દર્દી બીમારીમાંથી તત્કાળ મુક્ત થાય એવી એના હૃદયમાં ભાવના સતત હોય છે અને પરમાત્માને દર્દીનું ભલું થાય તેવી પ્રાર્થના પણ કરતા હોય છે. આવા ચિકિત્સકને ઓળખી તેમની પાસે સારવાર કરાવવી જોઈએ.
અપ્રામાણિક ચિકિત્સક
આજકાલ ઘણા વ્યક્તિઓ ચિકિત્સકનો સ્વાંગ ધારણ કરીને દર્દીઓને બૃહદ્ પ્રમાણમાં છેતરે છે. આવા ચિકિત્સકો દર્દીને રોગ અને દવા વિશે સચોટ માહિતી ન આપતાં કેવળ રોગ નાબૂદ થઈ જશે તેવા ખોટા વાયદાઓ આપ્યા કરે છે. તેવી જ રીતે અમુક ચિકિત્સકો નાની એવી બીમારી માટે ખૂબ જ ભારે પાવરની દવાઓ આપી દે છે. અરે, અમુક વૈદ્યો તો દેશી દવામાં ભારે સ્ટીરોઈડ (શરીરને નુકસાન કરતી દવા) નાખી દર્દીનો વિશ્વાસઘાત કરે છે. વળી, આજકાલ અમુક ડોક્ટરો અને લેબોરેટરીવાળા ધનની લાલચે સંપીને કમિશન રાખીને દર્દીના ખોટા નિદાન-રિપોર્ટ કરી એમને રીતસર લૂંટે છે.
આવી જ રીતે અમુક ચિકિત્સકો જે કંપની અને મેડિકલ સ્ટોર તરફથી પોતાને કમિશન મળતું હોય તે જ કંપનીની કે મેડિકલ સ્ટોરની દવા ખરીદવાનો આગ્રહ દર્દીને કરે છે.
તદુપરાંત આજે અમુક પ્રાઈવેટ હૉસ્પિટલોમાં ડોક્ટરો દર્દીને સામાન્ય રોગની પણ વધુ પડતી ભયંકરતા દર્શાવીને તાત્કાલિક પોતાને ત્યાં જ ઓપરેશન કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ખરેખર તો એ ઓપરેશનની જરૂર જ હોતી નથી.
એક સંશોધનના આધારે ભારતમાં થતાં વિવિધ ઓપરેશનોમાંથી 45% તદ્ન બિનજરૂરી જ હોય છે. ભારતમાં સહુથી વધુ થતાં બિનજરૂરી પાંચ ઓપરેશનની વિગત અહીં દર્શાવી છે.
ભારતમાં સહુથી વધુ થતાં બિનજરૂરી પાંચ ઓપરેશન
અલબત્ત, આનો અર્થ એ નથી કે બધા જ ચિકિત્સકો અપ્રામાણિક છે. બીજાને થયેલા અનુભવોનો આધાર લઈને, આપણે પ્રામાણિક ચિકિત્સકને ઓળખી એમની પાસે સારવાર કરાવવી જોઈએ. અને જો ચિકિત્સક પ્રામાણિક જ હોય, તો એમનામાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એમની નિદાન પદ્ધતિને અનુસરવું જોઈએ.
આપણ વાંચો : આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર