તરોતાઝા

આરોગ્ય પ્લસ : રોગ દર્દ ને દર્દીનું વલણ…

રોગ એ પીડા કે દુ:ખ નથી, પરંતુ પોતાના રોગ પ્રત્યેનું દર્દીનું વલણ જ રોગને પીડાનું સ્વરૂપ આપે છે, જેમ કે, કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય, તો તે દુ:ખ કે પીડા નથી, પરંતુ દર્દીનું તાવ પ્રત્યેનું નકારાત્મક વલણ તાવને દુ:ખદાયક બનાવે છે. તેવી જ રીતે શરીરમાં આપણને જેટલું હેત, મમતા અને આકર્ષણ છે, તેટલો રોગ દુ:ખદાયક લાગે છે. તેમ જ રોગની વારંવાર સ્મૃતિ, રોગની પીડાને ખૂબ જ વધારી દે છે.

ઘણા કિસ્સામાં એવું જોવામાં આવે છે કે, બે વ્યક્તિને થયેલા એક જ પ્રકારના રોગમાં એક વ્યક્તિ ખૂબ જ ઝડપથી નિરોગી થઈ જાય છે, જ્યારે બીજી વ્યક્તિને તે રોગ ઘણો લાંબો સમય ચાલે છે. તેનું કારણ દર્દીનું બીમારી પ્રત્યેનું વલણ હોય છે.
મોટા ભાગના દર્દીને પોતાની બીમારી પ્રત્યે કેવું વલણ રાખવું તેનો ખ્યાલ જ હોતો નથી. એથી દર્દીએ પોતાની બીમારી સાથે કેવું વલણ રાખવું, અને કેવું વલણ ન રાખવું, તે અંગે અહીં ઝીણવટભરી ચર્ચા કરી છે.
દર્દીએ બીમારી સાથે કેવું વલણ ન રાખવું?

બીમારી પ્રત્યે આક્રમક ન થઈ જવું:

ઘણા દર્દી એવા હોય છે કે, જે પોતાની બીમારીનો ખૂબ જ વિરોધ કરતા હોય છે. એ બીમારી પ્રત્યે વધુ પડતા આક્રમક થઈ જાય છે. તેથી નાના એવા રોગમાં પણ તેઓ ખૂબ જ ચિંતિત થઈ, તેને દૂર કરવા માટે શક્ય તેટલી દવાઓ અને ડોક્ટરોની પાછળ પોતાનો કિંમતી સમય અને ધન બગાડતા હોય છે.

પોતાને થયેલ રોગનો એ સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેથી એને આવા જ વિચારો આવ્યા કરે છે કે, મને આ બીમારી શા માટે થઈ? અને આવા સમયે જો સ્નેહીજનો તેનું ઓછું ધ્યાન રાખે, તો એમના પ્રત્યે પણ ખૂબ જ આક્રમક થઈ જતા હોય છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ પોતાની બીમારી પ્રત્યે આક્રમક થાય છે, તેમ તેમ તે બીમારીનો વધુ શિકાર બનતો જાય છે. માટે પોતાની બીમારી પ્રત્યે ક્યારેય આક્રમક ન થવું.

બીમારીને આધીન ન થઈ જવું:

તેવી જ રીતે અમુક દર્દી બીમારીને એટલા બધા આધીન થઈ જતા હોય છે કે, એ બીમારીને પોતાનામાં કાયમી નિવાસ આપી દે છે. આવા દર્દી બીમારીથી ખૂબ જ ડરતા હોય છે, પરંતુ સાથોસાથ બીમારીના પ્રભાવમાં પણ જીવતા હોય છે.
ખરેખર બીમારીમાં થોડી સાવધાની રાખવાથી તેમાંથી બહાર નીકળી શકાય તેવું હોય છે, છતાં પણ આવા પ્રકારના દર્દીઓ બીમારીને ખૂબ જ પંપાળતા હોય છે. એનું મન સતત બીમારીનું જ ચિંતવન કરતું હોય છે. તેથી એ બીમારી પ્રત્યેના વિચારો જ એને વધુ દુ:ખ દે છે.

આમ એ નાની એવી બીમારીને પણ ખૂબ મોટું સ્વરૂપ આપે છે. અને જ્યાં સુધી પોતે સાજા ન થાય ત્યાં સુધી મૂંઝવણમાં જ રહ્યા કરે છે. માટે બીમારી પ્રત્યે આક્રમક કે તેને આધીન ન થતાં તેમાંથી બહાર નીકળવાના યોગ્ય ઉપાયો કરવા.

