તંદુરસ્તી-મનદુરસ્તીઃ આયુર્વેદમાં શોધનકર્મને પંચકર્મ કહે છે

- ભાણદેવ
શોધનકર્મ
(1) શોધનકર્મ એટલે શું?
જેમ આપણે જળ વડે ધોઈને કે કપડાથી લૂછીને શરીરની બહારની સપાટી સાફ કરીએ છીએ તેવી રીતે શરીરની અંદરનાં અવયવોને સાફ કરવાની પદ્ધતિ યોગમાં વિકસી છે. આ માટે ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રયોજવામાં આવે છે.
આ ક્રિયાઓને શોધનકર્મ કહેવાય છે. યોગમાં શરીરનું આંતરિક શોધન કરવામાં ચાર સાધનોનો ઉપયોગ થાય છે. પાણી, વસ્ત્ર કે દોરી, હવા અને શરીર ચાલન, બસ્તિ, વારિસાર, જલનેતિ વગેરેમાં પાણીનો ઉપયોગ થાય છે. ઘૌતિમાં વસ્ત્ર અને સૂત્રનેતિમાં સૂતરની દોરી વપરાય છે. કપાલભાતિમાં હવાથી શોધન થાય છે. નૌલિ કે અગ્નિસારમાં-કોઈ બાહ્ય સાધનોનો ઉપયોગ થતો નથી, પરંતુ માત્ર શરીરનાં અવયવોના ચાલન દ્વારા જ શોધન થાય છે. ત્રાટકમાં માત્ર આંખની સ્થિર સ્થિતિ દ્વારા શોધન કરવામાં આવે છે.
(2) શોધનકર્મનું યોગમાં સ્થાન:
- યોગમાં નાડીશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. નાડીશોધન કર્યા વિના પ્રાણાયામ કે અંતરંગયોગનો અભ્યાસ કરનાર સાધક જોખમ વહોરી લે છે. આ નાડીશોધન માટે શોધનકર્મનું મૂલ્યવાન પ્રદાન છે. યોગમાં નાડીશોધન (અનુલોમવિલોમ) નામનો એક ખાસ પ્રાણાયામ છે જેનાથી સાધન નાડીશોધન સિદ્ધ કરે છે. એક પરંપરા નાડીશોધન માટે માત્ર નાડીશોધન પ્રાણાયામને પર્યાપ્ત માને છે, પરંતુ બીજી પરંપરા મુજબ નાડીશોધન માટે આ પ્રાણાયામ ઉપરાંત શોધન કર્મોથી શરીરનું શોધન કરવું આવશ્યક છે.
- જ્યાં સુધી શરીરમાં વાત, પિત્ત અને કફજન્ય દોષ હોય ત્યાં સુધી યોગાભ્યાસ કઠિન અને જોખમી છે. એટલે પહેલા ત્રિદોષજન્ય રોગોનું નિવારણ આવશ્યક છે. આ કાર્ય શોધનકર્મોથી સારી રીતે થઈ શકે છે.
- ધાતુ સામ્ય એ ચિત્તની સમ અવસ્થા માટેનું આવશ્યક સોપાન છે. ધાતુ સામ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે. આ ધાતુ સામ્ય સિદ્ધ કરવા માટે શોધનકર્મોનું પ્રદાન મૂલ્યવાન છે.
- યોગાભ્યાસ દરમિયાન સાધક ક્યારેક વ્યાધિઓનો ભોગ થઈ પડે તેવી શક્યતાઓ છે. આ વખતે જાણકારની સલાહ પ્રમાણે શોધનકર્મો દ્વારા તે રોગનિવારણ કરી આ રીતે આપણે કહી શકીએ કે શોધનકર્મ સાક્ષાત્ યોગ સાધન નથી, પરંતુ એક મૂલ્યવાન સહાયક સાધન છે.
(3) યૌગિક શોધનકર્મોનું વિશિષ્ટ સ્વરૂપ:
આયુર્વેદમાં શોધનકર્મોને પંચકર્મ કહે છે. બસ્તિ, વમન, વિરેચન, સ્નેહન અને સ્વેદન-આ પાંચ આયુર્વેદના શોધનકર્મો છે. યૌગિક શોધનકર્મ અને આયુર્વેદના પંચકર્મમાં કેટલીક ભિન્નતાઓ રહે છે.
