My IPO (My Insurance Protection Options) સબસ્ક્રાઈબ થયેલા હોવા જોઈએ | મુંબઈ સમાચાર

My IPO (My Insurance Protection Options) સબસ્ક્રાઈબ થયેલા હોવા જોઈએ

ગૌરવ મશરૂવાળા

આપણે જીવનમાં બે પ્રકારનાં જોખમનો સામનો કરવો પડતો હોય છે. એક, રોકાણસંબંધી જોખમ અને બે, ખરું જોખમ. રોકાણસંબંધી જોખમનાં ત્રણ પરિણામ શક્ય છે: 1) નફો, 2) યથાવત્ સ્થિતિ અને 3) નુકસાન.

જ્યારે આપણે સોના પર આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ ત્યારે કાં તો નફો થઈ શકે છે અથવા તો કોઈ નફો કે નુકસાન થાય નહીં એવી સ્થિતિ રહી શકે છે અથવા તો માત્ર નુકસાન થઈ શકે છે. આવા પ્રકારના જોખમની સામે વીમાનું રક્ષણ મળતું નથી.

ખરા જોખમની વાત કરવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે એક કાર છે. તેને જો અકસ્માત નડે તો તમને નુકસાન થાય અને કોઈ અકસ્માત નડે નહીં તો યથાવત્ સ્થિતિ રહે. કારને લીધે નફો થાય એવી કોઈ શક્યતા હોતી નથી, છતાં ખરાં જોખમો માટે તમે વીમાનું કવચ લઈ શકો છો.

આથી દરેક વ્યક્તિને મારે કહેવાનું કે My CEO નિશ્ર્ચિત થયા બાદ My IPOનો વિચાર કરવો. ઘણી વાર મને પૂછવામાં આવે છે કે IPOમાં રોકાણ કરવું કે નહીં. મારો જવાબ એ જ હોય છે કે તમારો પોતાનો IPO નક્કી હોય તો તમારે બજારના IPOમાં રોકાણ કરવું. દરેક વ્યક્તિનો પોતાનોIPO એટલે Insurance Protection Options અર્થાત્ વીમા અને રક્ષણના વિકલ્પો. ઓચિંતી કોઈ બીમારી આવે, અકસ્માત થાય કે મૃત્યુ થાય ત્યારે પારિવારિક ખોટ થાય છે અને સાથે સાથે માનસિક આઘાત પણ લાગે છે. તેની સાથે નાણાકીય નુકસાન પણ થાય છે. વીમો માનસિક આઘાતની સ્થિતિમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે નહીં, પરંતુ નાણાકીય નુકસાનની ભરપાઈ કરવા માટે અગત્યની વસ્તુ છે.

વાહનને અકસ્માત નડે કે પછી ઘર, ઑફિસ કે તેની વસ્તુઓને નુકસાન થાય ત્યારે આપણે નાણાકીય નુકસાન ભોગવવું પડે છે. આથી સંપત્તિસર્જનના માર્ગે ચડતાં પહેલાં My IPO સંપૂર્ણપણે ભરાયો છે કે નહીં એ જોવું જરૂરી છે. નુકસાનની સામે વીમાનું રક્ષણ લેવાયું હશે તો નાણાકીય આઘાત ઘણો ઓછો લાગશે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની પ્રેક્ટિસ દરમિયાન મેં જોયું છે કે જેમણે My IPO નક્કી કરી રાખ્યો હોય છે એ સંપત્તિસર્જનની દિશામાં જોશભેર અને વધુ વેગથી પ્રગતિ કરી શકે છે. તેનું કારણ એ કે જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે એ વાત એ પહેલેથી સારી રીતે જાણતા હોય છે. આવા સંજોગોમાં નાણાંની જરૂર પડે ત્યારે My IPO ઉપયોગી થાય છે.

આ પણ વાંચો…તમે ક્યારેય My CEOનો વિચાર કર્યો છે?

વ્યક્તિગત જોખમ:

આપણી આવક બંધ થઈ શકે કે ઓછી થઈ શકે એવી કેટલીક ઘટનામાં બીમારી, અકસ્માત, પંગુતા, મરણ, વગેરેનો સમાવેશ થાય છે. આથી આરોગ્ય વીમો, જનરલ વીમો અને જીવન વીમો એ ત્રણે પ્રકારનાં કવચ લેવાયેલાં હોવાં જોઈએ.

આરોગ્ય વીમો પરિવારના તમામ સભ્યો માટે લેવાવો જોઈએ. એ લોકો કમાય છે કે નહીં તેની સાથે આ વીમાનો કોઈ સંબંધ નથી. તેનાથી વિપરીત, જીવન વીમો ફક્ત કમાનાર સભ્યોનો જ હોવો જોઈએ. બીમારી કે અકસ્માત કોઈની પણ સાથે થઈ શકે છે તેથી બધા માટે મેડિક્લેઈમ હોવો જોઈએ, જ્યારે કમાનાર વ્યક્તિને કોઈ નુકસાન થાય તો તેને કારણે પરિવારની આવક પર વિપરીત અસર થાય છે તેથી જીવન વીમો કમાનાર વ્યક્તિ માટે કઢાવવો જોઈએ. ઘરમાં જો મહિલા નોકરી-વ્યવસાય કરનારી હોય તો એનો પણ વીમો જરૂર હોવો જોઈએ.

ટૂંકમાં, જીવન વીમો દરેક કમાનાર વ્યક્તિ માટે કઢાયેલો હોવો જોઈએ, જ્યારે આરોગ્ય વીમો પરિવારના દરેક સભ્યનો હોવો આવશ્યક છે.

પ્રોપર્ટી સામેનું જોખમ:

આપણું ઘર, ઑફિસ, તેમાંની વસ્તુઓ, વાહનો, વગેરે જેવી જણસો આપણી પ્રોપર્ટી ગણાય છે. તેમને કોઈ નુકસાન થાય તો તેનાથી આપણી સંપત્તિ પર અસર થાય છે. આથી એવી તમામ પ્રોપર્ટીનો વીમો હોવો જોઈએ.

આપણી પ્રોપર્ટી હોય કે આપણે પોતે હોઈએ, બધાં જ એક પ્રકારની સંપત્તિ છે. તેમને વીમાનું કવચ આપવામાં ન આવે તો જોખમ લાગુ પડે છે. આથી એ જોખમથી બચવું આવશ્યક છે. આથી, તમે જો બજારમાં આવતા IPOમાં પૈસા નહીં રોકો તો
એક વાર ચાલી જશે, પણ પોતાનો My IPO તો હોવો જ જોઈએ.

હવે જ્યારે પણ IPO આવે ત્યારે પહેલાં પોતાની જાતને પૂછી લેજો, My IPO પૂરેપૂરો ભરાયો છે કે નહીં?

આ પણ વાંચો…લાંબા ગાળાના સંપત્તિસર્જનનો રસ્તો છે My SENSEX અર્થાત My Sensible Expense…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button