
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: દેશના સ્ટોક એક્સચેન્જોએ આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગને લગતી માહિતી ખૂબ જ વહેલી પ્રસારિત કરી દીધી છે. મુહૂર્ત ટ્રેડિંગ, દર વર્ષે દિવાળી પર નવા સંવત (હિન્દુ કેલેન્ડર વર્ષ)ની શરૂઆત માટે યોજાતું એક શુભ, પ્રતિકાત્મક એક કલાકનું ખાસ ટ્રેડિંગ સત્ર હોય છે. આ વખતે, તે સંવત ૨૦૮૨ની શુભ શરૂઆત તરીકે ઉજવાશે.
એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે.
આ ઉપરાંત પરિપત્રમાં જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.
દિવાળી એ ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. સામાન્ય રીતે, આ મુહૂર્ત ટ્રેડિંગનો સમયગાળો દિવાળીની મોડી સાંજે હોય છે. જો કે, આ વખતે નવા ફેરફારમાં આ સત્ર બપોરે યોજાશે.
આ પણ વાંચો…એચ-૧બીનો ફટકો, સેન્સેકમાં ગાબડું, આઇટી શેરોમાં કડાકા…