તરોતાઝા

રોકાણનાં જોખમ: ન ધાર્યું હોય એવું દેશ સંબંધી જોખમ પણ આવી શકે…

‘નાણાકીય સલાહકારોએ એમના ક્લાયન્ટને અલગ અલગ રોકાણોનો નહીં, પણ સંપૂર્ણ સંપત્તિનો વિચાર કરવાનું શીખવવું જોઈએ. સમસ્યાઓને જ્યારે વિશાળતામાં જોવામાં આવે ત્યારે જોખમને વધુ સારી રીતે સમજી શકાય છે અને સહન કરી શકાય છે.’

  • ડેનિયલ ક્ધહમેન

ગૌરવ મશરૂવાળા

આ વાત વર્ષ 1991-’92ની છે. ભારતની પાસે વિદેશી હૂંડિયામણની અનામત એટલી ઓછી થઈ ગઈ હતી કે બે કે ત્રણ સપ્તાહમાં જ તે આયાત માટેની ચૂકવણી કરવાને લાયક રહેત નહીં અને ડિફોલ્ટ કરવો પડ્યો હોત. કોઇ પણ દેશ માટે ડિફોલ્ટ એ ઘણી શરમજનક ઘટના હોય છે. તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ અને નાણાપ્રધાન ડો. મનમોહન સિંહે એ પરિસ્થિતિને સંભાળી લેવાની હતી. સરકારે દેશની સોનાની અનામતને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે ગિરવે રાખીને ધિરાણ લીધું અને બેલેન્સ ઑફ પેમેન્ટની સ્થિતિને સંભાળી લીધી…

એ વખતે સરકારના આ નિર્ણયની આકરી ટીકા થઈ,પરંતુ આગળ જતા સરકારનો એ નિર્ણય સાચો ઠર્યો. એ વખતે
જે જોખમ ઊભું થયું હતું તે ક્ધટ્રી રિસ્ક (દેશસંબંધી જોખમ)નું ઉદાહરણ હતું. ભારત જેવા મોટા દેશે ડિફોલ્ટ કરવો પડ્યો હોત તો ફક્ત ભારતના નહીં, સમગ્ર વિશ્ર્વના રોકાણકારોએ સહન કરવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોત.

થોડા સમય પહેલાં બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો એ પણ ક્ધટ્રી રિસ્ક હતું. તેને લીધે બ્રિટન સાથે સંબંધ ધરાવતી સિક્યોરિટીઝના રોકાણકારોના પોર્ટફોલિયોનું મૂલ્ય ઘટ્યું હતું.

આ પહેલાં યુરોપિયન યુનિયનના જ અન્ય દેશો એટલે કે પોર્ટુગલ, આયર્લેન્ડ, ગ્રીસ અને સ્પેનમાં આર્થિક સંકટ નિર્માણ થયું હતું. આપણે બધા જાણીએ છીએ કે ગ્રીસની કટોકટી અખબારોમાં ઘણી ચર્ચાઈ હતી. ક્ધટ્રી રિસ્કની એ બધી ઘટનામાં જે-તે દેશના રોકાણકારો ઉપરાંત સમગ્ર વિશ્વના રોકાણકારો પર વિપરીત અસર થઈ હતી.

અહીં જણાવવું રહ્યું કે ઘણી વાર આપણે કોઈક સિક્યોરિટીમાં કરેલું રોકાણ આપણી ધારણા મુજબ વળતર આપતું નથી. પોર્ટફોલિયો સંતુલિત હોઈ શકે છે અને આપણે દરેક ઍસેટમાં યોગ્ય રોકાણ કર્યું હોઈ શકે છે. આપણે સારામાં સારા ભાવે રોકાણ કર્યું હોવા છતાં વળતરની દૃષ્ટિએ આખો પોર્ટફોલિયો નબળો દેખાવા લાગે. આવું ક્ધટ્રી રિસ્કને લીધે થતું હોય એ શક્ય છે. આવા રિસ્કની પાછળ આર્થિક કે રાજકીય કારણ કે પછી કુદરતી આફત કારણભૂત હોઈ શકે છે.

દેશની કરન્સીનું અવમૂલ્યન, યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, આંતરવિગ્રહ એ બધાં ક્ધટ્રી રિસ્કનાં ઉદાહરણ છે. સુનામી
જેવી કુદરતી આફતોની પણ રોકાણ પર થતી અસર આપણી જાણમાં છે.

યમન, ઈજિપ્ત તથા મધ્ય પૂર્વના અન્ય કેટલાક દેશમાં અશાંતિ અને બળવાની સ્થિતિમાં તે દેશોના રોકાણકારોએ ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

રિઝર્વ બેન્કની ‘લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ’ મુજબ દરેક ભારતીય દેશની બહાર સવા બે લાખ ડૉલર મૂલ્ય જેટલું રોકાણ કરી શકે છે. આમ છતાં આપણું દેશની બહારનું રોકાણ નહીંવત્ હોય છે. આવી સ્થિતિમાં આપણાં બધાં જ રોકાણ ક્ધટ્રી રિસ્કની દૃષ્ટિએ સૌથી વધુ જોખમી હોય છે. દેશમાં ન કરે નારાયણ ને કોઈ કુદરતી આફત આવે, યુદ્ધ થાય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય કે પછી મોટા આતંકી હુમલા થાય તો આપણાં તમામ રોકાણો પર ઘણી મોટી વિપરીત અસર થાય.

આપણું ઘર, બેન્ક, અકાઉન્ટ, ઘરેણાં, શેર, બોન્ડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સોનું, વગેરે જેવાં તમામ રોકાણ ભારતની અંદર જ હોય છે. આપણે દેશની બહાર એક્સપોઝર ધરાવતા નથી. દેશની બહાર રોકાણ નહીં કરવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે દેશની અંદર જ રોકાણ પર વધારે વળતર મળતું હોય ત્યારે બહાર જવાની જરૂર જ ક્યાં છે?

આ દલીલ પૂર્વગ્રહપ્રેરિત છે. ખરું પૂછો તો આપણે
દેશની બહાર રોકાણ કરવું જોઈએ એના વિશે કોઈએ
આપણને સમજાવ્યું જ નથી અને એવી ચર્ચા પણ કોઈ
છેડતું નથી. દેશની બહાર રોકાણ કરવા પાછળનો ઉદ્દેશ ઊંચું વળતર મેળવવાનો નહીં, પણ ક્ધટ્રી રિસ્ક ઘટાડવાનો હોવો જોઈએ. વિદેશમાં રોકાણ કરવું એ પણ ડાઇવર્સિફિકેશનનો જ ભાગ છે.

હવે પછી જો તમારો રોકાણ સલાહકાર ભારતની બહાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કરવાની સલાહ આપે તો એ વિકલ્પને ફગાવી દેતા નહીં. હા, આ સાથે એ પણ ધ્યાન રાખો કે તમારો રોકાણ સલાહકાર ‘સેબી’માં રજિસ્ટર્ડ અને તેની માન્યતા ધરાવતો હોય…એ પણ અગત્યનું છે.

આપણ વાંચો : કંપની સંબંધી જોખમથી કઈ રીતે દૂર રહેવું…?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button