તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
જ્ઞાનતંત્રની કાર્યપદ્ધતિના નવસંસ્કરણથી વ્યક્તિના સાંવેગિક જીવનને વધુ સ્વસ્થ બનાવવામાં સહાય મળે છે.
(III) જ્યાં sympathetic જ્ઞાનતંત્રનું આધિપત્ય વધારે પડતું હોય ત્યાં પ્રાણાયામના અભ્યાસથી ઉચિત સમતુલા પ્રાપ્ત કરી શકાય છે. આ સમતોલ જ્ઞાનતંત્ર મનની સમતુલામાં અને આખરે ચેતનાના ઊર્ધ્વીકરણમાં પણ ફાળો આપે છે.

(5) દીર્ઘ પૂરકના અભ્યાસને પરિણામે ઉચ્છ્વાસનો Tone વધે છે.

(6) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન નાભિથી નીચેનો ભાગ અંદર સંકોચાયેલો રાખવામાં આવે છે. પરિણામે ઉદરપટલ ઊંચો રહે છે. આમ થવાથી છાતીના પોલાણની ખાલી જગ્યા (Dead space volume) ઘટે છે. પેડુના ભાગમાં થતો અનાવશ્યક સંચય અટકે છે.

(7) શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન પેડુ, પેટ અને છાતીની અંદરના ભાગમાં દબાણમાં પરિવર્તન (pressure change) થયા કરે છે. પ્રાણાયામમાં આ દબાણ-પરિવર્તનમાં ઘણો વધારો થાય છે. ત્રિબંધ પ્રાણાયામમાં આ દબાણ-પરિવર્તન તેથી પણ વધે છે. પરિણામે આ વિસ્તારમાં રહેલ જ્ઞાનતંત્રની ગ્રંથિઓ (Nerve plexuses)ને ઉત્તેજના મળે છે, જેને લીધે એક અપૂર્વ અને વિશિષ્ટ પ્રકારની સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. આ સંવેદનાઓ સાધકની ચેતનાને અંદર વાળે છે અને ચેતનાને અંતરંગ યોગાભ્યાસ તરફ પ્રગતિ કરવામાં સહાયક બને છે.

(8) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન કરોડની અંદર રહેલ પોલાણ (Central canal of spinal cord) અને મગજના પોલાણ (Ventricles of brain)માં દબાણ વધે છે. પરિણામે સમગ્ર જ્ઞાનતંત્રમાં એક વિશિષ્ટ ઉત્તેજના ઉત્પન્ન થાય છે. આ ઉત્તેજનાથી ચેતના અંતર્મુખી બને છે; સાધક સમક્ષ કાંઈક અપૂર્ણ એવી અનુભૂતિઓનાં દ્વાર ખુલ્લાં થાય છે અને વ્યક્તિચેતના વૈશ્વિક ચેતનામાં વિલીન થવા તરફ અગ્રેસર થાય છે.

  1. ઉપસંહાર:

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય અધ્યાત્મ પરંપરામાં લગભગ સર્વત્ર પ્રાણાયામનો અપૂર્ણ મહિમા ગવાયો છે.
વૈદિક પરંપરા પ્રમાણે કર્મકાંડના યજ્ઞાદિ પ્રયોગોના પ્રારંભમાં જ પ્રાણાયામ કરવાનો હોય છે. `त्रिभि: प्राणान्‌‍ आयम्य’ આવી સ્પષ્ટ સૂચના અપાય છે. પૌરાણિક કર્મોના પ્રારંભમાં પણ આ જ પરંપરા જળવાયેલ છે.

સનાતન પરંપરામાં સંધ્યાકર્મને ખૂબ મૂલ્યવાન ગણવામાં આવે છે. તેમાં પણ પ્રાણાયામનું અનિવાર્ય સ્થાન છે.
મનુસ્મૃતિ, વસિષ્ઠસંહિતા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આદિ સ્મૃતિગ્રંથોમાં પ્રાણાયામનો અભ્યાસ સૂચવવામાં આવેલ છે અને તેની મહત્તા પણ દર્શાવવામાં આવેલ છે. પુરાણોમાં લગભગ સર્વત્ર પ્રાણાયામનું વર્ણન, ભલામણ અને મહત્તા જોવાં મળે છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે

પ્રાણાયામને આપણી પરંપરામાં એક શ્રેષ્ઠ તપ અને એક મૂલ્યવાન પ્રાયશ્ચિતકર્મ ગણવામાં આવેલ છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા અને શ્રીમદ્ ભાગવતમાં પણ પ્રાણાયામની મહત્તાનું વર્ણન જોવા મળે છે.

