તરોતાઝા

મોજની ખોજ: સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા…

-સુભાષ ઠાકર

હે ઈશ્વર…

તારા નામની આગળ પ્રિય, વ્હાલા, કે પૂજ્યનું સંબોધન નથી કર્યું એટલે તારા હૈયાને ઠેસ લાગશે, કારણ કે તું આવાં સંબોધનોથી જ ટેવાયેલો છે. તને પથ્થરમાંથી ઈશ્વર થવાનો ને મંદિરમાં બેસી પૂજાવાનો શોખ, પણ સોરી ટુ સે કે મારે તારી સાથે સંબંધનું બંધન તોડવું છે. કેમ? એ આ પત્રના અંતે ખબર પડશે.

પ્રભુ, હમણાં બન્યું એવું કે હું બેઠેલો ને અચાનક મારા શરીરમાં ઝણઝણાટી ઊપડી, શરીર થરથર ધ્રૂજયું દસ સેકંડમાં તો એક લિટર પરસેવો વળ્યો ને હું આખો વાઇબ્રેટર મોડ પર આવી ગયો, હું ગભરાયો ત્યાં તો ચંપાએ હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો ને ભડકી ‘તમને હજારો વાર સમજાવ્યા કે સાઇકલ ચલાવતા આવડતું નથી ને કઇ કમાણી પર મોબાઈલ વિમાન મોડ પર…’

‘અરે, ફ્લાઇટ મોડ પર રાખવાથી મારી જાતને અંબાણીથી વધુ ધનવાન જેવું લાગે. સમજી?’ મેં કીધું ‘અરે નથી સમજવું. જોયું નઇ, હમણાં હવાઇ-ભારત વિમાનમાં 300થી વધુ પેસેન્જરો રાખમાં પલટાઈ ગયા’ ચંપા બોલી.
‘હવાઇ-ભારત?’ હું ચમક્યો.

આ પણ વાંચો: મોજની ખોજ : સા-રે-ગ-મ આ ગયા તો સારે ગમ દૂર હો ગયા

‘અરે ‘હવાઇ-ભારત’ એટલે ‘એર-ઈન્ડિયા’ હું ગુજરાતી છું ને ગુજરાતીમાં એને ‘હવાઇ-ભારત’ કહેવાયને!. હવે જો મોબાઈલ વિમાન મોડ પર રાખ્યો તો મોબાઈલ ને તમે બંને ફાટી જશો ને તમારું એકેય અંગ શોધ્યું નઇ જડે..’

‘બોલ, પ્રભુ, હવે બોલ્ડ થઈને કઉં તો કોઈ ગીતકારે એક ગીતમાં ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ’ એવું લખ્યું. હવે એ ગીતકાર જો હાથમાં આવે તો ડોકી મરડી નાખું, આટલું ખોટું લખાય? એ ટોપાને ખબર જ નથી કે તારા ઘરમાં દેર નઇ, અંધેર પણ છે. કાળું ડીબાંગ અંધેર.

નઇતર આ ગંદા રાજકારણીઓ, સત્તાના નશામાં ડૂબેલા નેતાઓ, પ્રજાને છેતરનારા વેપારીઓ, ખંડણી ઉઘરાવનારાખલનાયકો. કેટલા ગણાવવા? બધા સાપનો ભારો બનીને ફરે છે ને પેલા ફ્લાઇટમાં 300થી વધુ નિર્દોષનો તું પળવારમાં ધુમાડો કરી નાખે, એ પછી પણ મરવાની સિઝન આવી હોય એમ ટપોટપ ટપકે જ રાખે છે.

આ પણ વાંચો: મોજની ખોજ : સંગીતના અસુરને આ સૂર કેમ સમજાય?

રોજ પેપર ખોલો ખબર પડે કે આટલા ટપકયા કોઈ પૂરમાં તો કોઈ યુદ્ધમાં. સાચું કહેજે તું હોલસેલમાં લાશનો ધંધો કરવા નીકળ્યો છે? લંડન જતાં બધા મુસાફરોની ટિકિટ પર લખેલું ‘હેપી જર્ની’.. તો શું તું આને ‘હેપી’ કહે છે? આઈ નો કે તારા શરણમાં કોઈ આવે એ તને ગમે પણ આવા અકસ્માતો કરી તારાથી અચાનક ખેંચી ન લેવાય. કબૂલ કે સર્જન તું કરે એટલે વિસર્જનનો અધિકાર તારો જ હોય પણ અમારા જન્મની ખબર નવ મહિના પહેલાં આપે છે ને મરણની તો નવ સેક્ધડ પહેલાં પણ નથી આપતો.

