તરોતાઝા

આજે આત્મહત્યા નિવારણ દિવસ: આંકડાની જેમ જ કારણો પણ અકળાવનારા

અમદાવાદઃ જીવનમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, સમસ્યાઓ હોય, નિરાશાઓ હોય છતાં જીવન હંમેશાં જીવવાને લાયક તો હોય જ છે. વિશ્વના મોટાભાગના મહાનુભાવો ખૂબ જ કપરાં સમયમાંથી પસાર થયા છે. આજકાલ સોશિયલ મીડિયામાં રોજ સવારે જીવનમા ઉર્જા ભરતા ગૂડ મોર્નિંગ મેસેજ કરોડોની સંખ્યામાં વાયરલ થાય છે, પરંતુ કમનસીબે જીવન ટૂંકાવનારાઓ નિરાશામાંથી બહાર આવતા નથી અને અવિચારી પગલું ભરી લે છે. આજે આવા તણાવભર્યા અને નબળું મનોબળ ધરાવતા લોકોને હિંમત આપવાનો દિવસ છે. 10મી સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ગુજરાતમાં પણ આત્મહત્યાનો આંકડો ચિંતાજનક છે અને તે જણાવે છે કે માનસિક ચિકિત્સા સહિતના ઉપચારોની ઘણી જરૂરિયાત છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આપઘાત કર્યા છે. આમ પ્રતિ દિવસે સરેરાશ 24 વ્યક્તિ આત્મહત્યા કરે છે. ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ આજના દિવસે ચિંતાનો વિષય છે.


કારણો અકળાવે છે
સામાન્ય રીતે આપઘાત કરવા માટે મોંઘવારી, નોકરી-ધંધાનો અભાવ અથવા કામની જગ્યાએ થતી કનડગત, પારિવારિક અને સામાજિક કારણો, પ્રેમસંબંધો જવાબદાર હોય છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આત્મહત્યાના કારમો પણ ઘણા અકળાવી મૂકે તેવા છે. ખાસ કરીને મોબાઈલ કે સોશિયલ મીડિયા સંબંધિત કારણો વિચારતા કરી મૂકે છે. બ્લુ વહેલ જેવી થ્રિલર ગેમ માટે પણ આપઘાત કરતાં ખચકાતા નથી. બીજીતરફ મિત્ર પાસે નવી કાર, વિશાળ ઘર, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતાં અનેક લોકો ‘હું પાછળ રહી ગયો’ તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે. આપઘાત નિવારણ માટે કાર્યરત એક સંસ્થાની હેલ્પલાઈનમાં વર્ષ 2019માં 18488, 2020માં 21430, 2021માં 21855, 2022માં 19778 અને 2023માં 14 હજારથી વધુ કોલ્સ આવ્યા હતા.

આ પણ વાંચો : ભારતમાં વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના બનાવો અંગે NCRBએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

ઘરની અન્નપૂર્ણા કેમ ટૂંકાવે છે જીવન
ભારતમાં આજે પણ એક સ્ત્રીમાં સારી ગૃહિણીના ગૂણ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. ઘરનું ધ્યાન રાખનારી, સંતાનોને ઉછેરનારી અને ઘરના લોકોના પેટ ભરનારી ગૃહિણીઓ જ સૌથી વધારે આત્મહત્યા કરે છે, જે ભારતની સમાજ વ્યવસ્થા માટે કલંકરૂપ ઘટના છે. આજે પણ મહિલાઓ જો પગભર ન હોય અને આર્થિક રીતે અન્ય પર નિર્ભર હોય તો તેના હીતો સચવાતા નથી. ઘર સંભાળતી મહિલાઓને આપણે જોઈએ તેટલું માન અને સુરક્ષા આપી શક્યા નથી તે વાત આ આંકડાઓ પરથી કહી શકાય. ઘર પરિવારના ત્રાસ ઉપરાંતના કારણો પણ એક મહિલાના આવા પગલા પાછળ હોઈ શકે, પરંતુ ગૃહિણી તરીકે મહિલાઓને મજબૂત બનાવવાની જરૂર છે, તે વાત ચોક્કસ છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2020 કરતાં 2022માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ 10 ટકાથી વધારે હતું.

વર્ષ 2022માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ 2,285, બીમારીને કારણે 1747, લગ્નને કારણે 367 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે. આત્મહત્યા કરવામાં ગૃહીણીઓનું પ્રમાણ સૌથી વધુ 1761 છે. માત્ર ગુજરાત નહીં આખા વિશ્વમાં 15થી 30 વર્ષના કિશોર-યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, જે કોઈપણ દેશ માટે ગંભીર કહી શકાય.


આટલું ચોક્કસ કરો
તમે થોડી પણ નિરાશા કે તાણ અનુભવતા હો તો સતર્ક થઈ જાઓ. માત્ર એટલું જ નહીં તમારા રોજબરોજના જીવનને બોરિંગ ન કરી નાખો. તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને બીજા લોકો સાથે શેર કરો. મિત્રો સાથે વતચીત કરવાનું રાખો. અન્યો અને પોતાની પાસેથી મોટી અપેક્ષાઓ ન રાખો. સતત મોબાઈલ-સોશિયલ મીડિયામાં ન પડ્યા રહો. પ્રકૃતિથી બને એટલા નજીક રહો. કોઈ ગમતી પ્રવૃત્તિ કરો. જેટલી પણ આવક હોય તેનું યોગ્ય નિયોજન કરો. મન મજબૂત રહે તેવા યોગાસનો કરો, ધ્યાન ધરો. શ્રદ્ધા પ્રમાણે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરો. છતાં પણ જો વધારે નિરાશા અનુભવો તો ડોક્ટરની સલાહ લો. આ સાથે શરીરને પણ સ્વસ્થ અને રોગરહીત રાખો. અને ખાસ યાદ રાખો. આત્મહત્યા કોઈપણ સમસ્યાનો હલ નથી.

Show More

Related Articles

Back to top button
પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…