ઉપરોક્ત બંને કારણ કરતાં પણ એક એવું અગત્યનું કારણ છે કે, જેને લઈને દર્દી બીમારીનો કાયમી શિકાર બની જતો હોય છે. સામાન્ય બીમારી પણ તેનામાં આજીવન નિવાસ કરીને રહે છે. લાંબા સમયના ઈલાજો બાદ પણ ડોક્ટરો, વૈદ્યો અને સ્નેહીજનો દર્દીની બીમારીનું આ કારણ જાણી શકતા નથી. આ કારણ ખૂબ જ આશ્ર્ચર્યજનક અને બધાને કદાચ ન પણ સમજાય એવું છે, પરંતુ તે ખૂબ જ વૈજ્ઞાનિક અને વાસ્તવિક છે. કારણ એ છે કે, દર્દીને સાજાં થવા કરતાં બીમાર રહેવું વધુ પસંદ હોય છે.

શું દર્દીને બીમાર રહેવું પસંદ હોઈ શકે?
હા, કેટલાક બીમારીને જ ગુણ માનવા લાગે છે. તેમાં એણે અનેક ફાયદાઓ માની લીધા હોય છે, પરંતુ બીમારીમાં દર્દીને શા માટે ગુણ કે ફાયદાઓ મનાય છે, તેના અહીંયા ત્રણ આશ્ચર્યકારી કારણ છે…

માંદગી દરમ્યાન મળતી વિશેષ સુવિધાઓ:
માંદગી દરમ્યાન દર્દી માટે અમુક વિશેષ સંભાળ રાખવી જરૂરી હોય છે. આ સુવિધાઓ દર્દીને અમુક અંશે સ્વસ્થ થવામાં ખૂબ જ ઉપયોગી હોય છે, જેમ કે, માંદગી દરમિયાન ગમે ત્યારે મનપસંદ જમવું, ગમે ત્યારે સૂવું-જાગવું વગેરે અમુક પ્રકારની છૂટછાટ દર્દીને આપવામાં આવતી હોય છે. એટલે ધીરે-ધીરે દર્દી આ સુવિધાઓથી ટેવાતો જાય છે અને સુવિધાઓને પોતાની જરૂરિયાત માની લે છે. જેમ સત્તાના લાલચું વ્યક્તિને એકવાર સત્તા ભોગવવા મળે પછી તેનો ત્યાગ કરી શકતો નથી એવું જ અહીં થાય છે. અમુક દર્દીને બીમારી દરમિયાન મળતી વિશેષ સુવિધાઓનો ઉપભોગ કર્યા પછી એનાથી તે સુવિધાઓ છોડી શકાતી નથી.

આવા સમયે જો દર્દી સાવધાન થઈને તે સુવિધાઓનો વિવેકપૂર્વક ત્યાગ ન કરે, તો આ સુવિધાઓ જ તેની બીમારીને લંબાવાનું કારણ બને છે. માંદગી દરમિયાન દર્દીને મળતી જરૂરિયાત ઉપરાંતની સુવિધાઓ જ એના માટે કુટેવો બની જાય છે. હવે જો સ્નેહીજનો દર્દીની આ કુટેવોને છોડાવી બીમારીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે તો દર્દી એમના પ્રત્યે ખૂબ જ અણગમો વ્યક્ત કરે છે. એટલું જ નહિ, દર્દી બીમારીમાંથી બહાર નીકળવાની મદદ લેવાને બદલે પોતાની બીમારીનો સહુ સ્વીકાર કરે અને મળતી સુવિધાઓ યથાવત્ રહે તેવી અપેક્ષા રાખે છે.

સહુ તરફથી મળતી વિશેષ સહાનુભૂતિઓ:દરેક વ્યક્તિ પોતાના આત્મસન્માનમાં જીવતી હોય છે. આપણને સહુના આકર્ષણનું કેન્દ્ર થવું ખૂબ જ ગમતું હોય છે. જ્યારે જ્યારે વ્યક્તિને પોતાનું આત્મસન્માન એની અપેક્ષા કરતાં ઓછું અનુભવાય છે ત્યારે એને પ્રેમની ઊણપ વર્તાય છે.

