સ્વાસ્થ્ય સુધા: કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી

-શ્રીલેખા યાજ્ઞિક
શું આપને કેળાં પસંદ છે? મોટાભાગે જવાબ ‘હા’માં જ હશે. ગરીબોનું મનગમતું તેમજ પરવડતું ફળ એટલે કેળાં. શરીરને બળવાન બનાવવાની સાથે પાચનક્રિયાને સુધારવામાં કેળા સૌથી મોખરે ગણાય છે. બારે-માસ મળતું ફળ એટલે કેળા. પાકા કેળાં તો બધાને પસંદ હોય જ છે. વળી તેનો ઉપયોગ પ્રતિદિન કરવામાં આવતો જ હોય છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે પાકા કેળાં જેટલાં જ આરોગ્યવર્ધક ગુણો કાચાં કેળામાં સમાયેલાં છે. સામાન્ય રીતે સફેદ કે પીળી કેળાંની વેફર મુંબઈની લોકલ ટ્રેન હોય કે શાળાનો લંચબોકસ ઝટપટ ખવાતી હોય છે.
આજે આપણે વેફર જે કેળામાંથી તૈયાર થાય છે તે કાચાં કેળાના લાભ વિશે જાણકારી મેળવીશું. સફેદ મરીવાળી વેફર લીલા કાચાં કેળામાંથી તૈયાર થાય છે. જ્યારે પીળી વેફર માટે ખાસ અલગ લાંબા કાચાં કેળા બજારમાં મળે છે. પાકા કેળા માટે એવું કહેવાય છે કે તેનો અતિ ઉપયોગ વજન વધારે છે. જ્યારે કાચાં કેળાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસ કે અતિસારની સમસ્યામાં કાચાં કેળા ગુણકારી ગણાય છે.
કાચાં કેળામાં અનેક ચમત્કારીક ગુણો સમાયેલાં છે. તેથી જ કાચાં કેળાને સ્વાસ્થ્યનો ખજાનો ધરાવતું ફળ કહેવામાં આવે છે. કાચાં કેળામાં ફાઈબર, વિટામિન સી, વિટામિન બી-6, વિટામિન એ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : રામબુતાન એક એવું ફળ જે અનેક બીમારીમાં કારગ
ચલો જાણકારી મેળવી લઈએ કાચાં કેળામાં સમાયેલાં ગુણોની
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: ચોમાસું શરૂ થાય તેની સાથે શાકભાજીમાં અનેક વખત નાની અમથી ઈયળો દેખાતી હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. તેથી જ જૈન સંપ્રદાયમાં ચતુર્માસમાં લીલોતરી તેમજ વરસાદ બાદ કેરીનું સેવન કરવામાં આવતું નથી. જાણ્યે-અજાણ્યે જીવ હત્યાની ગ્લાનિ વ્યક્તિને સતાવે નહીં તે હેતુથી જ. કાચાં કેળામાં ડાયેટરી ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જેથી કાચાં કેળાનું શાક કે તેની પેટીસ કે કટલેટ ઓછા તેલમાં બનાવીને ખાવ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વારંવાર ખાતા રહેવાની આદત ધીમે ધીમે છૂટી જાય છે. જે ધીમે ધીમે વજનને ઘટાડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસમાં ગુણકારી: સામાન્ય રીતે ડાયાબિટીસની વ્યાધિમાં પાકા કેળા ખાવાની મનાઈ કરવામાં આવે છે. કાચાં કેળાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 30થી પણ ઓછો છે. એવું કહેવાય છે કે જે ચીજોનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 50થી નીચે હોય તે સરળતાથી પચી જાય છે. જેથી તેના સેવન બાદ ઈન્સ્યુલિન હાર્મોન ધીમે ધીમે રિલીઝ થાય છે. કાચાં કેળામાં ઍન્ટિ-ડાયાબિટીક ગુણો સમાયેલાં હોય છે. જેથી કાચાં કેળાના સેવન બાદ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: કાચાં કેળામાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કાચા કેળામાં ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી વધતાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. જેથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી ગણાય છે.
ત્વચાને ચમકદાર બનાવે છે: કાચાં કેળાનું સેવન ત્વચા માટે લાભકારક ગણાય છે. કેમ કે કાચાં કેળામાં વિવિધ વિટામિન તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેથી કાચાં કેળાનું સેવન કરવાથી ત્વચા સૂકી-બરછટ કે કરચલી વાળી રહેતી નથી.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: કાચાં કેળામાં વિટામિન સી, વિટામિન બી-6 તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી મુક્ત કણોથી લડીને શરીરને સંક્રમણથી બચાવે છે. જ્યારે વિટામિન બી-6 લાલ રક્ત કોશિકાના ઉત્પાદનમાં વધારો કરે છે. જેથી શરીરને પૂરતાં પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે. લાંબે ગાળે શરીરને નિરોગી બનાવવામાં મદદ કરે છે.
કાચાં કેળામાંથી અનેક વાનગી બનાવી શકાય છે. જેમ કે કાચાં કેળાનું શાક, કાચાં કેળાની ચીપ્સ, કાચાં કેળાની કટલેટ, કાચાં કેળાની પેટિસ તેમજ કાચાં કેળાના ભજિયા બનાવી શકાય છે. નાગરોને ત્યાં બનતાં મોટા શાકમાં અન્ય શાકની સાથે કાચાં કેળાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. જે મોટા-શાકને સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે.
કાચાં કેળાનું શાક
4 નંગ કાચાં કેળા, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી તલ, 4-5 નંગ મીઠો લીમડો ઝીણો કાપેલો, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી જીરું, સજાવટ માટે કોથમીર, ચપટી હિંગ, 1 ચમચી લીંબુનો રસ, 1 નાની ચમચી ગરમ મસાલો
બનાવવાની રીત: સૌ પ્રથમ કાચાં કેળાની છાલ કાઢીને ટુકડાં કરી લેવાં. કેળા કપાઈ જાય ત્યારબાદ તેને પાણીમાં રાખવા. હવે એક તપેલીમાં 2 ગ્લાસ ગરમ પાણી મૂકવું તેમાં કાપેલાં કેળાના ટુકડાં મૂકવાં. ચપટી મીઠું તથા ચપટી હળદર ભેળવવી.
કેળા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢીને નિતારી લેવાં. હવે કડાઈમાં 1 નાની ચમચી તેલ તથા 1 નાની ચમચી ઘી મૂકીને તેમાં જીરું મૂકવું. જીરું સેકાઈ જાય ત્યાર બાદ આખા ધાણા, તલ, ઝીણા સમારેલાં આદું-મરચાં, મીઠો લીમડો વગેરે નાખીને હલાવતાં રહેવું.
તલ તતડવા લાગે એટલે તેમાં કેળાને ગોઠવવાં. ધીમા તાપે શાકને પકાવવું. તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ભેળવવો. સ્વાદાનુસાર ખાંડ તથા મીઠું ભેળવવું. બાઉલમાં કાચાં કેળાનું ગરમા-ગરમ શાક ગોઠવીને કોથમીરથી સજાવવું. ગરમા ગરમ રોટલી, પરાઠા કે રાજગરાની પૂરી સાથે સ્વાદ માણવો. (ફરાળમાં ખાઈ શકાય તેવું બનાવવા માટે હળદરનો ઉપયોગ ન કરવો. તલની સાથે સિંગદાણાને અધકચરાં વાટીને ઉપયોગ કરી શકાય.)