તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે

-ભાણદેવ

  1. પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન:

પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહિ, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય ખૂબ જ મર્યાદિત કક્ષાનું જ રહેવાનું. આમ છતાં પ્રાણાયામ વિશે જે કાંઈ વૈજ્ઞાનિક સંશોધન થયું છે, તે અહીં પ્રસ્તુત છે.

(1) રેચક-પૂરકમાં શ્ર્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્ર્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતાં મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.

પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે.

(2) કાર્બન ડાયોક્સાઈડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કાર્ય કરે છે. તેનાથી માનસિક શાંતિ માટેની અનુકૂળ પરિસ્થિતિ તૈયાર થાય છે.

(3) પ્રાણાયામ દરમિયાન શરીરને મળતાં ઑક્સિજનના પ્રમાણમાં ઘટાડો થાય છે, પરંતુ આ ઘટાડો એટલો ધીમો ધીમો થાય છે કે શરીર આ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એટલે જો પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કરવામાં આવે તો શરીરમાં ઓછા ઑક્સિજનથી કામ ચલાવવાની અને પ્રાપ્ત ઑક્સિજનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એક વિશેષ શક્તિ પેદા થાય છે. આ બહુ મહત્ત્વનો, મૂલ્યવાન અને મૂલગામી સુધારો છે.

અહીં એ નોંધવું પણ ઉપયોગી થશે કે અંતરંગયોગના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે અને ક્વચિત બંધ પણ પડી જાય છે. જો પ્રાણાયામના અભ્યાસથી શરીર ઉપરોક્ત રીતે તૈયાર ન થયું હોય તો તેના પર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે. એથી ઊલટું પ્રાણાયામના અભ્યાસથી શરીર ઓછા ઑક્સિજનથી ચલાવી લેવા માટે તૈયાર થયું હોય તો તે આ મુશ્કેલીથી બચી જાય છે.

આ પણ વાંચો….તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…

(4) શરીરના ભિન્ન ભિન્ન તંત્રોમાં જ્ઞાનતંત્ર એક એવું તંત્ર છે કે જે વ્યક્તિની માનસિક ક્રિયાઓ સાથે સૌથી વધુ સંબંધ ધરાવે છે. પરિણામે મન:સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન અને આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ સર્વોત્તમ સાધન છે, એમ જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. આ વિશેની કેટલીક હકીકતો આપણે જોઈ ગયા છીએ. થોડી વધુ વિગતો અહીં જોઈએ:

(I) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્ર્વાસની આપલે ખૂબ ધીમે ધીમે થાય છે અને કુંભકમાં તો શ્ર્વાસ બંધ પડી જાય છે. આમ બનવાથી પ્રાણાયામ દરમિયાન સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં કાંઈક વિશિષ્ટ પ્રકારના સંદેશાઓ શ્ર્વસનતંત્રનાં અવયવોમાંથી મગજ સુધી મોકલવામાં આવે છે. વળી મગજ તરફથી થતી પ્રતિક્રિયાનું સ્વરૂપ પણ સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં પ્રાણાયામમાં તદ્દન જુદું જ હોય છે. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન જ્ઞાનતંત્રની આ વિશિષ્ટ અને નવી રીતની ક્રિયાપ્રતિક્રિયા સતત થયા જ કરે છે. પરિણામે પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી જ્ઞાનતંત્રની કાર્યપ્રણાલિનું નવસંસ્કરણ થાય છે. આ નવસંસ્કરણ (Reconditioning)ની અસર વ્યક્તિના માનસિક બંધારણ પર સાનુકૂળ સ્વરૂપે થાય છે. તેમ થવાથી આધ્યાત્મિક વિકાસમાં સહાય મળે છે.

(II) શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયા અર્ધ ઐચ્છિક અને અર્ધ અનૈચ્છિક છે. પ્રાણાયામમાં આપણે આ ક્રિયા વધુ ને વધુ ઐચ્છિક બનાવી રહ્યા છીએ. આમ થવાથી પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી અનૈચ્છિક જ્ઞાનતંત્ર પર ઐચ્છિક જ્ઞાનતંત્રનું આધિપત્ય વધે છે. જ્ઞાનતંત્રની કાર્યપદ્ધતિના નવસંસ્કરણથી વ્યક્તિના સાંવેગિક જીવનને વધુ સ્વસ્થ બનાવવામાં સહાય મળે છે.

આ પણ વાંચો….તંદુરસ્તી-મનદુરસ્તીઃ અનિદ્રા શરીરની પણ છે ને મનની પણ બીમારી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button