તરોતાઝા

રોકાણનાં જોખમઃ આપણું મન છે સૌથી મોટું જોખમ…

ગૌરવ મશરૂવાળા

‘આપણા નિર્ણયો પર નાણાકીય થિયરી કરતાં માનસિકતાની ઘણી અસર થતી હોય છે.’ – જોન આર. નોફસિંગર
આ કોલમમાં આપણે રોકાણની સાથે સંકળાયેલાં વિભિન્ન પ્રકારનાં જોખમોની વાત કરી છે. તેમાંથી અમુક જોખમ વાસ્તવિક અને અમુક અગોચર હોય છે. જેમાં નુકસાનની ગણતરી કરી શકાય એ વાસ્તવિક જોખમ અને જેમાં નુકસાનની ગણતરી કરવાનું મુશ્કેલ હોય એ અગોચર જોખમ. જેમાં આપણે નુકસાનની ગણતરી કરી શકતા નથી એમાંથી મોટાભાગના કિસ્સામાં આપણો દૃષ્ટિકોણ ઘણો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે પોતાની લાગણીઓના આધારે જ્યારે કોઈ બાબતને જોખમ ગણી લઈએ અને તે પ્રમાણે વર્તીએ ત્યારે જ એ જોખમો વાસ્તવિકતા બની જાય છે.

વાસ્તવિક જોખમનું એક ઉદાહરણ લઈએ. માર્કેટ રિસ્કને આ પ્રકારનું જોખમ કહી શકાય છે. ધારો કે આપણે 29,000 રૂપિયાના ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદ્યા છે. આપણે જ્યારે બોન્ડ વેચવા જઈએ ત્યારે ભાવ ઘટીને 25,000 થઈ ગયો હોય એ શક્ય છે. બોન્ડ વેચી નાખીએ તો નુકસાન થાય.

આ પણ વાંચો: રોકાણનાં જોખમ: ન ધાર્યું હોય એવું દેશ સંબંધી જોખમ પણ આવી શકે…

સોનાના ભાવ કેટલા ચાલી રહ્યા છે એ જાણવાનું ઘણું સહેલું છે. અનેક જગ્યાએ તે ઉપલબ્ધ હોય છે. આમ નુકસાનની ગણતરી કરવાનું શક્ય હોય છે. આપણે પહેરેલાં ઘરેણાં વેચવાનાં ન હોય, પરંતુ તેને વેચવાનો અને નફો/નુકસાન થવાનો વિચાર કરીએ ત્યારે જે નફો/નુકસાન દેખાય એ અગોચર જોખમ કહેવાય. એ જોખમ ત્યારે જ વાસ્તવિક બને જ્યારે આપણે એ ઘરેણાં વેચવા માટે ખરેખર બજારમાં જઈએ.

હવે રિયલ એસ્ટેટનું ઉદાહરણ લઈએ. જે માણસ નિયમિતપણે રિયલ એસ્ટેટની ખરીદી અને વેચાણ કરતો હોય ત્યારે રિયલ એસ્ટેટમાં થતો ફેરફાર તેના માટે વાસ્તવિક જોખમ ઊભું કરે છે, પણ જો રહેવા માટેનું ઘર હોય અને તેને વેચવા કાઢ્યું ન હોવા છતાં આપણે તેના નુકસાન વિશે વિચાર કરીએ તો તે અગોચર જોખમ છે.

સામાન્ય રીતે આપણે ઘર, ઑફિસ, વેરહાઉસ જેવી મિલકતો ભાવની વધઘટને ધ્યાનમાં રાખીને ખરીદતા કે વેચતા નથી. આ બધી મિલકત આપણી જરૂરિયાત પ્રમાણે ખરીદવામાં કે વેચવામાં આવતી હોય છે. આ જ મિલકતો વેચવાની ન હોય, છતાં આપણે બજારમાં ચાલી રહેલા દરને ધ્યાનમાં રાખીને વેચાણનો વિચાર કરીએ ત્યારે તેમાં નફો કે નુકસાન દેખાઈ આવે છે. જો એ મિલકતો ખરેખર વેચી દેવામાં આવે તો ત્યારે થતો નફો કે નુકસાન વાસ્તવિક બની જાય છે.

આ પણ વાંચો: રોકાણના જોખમઃ વ્યાજદરનું જોખમ સમજી લેવું જરૂરી છે…

પહેરવાનાં ઘરેણાં અને રહેવાના ઘરની વાત આવે ત્યારે આપણે માર્કેટમાં ચાલતા ભાવના આધારે નફા/નુકસાનનો વિચાર ભલે કરતાં હોઈએ, પણ તેના વિશે તરત જ પ્રતિક્રિયા કરતા નથી અને તેનું વેચાણ કરી દેતા નથી. આમ આ બન્ને ઍસેટ્સની બાબતે જોખમ જ્યાં સુધી આપણા મગજની અંદર હોય ત્યાં સુધી ઓછું નુકસાનકારક હોય છે. જો કે, નાણાકીય ઍસેટ, ખાસ કરીને ઈક્વિટીની વાત હોય ત્યારે આવું અગોચર જોખમ પણ ક્યારેક હાનિકારક બને છે.

ઈક્વિટીના રોકાણકાર (ખરું પૂછો તો સટ્ટો ખેલનારા) રમેશ મહેતા સવારે ઊઠીને સૌથી પહેલું કામ ટીવી ચાલુ કરીને બિઝનેસ ન્યૂઝ સાંભળવાનું કરે છે. પાછલા દિવસે (એટલે કે આગલી રાત્રે) યુરોપિયન અને અમેરિકન ઈક્વિટી માર્કેટ્સમાં શું થયું એ જાણવાની એમને ઇંતેજારી હોય છે. આ સમાચાર જાણી લીધા બાદ એમનું મગજ સક્રિય થઈ જાય છે. એ ક્યારેક ખુશખુશાલ થઈ જાય છે અને ક્યારેક ચિંતિત થઈ ઉઠે છે. એમના એક મિત્ર વેંકટ ઐયર પણ એવા જ છે. વિવિધ રાજકીય, આર્થિક તથા અન્ય ઘટનાઓના આધારે એ પોતે પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરે છે અને પછી તેના આધારે રોકાણની (એટલે કે સટ્ટાની) સ્ટ્રેટેજી નક્કી કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button