- આયુર્વેદિક શોધનકર્મમાં સામાન્યત: ઔષધિનો ઉપયોગ થાય છે. જ્યારે યૌગિક શોધનકર્મમાં ઔષધિનો ઉપયોગ નથી.
- આયુર્વેદમાં શોધનકર્મનો હેતુ રોગનિવારણ કે શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ છે. યૌગિક શોધનકર્મ તેથી આગળ વધીને નાડીશોધન અને આખરે આધ્યાત્મિક વિકાસને દૃષ્ટિ સમક્ષ રાખે છે. એટલે યૌગિક શોધનકર્મનો હેતુ વધારે સૂક્ષ્મ અને વધારે વ્યાપક છે.
- આયુર્વેદિક શોધનકર્મના પ્રમાણમાં યૌગિક શોધનકર્મના સ્વરૂપ અને સંખ્યા બંને દૃષ્ટિએ વિકાસ થયો છે. ધેરંડ સંહિતામાં એકવીશ શોધનકર્મોનું વર્ણન છે.
- આયુર્વેદિક શોધનકર્મો કરતાં યૌગિક શોધનકર્મો વધુ કઠિન છે. આયુર્વેદમાં શોધનકર્મો દરદીઓ માટે છે. જ્યારે યૌગિક શોધનકર્મો સાધક માટે છે.
- યૌગિક શોધનકર્મનું મૂલ્ય આયુર્વેદિક શોધનકર્મ કરતાં વધુ છે.
- જે શોધનકર્મ બંનેમાં સમાન છે. તેમના સ્વરૂપમાં બંનેમાં ભિન્નતા છે. દા.ત. આયુર્વેદમાં બસ્તિ કરવા માટે પાણીને બહારના દબાણથી અંદર પસાર કરવામાં આવે છે. જ્યારે યૌગિક બસ્તિમાં નૌલિકર્મ દ્વારા પાણીને અંદર ખેંચવામાં આવે છે. આયુર્વેદિક વિરેચનમાં ઔષધિ પ્રયોગથી રેચન કર્મ થાય છે. યૌગિક પદ્ધતિમાં નૌલિ, ઉડ્ડિયાન અને આસનોના પ્રયોગથી જ વિરેચન સિદ્ધ કરવામાં આવે છે.
(4) યૌગિક શોધનકર્મોનું વર્ગીકરણ:
(1) કપાલભાતિ:
I કપાલભાતિ
II વ્યુત્ક્રમ કપાલભાતિ
III શીત્ક્રમ કપાલભાતિ
(2) નૌલિ
(3) ત્રાટક
(4) નેતિ- શ જલનેતિ, શશ સૂત્રનેતિ
(5) બસ્તિ: શ જલબસ્તિ, શશ શુષ્ક બસ્તિ
(6) ધૌતિ-(અ) અંતર્ધૌતિ
(I) વાતસાર, (II) વારિસાર, (III) અગ્નિસાર
(બ) હૃાદધૌતિ
(I) દંડધૌતિ, (II) વમનધૌતિ, (III) ગજકરણી
(IV) બાધી ક્રિયા, (V) વસ્ત્રધૌતિ, (VI) વાયુભક્ષણ
(ક) મૂલશોધક
(ડ) દંડધૌતિ-
(I) દંતમૂલ શોધન, (II) કર્ણશોધન (III) જીહ્વામૂલ શોધન
(IV) કપાલરન્ધ્ર શોધન
- કપાલભાતિ
(1) નામ: કપાલ એટલે મસ્તક અને ભાતિ એટલે પ્રકાશિત કરે છે. કપાલભાતિના અભ્યાસથી ચહેરા પર તેજ આવે છે. તેથી તેને કપાલભાતિ કહે છે.
(2) યોગશાસ્ત્રમાં ઉલ્લેખ: હઠપ્રદીપિકામાં સ્વાત્મારામ કપાલભાતિનું જે સ્વરૂપ વર્ણવે છે તે સ્વરૂપ પ્રમાણે આપણે અહીં કપાલભાતિની પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
भ्रस्त्रावल्लोहकारस्य रेच पुरौ ससंभ्रमौ |
कपालभाति विरव्याता कफदोष शोषणी ॥
‘લુહારની ધમણની જેમ તીવ્ર ગતિથી રેચક-પૂરક કરવાથી કપાલભાતિ થાય છે. તે કફદોષનો નાશ કરનારી છે.’ ધેરંડ સંહિતામાં શીત્ક્રમ કપાલભાતિ અને વ્યુત્ક્રમ કપાલભાતિ એવા બે વિશેષ પ્રકારોનું વર્ણન છે.
