
‘બીજા બધા લોકો બહાવરા બનીને શૅર વેચી રહ્યા હોય ત્યારે પોતે ખરીદવા અને બીજા બધા લોકો શૅર ખરીદવા માટે પડાપડી કહી રહ્યા હોય ત્યારે પોતે વેચવા, એવું રોકાણમાં બીજા બધા કરતાં અલગ વલણ અપનાવવામાં ઘણી ધીરજ, શિસ્ત અને હિંમતની જરૂર હોય છે.’
-સર જોન ટેમ્પલ્ટન
રમેશ મહેતાએ આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કર્યું હતું. એમના ફંડે પોતાની પાસેનું ભંડોળ અમેરિકાની ઈક્વિટીમાં રોક્યું હતું. મહેતાએ રોકાણ કર્યું એ સમયે ફંડની એનએવી 133 રૂપિયા હતી. એ નાણાંનું રોકાણ અમેરિકાના ફંડમાં થવાનું હોવાથી ફંડે નાણાંનું રૂપાંતર અમેરિકન ડૉલરમાં કરવું પડ્યું હતું. એ વખતે એક ડૉલર દીઠ 65 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો રમેશભાઈએ લગભગ 2.04 ડૉલરનું રોકાણ કર્યું હતું. અમેરિકાની ઈક્વિટી માર્કેટ પર એમની નજર હતી. ઈક્વિટી માર્કેટમાં જોરદાર વળતર મળી રહ્યું હતું.
રોકાણ કર્યાનાં આશરે બે વર્ષ બાદ રમેશભાઈને નાણાંની જરૂર પડતાં એમણે રોકાણ છૂટું કરવાનો નિર્ણય લીધો. એ વખતે અમેરિકામાં ઈક્વિટીમાં મોટી તેજી હોવાથી એમને મોટી રકમ મળવાની આશા હતી, પરંતુ પૈસા જ્યારે એમના હાથમાં આવ્યા ત્યારે મોટો આંચકો લાગ્યો.
રોકાણ વધવાનું તો બાજુએ રહ્યું, એમને ખોટ ગઈ હતી. રમેશભાઈના રોકાણના સમયગાળામાં અમેરિકન ઈક્વિટી માર્કેટમાં તેજી જરૂર આવી હતી, પરંતુ એ અરસામાં ભારતીય રૂપિયો ડૉલરની તુલનાએ ઘણો મજબૂત થઈ ગયો હતો અને એક ડૉલરનો ભાવ 58 રૂપિયા ચાલી રહ્યો હતો. એમના રોકાણનું મૂલ્ય ચોક્કસપણે વધ્યું હતું, પરંતુ ડૉલરનું રૂપિયામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે મૂલ્ય ઘટી ગયું!
હવે મારા અન્ય ક્લાયન્ટ-શ્રીમતી બેનર્જીનો કિસ્સો જુઓ. એ ભારત પાછાં ફરતાં પહેલાં 25 વર્ષ સુધી અમેરિકામાં રહ્યાં હતાં. એ 25 વર્ષમાં એમણે નિવૃત્તિ માટેનું મોટું ભંડોળ જમા કર્યું હતું. અમેરિકામાં નિવૃત્તિ માટેનું ભંડોળ એકઠું કરવાની યોજના ‘401K’ નામે ઓળખાય આવે છે. એમની કુલ જમા રકમ 75,000 ડૉલર હતી. એ ભારત પાછાં ફર્યાં એ વખતે એક ડોલરનું મૂલ્ય 60 રૂપિયા હતું. એમણે અઢી વર્ષે ‘401K’ની જમા રકમનો ઉપાડ કર્યો. ત્યાર સુધીમાં રૂપિયાનું મૂલ્ય ઘટીને એક ડૉલર દીઠ 65 રૂપિયા થઈ ગયું હતું. શ્રીમતી બેનર્જીએ અઢી વર્ષ પહેલાં જ નાણાંનો ઉપાડ કર્યો હોત તો એમને ઓછી રકમ મળી હોત.
હવે મારી વાત. થોડાં વર્ષો પહેલાં હું એક કોન્ફરન્સ માટે બ્રિટન ગયો હતો. જતી વખતે મેં એક પાઉન્ડના 76 રૂપિયાના હિસાબે પાઉન્ડની ખરીદી કરી હતી. પાછા ફર્યા બાદ હું વધેલા પાઉન્ડ વટાવવા ગયો. ત્યાર સુધીમાં પાઉન્ડનું મૂલ્ય વધ્યું હતું અને એક પાઉન્ડના 76.75 રૂપિયા મળતા હતા. તેને લીધે મેં જતી વખતે ચૂકવેલી રકમ કરતાં વધારે રકમ મને મળી!
ટૂંકમાં, આપણે દેશની બહાર રોકાણ કરીએ ત્યારે વિદેશી હૂંડિયામણને સંબંધિત જોખમ (ફોરેન એક્સચેન્જ રિસ્ક) લાગુ પડે છે. વિદેશી ચલણના વિનિમય દરમાં થતા ફેરફારને લીધે આવું થાય છે.
આથી ઘણી વાર હું મારા બિનરહીશ ભારતીય (એનઆરઆઇ) રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ નહીં કરવાની સલાહ આપું છું. ભારતીય માર્કેટમાં સારું વળતર છૂટ્યું હોય છે, પરંતુ વિનિમય દરના ફેરફારને લીધે એનઆરઆઇ રોકાણકારોને એટલો લાભ થયો નહીં હોવાના અનેક કિસ્સાઓ બન્યા હોવાથી હું આવી સલાહ આપું છું.
એનઆરઆઇને હંમેશાં ભારતીય બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટનું આકર્ષણ રહેતું હોય છે, કારણ કે અન્ય દેશોની તુલનાએ ભારતમાં વ્યાજદર વધારે હોય છે. આમ છતાં એમનાં ચલણ અને ભારતીય રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં લેતાં ક્યારેક વળતર ધાર્યા જેટલું ન મળે એ સ્વાભાવિક છે. આમ, ફોરેન એક્સચેન્જ રિસ્ક લાગુ પડે છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટેના અનેક વિકલ્પો છે, પરંતુ એ આપણી ચર્ચાનો વિષય નથી.
ઉપરોક્ત ચર્ચા પરથી એવું ન માની લેતા કે હું પોતાના દેશની બહાર રોકાણ નહીં કરવાની ના પાડું છું. ખરું પૂછો તો આપણે અગાઉ કહ્યું હતું કે ડાઇવર્સિફિકેશનની દૃષ્ટિએ અન્ય દેશમાં રોકાણ કરવું જરૂરી પણ હોય છે. શક્ય હોય ત્યાં વિદેશમાં પણ રોકાણ કરવું, પરંતુ ત્યાં રોકાણ કરતી વખતે ફોરેન એક્સચેન્જ રિસ્કને ધ્યાનમાં લીધા બાદ જ આગળ વધવું.