મારી વાત સમજાય છે? પ્લેન અકસ્માતથી ડઘાયેલા મારા લંડનવાળા કાકા તો એવા જિદે ચડયા ને બોલ્યા ‘ભાઈ સુભાષ હું બસમાં, રિક્ષામાં, ટ્રેનમાં કે લંડન ચાલતો જઈશ, ભલે દસ વર્ષે પહોંચું પણ વિમાનમાં તો નઇ નઇ ને નઇજ’ આખી જિંદગી મજૂરી કરી કેવડી મોટી સંબંધોની મૂડી બનાવી ને 30 સેક્ધડમાં તો તે રાખમાં રોળી નાખી.

બચવા માટે પ્લેનમાં મુસાફરોએ કેટલી રોકકળ અને ચિચિયારીઓ પાડી હશે, પણ તું તો માણસ જેટલો પણ દયાળુ ન નીકળ્યો. લોકો ભલે તને મસ્કા મારી દયાનો સાગર કહેતા હોય પણ સાચું કહું તો તું દયાનું ખાબોચિયું પણ નથી. … તું નિર્દય છે. અરે, અમે કદાચ તારામાં વધતું ઓછું માનીએ તો તું અમારમાં થોડુંક માન. હું તો કહું છું થોડો વખત તો દરબાર વિખેરીને તારા ઘરબાર છોડીને અમારી જોડે આવીજા. છે તાકાત? બહુ અઘરું છે.

આ પણ વાંચો: મોજની ખોજ : મિશન એડ્મિશન…

ભલે ઈશ્વર હોય પણ એકવાર આવી રીતે મરી તો જો. આ અકસ્માતમાં એક મુસાફર વિશ્વાસકુમાર રમેશ બચી ગયો તો એના માટે કોઈ બોલ્યું ‘રામ રાખે એને કોણ ચાખે’ પણ ટોપા, રામ ‘જેને રામે રાખ્યા જ નથી એને કોણ ચાખશે?

તને ગમ્યું એ ખરું પણ તને ગમે એ બધુ ખરું નથી હોતુ….જો આખી વાત સમજાવું. તમારા ભગવાનોમાં એકવાર રામને પાણીની તરસ લાગી ને લક્ષ્મણે કીધું ‘તમે તો જમીનમાં એક તીર મારો તો પાણી નીકળે. રામે સનનન કરતું છોડ્યુ તીર જમીનમાં ને ઊડ્યો ફુવારો, પણ લાલ રંગનો. જ્યારે તીર કાઢ્યું તો તીર કોઈ દેડકાને લાગેલુ.

રામે પૂછ્યું ‘અલ્યા દેડકા,આ આખુ તીર તારી આરપાર નીકળી ગયુ લોહી નીકળ્યું ને તું એકદમ ચૂપ, જરાય ચું કે ચા નઇ?’ દેડકો બોલ્યો ‘પ્રભુ હું શું ચીસ પાડું કોઈ મને મારે તો બચાવ માટે ‘હે રામ, અમને બચાવો’ એવો પોકાર પાડીએ પણ રામ જ જો તીર મારે તો અમારે કોને ફરિયાદ કરવી? જબ સાવન હી આગ લગાએ તો ઉસે કોન બુઝાએ….’

આ પણ વાંચો: મોજની ખોજ: ધોળિયો હોય કે કાળિયો… બધાના લોહીનો રંગ લાલ!

પ્રભુ, હવે સરકાર પેલા પેસેન્જરમાંથી લાશ બની ગયેલા પરિવારને એક બે કરોડના ટુકડા ફેંકી મનાવી લેશે? શું આ જ કિંમત છે તારા ઉછીના આપેલા આ દેહની? તારો આપેલો દેહ એટલે તું માલિક ખરો પણ અમે જો મંદિર કે દેરાસરમાં તને રાખીએ તો અમે તારા માલિક ખરા કે નઇ? જવા દે …….વધુ લખીશ તો આપણા સંબંધોની વાટ લાગી જશે.

અમે સ્મશાનમાં મરેલાને બળતા જોયા છે પણ વિમાનમાં તો બળીને મરતા જોયા. આ તારો બનાવ નથી પણ અમારી સાથેની બનાવટ છે. ઈશ્વર આવો ન હોય ને હોય તો અમારો તો ન જ હોય. બીજું તો શું કઉં હવે જે મૃતકો ‘તારે શરણે આવ્યો છું સ્વીકારી લે એવું ગાય તો તું સ્વીકાર નઇ સત્કાર કરજે. સમજ્યો? એમાં જ તારી શોભા છે.
હવે ખબર પડી કે તને પ્રિય, વ્હાલા કે પૂજ્યનું સંબોધન કેમ નથી કર્યું? શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button