આરોગ્ય પ્લસઃ ખૂબસૂરત વાળને બદ-સૂરત બનાવતા રોગ

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ભગવાને આપણને આ અમૂલ્ય મનુષ્યદેહ આપેલ છે. તેમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સાવ નકામી હોય. આજકાલ આપણે સારા દેખાવા માટે વાળની માવજત માટે બિનજરૂરી કન્ડિશનરો, શેમ્પુઓ, હેરસ્પ્રે, લોશનો વાપરીને વાળના રોગને સામેથી નોતરીએ છીએ. વાળના મોટા ભાગના રોગ આપણી અતિ આધુનિક ફેશનની સાથે જીવવાની ઘેલછાને લઈને થતા હોય છે.
વળી, વાળની અમક બીમારીઓ જેવી કે, ટાલ પડવી, અકાળે વાળ સફેદ થવા એ સામાન્ય બાબત છે, પરંતુ આજકાલ આપણે તેનો સ્વીકાર ન કરતા તેને ગંભીર ગણીને નકામા ઉપચારો કરીએ છીએ. આથી અહીં આવા અમુક વાળ સંબંધી રોગના યોગ્ય ઉપચારો આપવામાં આપ્યા છે તો હવે આપણે ખોટી ઘેલછાઓ છોડી કેવળ કુદરતી ઉપચારો દ્વારા વાળની માવજત કરીએ…
સૌપ્રથમ આવી સાવધાની રાખીએ…
- વાળમાં થતા ખોડો, જૂ, લીખ વગેરે અટકાવવા માથાના વાળને નિયમિત યોગ્ય રીતે સાફ રાખવા.
- જૂ કે લીખની તકલીફવાળા દર્દીના કાંસકા, રૂમાલ, સાબુ તેમજ માથામાં વપરાતી અન્ય વસ્તુઓ બીજાને વાપરવા ન આપવી, જેથી અન્ય વ્યક્તિને તકલીફ ન થાય.
- જો ઘરમાં કોઈને જૂ, લીખની તકલીફ થાય તો ઘરના અન્ય સભ્યોએ પણ સાવધાની રાખવી તથા જરૂરી સારવાર લેવી.
- વાળને સફેદ થતા કે ખરતા અટકાવવા નિયમિત લીલા પાંદડાવાળા શાકભાજી તથા ફળફળાદિ યોગ્યમાત્રામાં લેવા.
વાળ સંબંધી વિવિધ રોગ
- ખોડો-જૂ-લીખ વગેરે માટે…
1.) સીતાફળના બીજનો પાઉડર અને લીંબુનો રસ બન્ને ભેગાં કરી માથું ધોવું. જેથી જૂ, લીખથી રાહત મળશે.
2.) ચણાના લોટને છાસમાં પલાળી, માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોઈ નાખવું. જેથી ખોડો મટશે.
3.) લીમડાના પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી ખોડામાં રાહત થાય છે.
4.) લીંબુના રસમાં કાળીજીરી વાટીને રાત્રે ચોપડવી. સવારે માથું ધોઈ લેવું તેનાથી જૂ, લીખ અને ખોડો મટશે.
વાળની ચમક માટે શું કરવું…
1) ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી, તેને ઉકાળીને એ પાણીથી વાળ ધોવામાં આવે, તો વાળ સુંદર અને ચમકીલા બને છે.
2) છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
3) સરસિયાના તેલનું માલિશ કરવું કે આમળા, મહેંદી, દૂધી, ભાંગરાનો લેપ રોજ વાળમાં ઘસવો.
4) ગૌમૂત્ર માથામાં લગાવીને થોડીવાર પછી વાળ ધોઈ નાખવા.
5) રોજ કોપરેલ માથામાં ઘસવાથી વાળની ચમક વધે છે.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસ : નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
ટાલ પડી હોય તો…
1) તાંબાના વાસણમાં 1 કપ દહીં નાખી 3 દિવસ રહેવા દો. સવાર-સાંજ દહીં થોડું હલાવતા રહેવું. જે દિવસે દહીં લીલાશ પડતું અથવા ભુરાશ પડતું થઈ જાય ત્યારે તેને રાત્રે માથામાં ટાલવાળા ભાગમાં ઘસીને ચોપડવું, સવારે ધોઈ નાખવું. – પ્રયોગ માટેનું દહીં પૂરું થાય તે દિવસે નવું દહીં તૈયાર થઈ ગયેલું હોવું જોઈએ તે રીતે આયોજન કરવું.
2) દહીં અને મીઠું સમાન માત્રામાં મેળવીને જ્યાં-જ્યાં ટાલ પડી હોય ત્યાં રોજ રાત્રે 5 મિનિટ માલિશ કરવું.
3) તલના ફૂલ, ગોખરુ અને સિંધવ મીઠું કોપરેલમાં અથવા મધમાં નાખીને તેનો લેપ કરવાથી ટાલનો વિસ્તાર ઘટશે…
4) રાયની ભુક્કી દિવેલમાં મેળવીને રોજ ટાલ ઉપર ઘસવી.
5) માથાની ટાલમાં રોજ ટર્પેન્ટાઈનનું તેલ ઘસવું.
વાળ ખરવા માંડે ત્યારે…
1) એકાદ ચમચી લીંબુનો રસ અને 2 ચમચી કોપરેલ એ બંને બરાબર મિક્સ કરી રાત્રે માથામાં હળવે હાથે ઘસીને સવારે ધોઈ નાખવું. કુલ 7 દિવસ આ મુજબ કરવાથી વાળ ખરતા અટકે છે.
2) તલના ફૂલ, ગોખરું અને સિંધાલૂણને કોપરેલમાં નાખી તેનો લેપ માથામાં કરવો.
3) દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવું.
4) માથા પર આમળાનો રસ ઘસવો.
5) એરંડિયું ગરમ કરીને વાળ ઉપર હળવાશથી લગાડવું.
અકાળે વાળ સફેદ થવા માંડે ત્યારે…
1) 2 ચમચી વરિયાળીના ચૂર્ણમાં 2 ચમચી દળેલી ખાંડ પાણી સાથે સવારે અને રાત્રે ફાકી જવી. આ પ્રયોગથી અકાળે થયેલા સફેદ વાળ મૂળમાંથી કાળા ઊગે છે. તેમજ આ ઉપચારથી ચશ્માંના નંબર પણ ધીરે-ધીરે ઓછા થઈ શકે છે.
2) નીંબતેલ હળવે હાથે માથામાં ઘસીને સવારે ધોઈ નાખવું. 2-3 માસમાં સફેદ વાળ થતા અટકે છે.
3) આમળાં, કાળા તલ, ભાંગરો (ભૃંગરાજ) અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાઉડર બનાવી રોજ સવાર-સાંજ 1 ચમચી લેવો.
4) 250 ગ્રામ કોપરેલમાં 100 ગ્રામ મેંદીના પાનાં ઉકાળવા. તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવું.
5) રોજ આમળાનું ચૂર્ણ, ભાંગરાનું ચૂર્ણ અને મૂલતાની માટી સરખા ભાગે ભેગા કરીને છાશમાં મિલાવીને વાળમાં નાંખી ચોળીને સ્નાન કરવાથી વાળ કાળા થાય છે.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ



