આહારથી આરોગ્ય સુધી : કોઈ કારણ વગર કે મતલબ વગર ખાવાની કુટેવો

- ડૉ. હર્ષા છાડવા
ભોજન મનુષ્યની મૂળભૂત જરૂરિયાતમાં એક છે. ભોજન વગર મનુષ્ય જીવનની કલ્પના પણ કરવી એ અશક્ય છે. પ્રકૃતિએ મનુષ્યના શરીરની જરૂરતોને પૂરી કરવા પ્રાકૃતિક ભોજન જેમ કે ફળો, શાકભાજી, ધાન્ય, સૂકામેવાનો પ્રબંધ કર્યો છે.
ખોરાક સાથેનો આપણો સંબંધ જટિલ છે. આ સંબંધ ખાદ્ય-પદાર્થોની કિંમત તેમની ઉપલબ્ધતા અને આસપાસના લોકોની ખાવાની ટેવથી પ્રભાવિત છે સંશોધન અનુસાર ખોરાક સાથે સંબંધિત ઘણા સંકેતો આપણી ખાવાની ઈચ્છાને અસર કરે છે. જેમ કે સુગંધ, ભોજન બનાવતી વખતે થતાં અવાજો વગેરે. આપણી આસપાસ એવી જાળ રચાઈ જાય છે, જેમાં ફસાઈને આપણે વધારે ખાઈ લેતા હોઈએ છીએ, જરૂરત ન હોય છતાં ખાઈએ છીએ. એવી વસ્તુઓ જે બીજા ખાતા હોય તો આપણે પણ ખાઈએ.
બીજાને સારું લાગે તે માટે પણ ખાઈએ છીએ. સ્વાદ સારો છે માટે પણ થોડું ખાઈ લઈએ. બધા લોકો લેતાં હતા માટે આપણે પણ લઈએ કોઈ જાહેરાતથી પ્રરાઈને પણ લઈએ જેવાં અનેક કારણો છે જે આપણને નુકસાન પહોંચાડે છે કે કોઈ બીમારી આપે છે તે જાણવાની કોશિશ વગર લોકો જરૂરિયાત વગરની ખાદ્ય-સામગ્રી ખરીદતા હોય છે ઘણીવાર દવાઓ પણ વગર કારણથી ખરીદતા હોય છે કે પડી હશે તો કામ લાગશે અને આ જાહેરાતને કારણે પણ થતું હોય છે. નટ-નટીઓની જાહેરાત લોકોના માનસ ઉપર વધુ પડે છે નટ-નટીને જાહેરાતની કિંમત મળતી હોય છે તેથી તેઓ જાહેરાત કરે છે.
શરીરને પાતળું કે જાડું કરવા કે સુંદર બનાવવા ડાયટિંગ કરતા હોય છે ત્યારે તેમણે એ ધ્યાન રાખવું કે જે વસ્તુનો ઉપયોગ કરે છે તે ખરેખર કરવા લાયક છે કે નહીં. ડાયેટમાં આવે છે એટલે ખાવું ભૂખ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે. વજન ઓછો કરવાનો તણાવ રાખે છે ત્યારે શરીરમાંનું કોર્ટિસોલ નામનું હાર્મોન સ્તર વધી જાય છે જે ભૂખને દબાવી શકે છે. જેથી શરીરને પોષકતત્ત્વો મળતાં નથી અને અનોરેકિસ્યા નર્વોસા નામક બીમારી થાય છે, જેમાં ભૂખની ઓછપ થઈ જાય છે.
એક એવો વર્ગ છે જે મતલબ વગર કે કોઈ કારણ વગરની વસ્તુઓનું સેવન કરે છે જેમ કે માછલીના તેલની કેપ્સુલ ખાય છે લગભગ પૂરી દુનિયામાં માછલીના તેલની કેપ્સુલ દસ લાખ ટન જેટલી ખવાય છે. દસ લાખ ટન કેપ્સુલ બનાવવા માટે સત્યાવીશ લાખ ટન માછલી મારવી પડે છે. પાંચ કિલો માછલીમાંથી એક કિલો માછલીનું તેલ (ફીશ ઓઈલ) બને છે. આ ફીશ ઓઈલ કેપ્સુલ લોકો ઓમેગા-3 માટે ખાય છે. સમજવા જેવી વાત એ છે કે આપણું શરીર ઓમેગા-3 બનાવી શકતું નથી તો માછલીનું શરીર કેવી રીતે બનાવે? માછલી પોતે ઓમેગા માટે સમુદ્રમાં ઊગતી વનસ્પતિ અલગાઈ ખાય છે. જે સમુદ્રના તળમાં ઊગે છે. તો આપણે આ અલગાઈનો ઉપયોગ કરીએ. આ અલગાઈનું તેલની કેપ્સુલ પણ મળે છે અને તેલ પણ મળે છે જે કોઈપણ જાતના કેમિકલ વગર અને મરક્યુરી (પારા) વગર બને છે. જે વર્ગ હિંસાથી દૂર રહે છે કે કોઈપણ જાતનો માંસાહાર નથી કરતો તે વર્ગ પણ આ કેપ્સુલ ખાય છે અથવા તેમાંથી બનતી દવાઓ ખાય છે. વનસ્પતિમાં પાપ દેખાય છે ને આ રીતે કેપ્સુલમાં માંસાહાર કરે છે. આ કેપ્સુલ ખાવાથી ઓમેગા બને એવું ક્યાંય જણાયું નથી. પ્રાકૃતિક ખોરાક જ ઓમેગા બનાવે છે. માટે જાગૃત રહેવું જોઈએ. શરીરમાં મેટાબોલીઝમ વધવાથી ઓમેગા-3 સારી રીતે બને છે.
ઘણી એવી આદતો જે નાનપણથી શિખવાડવામાં આવે છે જરૂર ન હોવા છતાં હેલ્થડ્રીંક જેમાં હાડકાં મજબૂત બનશે એવી જાહેરાતો જોઈને ખવડાવવામાં આવે છે. જેના કારણે હાડકાનો વિકાસ અટકે છે. એવા દર્દી મારી પાસે આવે છે. ચોકલેટ, પીપરમેંટ,બિસ્કીટ, ચીઝ, બટર જેવી વસ્તુઓ તો બીમારી મફતમાં આપે છે. પછી તેની ભારી કિંમત ચૂકવવી પડે છે સ્વાદ માટે ખવાતી વસ્તુઓ ખાવાથી શરીરમાં સાકર (ગ્લુકોઝ)નું સ્તર વધી જતાં અનેક બીમારીઓ લાગુ પડે છે.
આપણી કુટેવો ચહા કોફી પીવાની ટેવ જે શરીરમાં કોઈ ન્યૂટ્રિશન આપતી નથી છતાં પણ લોકો તેનું સેવન કરે છે. જેના કારણે શરીરની મિનરલ્સ બનાવવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જાય છે અને પછી બૂમો મારે કે શરીરમાં કેલ્શ્યિમ ઘટ્યું, વિટામિન બી12 ઘટ્યુ, ડી-3 ઘટ્યું કે સોડિયમ વધી ગયું.
બધી બીમારીઓ કેમિકલ યુક્ત ખોરાક અને જરૂરત વગરની ખાદ્ય ચીજો વાપરવાના કારણે જ આવે છે. સુધાર લોકો લેશ માત્ર કરતાં નથી. રિપોર્ટ કાઢવાની ઘેલછાએ હદ પાર કરી છે રિપોર્ટ કાઢવાથી કશો ફાયદો થતો નથી ફક્ત તણાવ વધે છે યોગ્ય આહાર વિશે લોકોને જાણ છે પણ આચરણમાં આવતું નથી. ટીવી. યુટ્યૂબ ચેનલો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર આવતી માહિતીઓથી લોકો ભરમાઈ જાય છે. આ પ્રોડકાસ્ટવાળાને પોડકાસ્ટ માટે ઘણી રકમ મળે છે. તેથી લોકોને તેઓ ભરમાવે છે જેને કારણે દવાઓ અને ખોટી ખાવાની વસ્તુઓ માટે લોકો પ્રેરાય છે. સારી રીતે કામ કરતાં કે સાચી સલાહ આપવાવાળાની લોકો મજાક ઉડાડે છે. આ મજાક લોકો ને હવે ભારી પડતી દેખાય છે કારણ કે બીમારી બહુ જ નાની ઉંમરમાં જ દેખાવા લાગી છે.
વગર જરૂરિયાતે ખાવાની ખોટી ટેવો હજુ ઘણી છે કોલ્ડડ્રીંક, મુખવાસ, અમુક ચટરપટર વસ્તુઓ તેમ જ કોઈ પિકનિકમાં જાય ત્યારે આખો દિવસ કંઈકને કંઈક ખાવું, કારણ વગરના કાઢા પીવા, ભૂખ ન હોય છતાં ખાવું આવું લગ્નપ્રસંગમાં વધુ બને છે. આપણી રુચિ ન હોય તેવું ખાવું સ્વાદ સુંગધ સારા છે તે માટે ખાવું વગેરે..
આપણ વાંચો: મોજની ખોજ : મિશન એડ્મિશન…
બાળપણથી આદત નાખો કે સમય પર ખાવું કયાંય ખાવાનું મફત મળે કે પ્રંસગોમાં મળે તે જરૂરત વગર ન ખાવું. થોડું ભૂખ્યા રહેવાથી શરીરને લાભ થાય છે એ ધ્યાન રાખવું જરૂરી છે. મારી પાસે આવતાં દર્દીઓને જ્યારે જણાવું છું અને સારા ખોરાકની સ્વાદિષ્ટ વસ્તુઓ કેવી રીતે બનાવવી ત્યારે લોકો એક સંતોષ અનુભવે છે. રોગો લગભગ સારા થઈ જાય છે.
સવારના નાસ્તાથી લઈ રાતના ખાવા સુધી કેટલી અખાદ્ય વસ્તુઓ ખાઈએ છીએ તેનું એકવાર લિસ્ટ (યાદી) બનાવજો જેથી ખબર પડે કે ક્યાં સુધારા કરવાની જરૂર છે. તેમ જ અન્ય વાપરવાની વસ્તુઓનું લિસ્ટ પણ.