હઠયોગમાં તો પ્રાણાયામ કેન્દ્રવર્તી સાધના છે. ભગવાન પતંજલિ પ્રણિત રાજયોગમાં પણ પ્રાણાયામ મહત્ત્વનું અંગ છે.
આમ વૈદિક પરંપરાના સર્વ પ્રવાહોમાં પ્રારંભથી અંત સુધી પ્રાણાયામની મહત્તાનું ગાન થયું છે.

આવું છે પ્રાણાયામસાધન અને આવી છે પ્રાણાયામની મહત્તા.

યોગાસન એટલે શું?

  1. પ્રસ્તાવ:

વર્તમાનકાળમાં યોગાસનના અભ્યાસનો વ્યાપક પ્રચાર થયો છે. ગઈકાલ સુધી થોડા સાધુઓના આશ્રમોમાં સીમિત અને લગભગ ગુપ્તપ્રાય રહેલાં યોગાસનો હવે ચોરે અને ચૌટે પહોંચી ગયાં છે. યોગાસનોનો પ્રસાર થાય, તેમાં કાંઈ ખોટું નથી. લોકો વ્યાપક પ્રમાણમાં યોગાસનોનો અભ્યાસ કરે તે માન્ય અને આવકાર્ય છે, પરંતુ સમસ્યા એ છે કે યોગાસનોની સાથે સાથે યોગાસનોવિષયક ગેરસમજોનો પણ પ્રસાર થઈ રહ્યો છે.

લોકો યોગાસનોના યથાર્થ સ્વરૂપને સમજે અને યોગાસનોનો ઉચિત પદ્ધતિથી અભ્યાસ કરે તો જ તેમનો અભ્યાસ ફળદાયી અને ઉપકારક બની શકે છે. તેથી યોગાસનોના યથાર્થ સ્વરૂપને સમજવાનું કાર્ય આવશ્યક જ નહિ, પરંતુ અનિવાર્ય છે.

આપણી સમક્ષ યોગાસનો વિશે અનેક પ્રશ્નો છે:

  • યોગાસન ખરેખર શું છે?
  • કોઈ પણ આસન ખરેખર યોગાસન ક્યારે ગણાય?
  • યોગાસન વિશે શાસ્ત્રોમાં શું કહ્યું છે?
  • યોગાસનો વિશે થયેલાં વૈજ્ઞાનિક સંશોધનો શું કહે છે?
  • યોગાસનોના અભ્યાસથી શારીરિક, પ્રાણિક, માનસિક અને આધ્યાત્મિક રીતે શું બને છે?
  • શારીરિક વ્યાયામની અન્ય પદ્ધતિઓથી યોગાસનો કઈ રીતે જુદાં પડે છે?

આ અને આવા અનેકવિધ પ્રશ્નો જિજ્ઞાસુઓના ચિત્તમાં ઉપસ્થિત થાય છે. આપણે અહીં યોગાસનો વિષયક આ પ્રશ્નોના ઉત્તરો મેળવવા પ્રયત્ન કરીએ.

  1. યોગાસન શું નથી?

સામાન્ય જનસમાજમાં યોગાસનવિષયક ઘણી ગેરસમજ પ્રવર્તે છે. આ ગેરસમજનું નિરસન થાય તે આવશ્યક છે. તેથી આપણે યોગાસન શું છે, તે સમજતાં પહેલાં યોગાસન શું નથી તે સમજી લઈએ.