પ્રાણાયામ માટે ઉપયુક્ત એવું આસન કપાલભાતિ માટે પણ ઉપયુક્ત છે. એટલે કે કુશાસન પર મૃગચર્મ કે ઊનનું આસન પાથરી તેના પર સુતરાઉ સફેદ કાપડ પાથરી આસન બનાવવું. તેમ શક્ય ન હોય તો ગડી વાળેલો કામળો પણ ચાલી શકે.
કપાલભાતિમાં અભ્યાસ વખતે પદ્માસનમાં બેસવું તે સૌથી ઉત્તમ છે, કારણ કે કપાલભાતિ શ્વાસોચ્છ્વાસની તીવ્ર ક્રિયા છે. બીજું આસન આ તીવ્રતાને કારણે છૂટી જાય તેવી શક્યતા છે. પદ્માસનમાં આવું જોખમ નથી. જેઓ પદ્માસનમાં ન બેસી શકે તેઓ બીજા અનુકૂળ ધ્યાનોપયોગી આસનમાં બેસી શકે છે.
આસન ધારણ કર્યા પછી હાથની ગોઠવણી કપાલભાતિમાં વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. બંને હાથને ઢીંચણ પર હથેળી રાખી દૃઢતાપૂર્વક ગોઠવો. શરીર સહેજ આગળ નમાવો, હાથ ઢીંચણ પર દબાવીને રાખો. આટલું કરવાથી આસન દૃઢ થશે, જે કપાલભાતિ માટે આવશ્યક છે. કમરથી ઉપરનું શરીર મસ્તક સહિત સીધી રેખામાં રાખો જેથી શ્વસનક્રિયામાં અવરોધ ન થાય.
(4) પદ્ધતિ: કપાલભાતિ શોધનકર્મ છે; પ્રાણાયામ નથી. છતાં એ શ્વાસોચ્છ્વાસની એક ક્રિયા છે. તેથી ઘણી બાબતમાં તેની પ્રાણાયામ સાથે સમાનતા છે અને ઘણી બાબતમાં ભિન્નતા પણ છે.
- કપાલભાતિમાં ઝડપથી રેચક-પૂરક કરવાના હોય છે. કુંભકને કપાલભાતિમાં સ્થાન નથી.
- આ ઝડપ કપાલભાતિની આખરી અવસ્થામાં એક સેકંડે બે રેચક-પૂરકની આટલી ઝડપ રાખવાની નથી. ધીમે ધીમે વધારતાં આટલી ઝડપે પહોંચવાનું છે.
- કપાલભાતિ દરમિયાન છાતીનું હલનચલન કરવાનું નથી. છાતી સ્થિર રહેશે. ઉદરપટલ અને પેટના હલનચલનથી રેચક-પૂરક થશે. મુખ્યત: નાભિથી નીચેના પેટનું હલનચલન થશે. નાભિથી ઉપરના પેટનો ભાગ પ્રમાણમાં ઓછો ચાલશે.
- કપાલભાતિનો પ્રારંભ રેચકથી અને અંત પૂરકથી કરવો.
- રેચક સક્રિય, ઝડપથી અને ઝટકા સાથે કરવાનો છે. પૂરક પ્રમાણમાં સક્રિય, ધીમેધીમે અને આપોઆપ થાય છે.
- રેચક સાથે પેટ ઝટકા સાથે અંદર આવશે ઉદરપટલ ઉપર જશે. પૂરક સાથે પેટ આયાસ વિના સ્વાભાવિક રીતે બહાર આવશે અને ઉદરપટલ નીચે જશે.
- કપાલભાતિ દરમિયાન શ્વસનમાર્ગને પૂરેપૂરો ખુલ્લો રાખવો. પ્રાણાયામની જેમ શ્વસનમાર્ગને આંશિક રીતે બંધ કરવાનો નથી. (ક્રમશ:)
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસઃ પીડાશામક દવા જાતે લો છો? તો આટલું અચૂક જાણી લો…