મનમાં સતત એવાં વિચારો રહે છે કે, ‘મને કોઈ પ્રેમ આપતું નથી, મને કોઈ સમજી શકતું નથી.’ તેથી એ પ્રેમના નામે પોતાના આત્મસન્માનને સંતોષવા ઇચ્છતો હોય છે. મનને તે સારી રીતે ખ્યાલ હોય છે કે, જો શરીર બીમાર પડે તો સહુ તરફથી મળતી લાગણીઓના કારણે તેનું આત્મસન્માન સંતોષાશે. તેથી મનનું કાર્યક્ષેત્ર એવું મગજ, શરીરમાં એવાં ન્યુરોટ્રાન્સમીટર્સ (મગજમાં રહેલાં રસાયણો, કે જે મગજના કોષો વચ્ચે સંદેશાવાહક તરીકે કામ કરે છે.) છોડે છે, કે જે કોઈ પણ પ્રકારની શારીરિક (પાચનતંત્ર, શ્ર્વસનતંત્ર વગેરેને લગતી) કે માનસિક બીમારી ઉત્પન્ન કરે છે.

આ રીતે બીમારીના નિમિત્તે દર્દીને સ્નેહીજનો તરફથી લાગણી અને સહાનુભૂતિરૂપે પ્રેમ પ્રાપ્ત થાય છે. તેથી દર્દી ધીરે-ધીરે તે લાગણીઓથી ટેવાતો જાય છે પછી એને એવો ભય લાગે છે કે, જો હવે હું સાજો થઈ જઈશ તો સ્નેહીજનો તરફથી મળતી લાગણીઓ ઓછી થઈ જશે. તેથી દર્દી બીમાર રહેવાનું જ પસંદ કરે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, દર્દીને તે ખ્યાલ પણ નથી હોતો કે, તેનું શરીર આત્મસન્માનની ઝંખનાને કારણે બીમાર પડયું છે. એટલું જ નહિ, સ્નેહીજનો અને ડોક્ટરો પણ દર્દીની બીમારીનું આ સાચું કારણ શોધી શકતા નથી અને બીમારીના અન્ય ઉપચારો જ કર્યા કરે છે, પરંતુ કોઈકવાર સ્વજનો બીમારીનું સાચું કારણ જાણવા છતાં પણ દર્દીને સ્પષ્ટ કહી શકતા નથી.

કેમ જે, જો દર્દીને બીમારીનું સાચું કારણ જણાવે તો તરત જ દર્દી તેને નકારી કાઢે છે અને વધુ મૂંઝવણમાં જીવવા લાગે છે. આવા સમયે સ્નેહીજનોએ જ સાવધાન થઈને દર્દીને યોગ્ય અને જરૂર પૂરતો જ પ્રેમ આપીને, સાચી વાત સમજાવીને બીમારીમાંથી બચાવવો જોઈએ. અને જો દર્દીને પ્રેમ આપવાની માત્રા વધી જશે તો એની બીમારી અવશ્ય લાંબા સમય સુધી ચાલશે. અને ભવિષ્યમાં પણ તે દર્દી બીમાર રહેવાનું જ પસંદ કરશે. માટે આવી પરિસ્થિતિમાં સ્નેહીજનોએ દર્દી સાથે ખૂબ જ સમજીને વ્યવહાર કરવો જોઈએ.

આમેય, આવા દર્દીઓના બીમાર પડવાનું કારણ ડોક્ટરો, વૈદ્યો કે સ્નેહીજનો પણ પકડી શકતા નથી. કેમ કે, આવા દર્દીઓ ખૂબ જ નાટકીય હોય છે; તેમને ઢોંગ કરતા ખૂબ જ સારી રીતે આવડતું હોય છે. તેમને જેમ છે તેમ ઓળખવા, એ તો નેવાના પાણી મોભે ચઢાવવા જેવું મુશ્કેલ છે. બિચારા સ્નેહીજનો આવા દર્દીને સાજા કરવા સમયનું ખૂબ જ યોગદાન આપે છે, તેમ છતાં દર્દીને એમની લેશમાત્ર કિંમત હોતી નથી.

બીજી તરફ, દર્દીને સતત એવી અપેક્ષા રહ્યા કરે છે કે, પરિવારજનો અને સહચરો પોતાના જીવનમાં હસ્તક્ષેપ ન કરતાં તેને મનફાવે તેમ સ્વચ્છંદી રીતે જીવવા દે, પરંતુ દર્દી પોતાની આ માંગ સ્પષ્ટ શબ્દોમાં કહી શકતો નથી. દર્દી પોતાની આ નબળાઈ જાણતો હોવા છતાં પણ પોતાની માનસિકતામાંથી બહાર નીકળવા સક્ષમ હોતો નથી. તેથી સ્નેહીજનોએ જ તેની આ નબળાઈને સમજીને, ખૂબ જ ધીરજતાપૂર્વક અને વિવેકબુદ્ધિ રાખીને દર્દીને હિંમત આપીને બીમારીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ.
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આ પણ વાંચો…આરોગ્ય પ્લસ -સંકલન: અનેકવિધ સ્ત્રી રોગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button