(1) યોગાસન શારીરિક વ્યાયામ પદ્ધતિ નથી:

પ્રથમ દૃષ્ટિએ યોગાસન શરીરની ક્રિયા લાગે છે અને તેથી યોગાસન પણ શારીરિક વ્યાયામની એક પદ્ધતિ છે, તેવી ગેરસમજ થવા પામી છે. યોગાસનના અભ્યાસનો પ્રારંભ શરીરથી થાય છે, છતાં આ અભ્યાસ શરીર પર જ અટકી જતો નથી. તેનાં પરિણામો પ્રાણ અને મન સુધી પહોંચે છે અને તેનું મુખ વસ્તુત: અધ્યાત્મ તરફ છે. તેથી આપણે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે યોગાસન શારીરિક વ્યાયામની પદ્ધતિ નથી. યોગાસન શારીરિક વ્યાયામ કરતાં ઘણી ગહન ઘટના છે.

(2) યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી:

વર્તમાનકાળમાં રોગમુક્તિ માટે લોકોએ યોગ તરફ અને ખાસ કરીને યોગાસન તરફ દોડ મૂકી છે. યોગાસનના અભ્યાસથી શારીરિક-માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં સહાય મળી શકે તેમ છે અને યોગાસનના અભ્યાસથી શરીર- મનના કેટલાક રોગોમાંથી મુક્તિ મળી શકે તેમ છે, તે પણ સાચું છે, પરંતુ આ સર્વ તો યોગાસનના અભ્યાસની આડપેદાશ છે. યોગાસનના અભ્યાસનું પ્રધાન લક્ષ્ય ચિકિત્સા નથી. અષ્ટાંગયોગ અધ્યાત્મવિદ્યા છે અને યોગાસન અષ્ટાંગયોગનું એક અંગ છે. યોગાસનનું મુખ શરીર-મનની ચિકિત્સા તરફ નહિ, પરંતુ આધ્યાત્મિક વિકાસ તરફ છે.

(3) યોગાસન હેરત પમાડે તેવા અંગકસરતના પ્રયોગો નથી:

સરકસના ખેલાડીઓ હેરત પમાડે તેવા અંગકસરતના પ્રયોગો કરતા હોય છે. વ્યાયામવીરો પણ આવા પ્રયોગોનું પ્રદર્શન કરતા હોય છે. કેટલાંક યોગાસનો ખૂબ કઠિન છે અને તેમના પ્રયોગોનું પ્રદર્શન લોકોની તાલીઓ મેળવી શકે તેમ છે, પરંતુ સાવધાન! આવા પ્રયોગો કે તેમનું પ્રદર્શન યોગ નથી. યોગાસનના અભ્યાસનું મુખ સમાધિ પ્રત્યે છે. લોકો હેરત પામી જાય તે પ્રકારના અંગકસરતના પ્રયોગો કરવા તે યોગાસનનું યથાર્થ સ્વરૂપ નથી અને યોગાસનના મૂળ સ્વરૂપ સાથે આવા પ્રયોગો સુસંગત પણ નથી.

આ પણ વાંચો….તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…

(4) યોગાસન ચમત્કારિક શક્તિઓની પ્રાપ્તિ માટે નથી:

કેટલાક મદારીઓ, જાદુગરો, તમાશગીરો લોકો સમક્ષ શરીર-મનની અસાધારણ શક્તિઓનું પ્રદર્શન કરતા હોય છે અને પોતે આ શક્તિઓ યોગાસન કે યોગના અભ્યાસથી પ્રાપ્ત કરેલ છે, તેવો દાવો કરતા હોય છે. આથી લોકોના ચિત્તમાં એવી ગેરસમજ જન્મે છે કે યોગાસન આવી અસાધારણ શક્તિઓની પ્રાપ્તિ માટેની સાધના છે.

આ ગેરસમજ ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી છે, તેથી તેનું નિરસન થવું જોઈએ.

યોગાસન ચમત્કારિક શક્તિઓની પ્રાપ્તિ માટેનો અભ્યાસ નથી. યોગાસનનો અભ્યાસ અધ્યાત્મપથ પર સહાયક અભ્યાસ છે અને બાકી બધું યોગાસનનાં મળમૂત્ર છે, તેમ સમજવું જોઈએ.

(5) યોગાસન એટલે યોગ નહિ:

કેટલાક લોકો માત્ર યોગાસનને જ યોગ માની લેવાની ભૂલ કરી રહ્યા છે. તેઓ માત્ર થોડાં યોગાસનોનો અભ્યાસ કરે છે અને માને છે કે તેઓ યોગાભ્યાસ કે યોગસાધના કરી રહ્યા છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button