બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા વિશે અપડેટ આવી ગયું…

બર્મિંગમઃ ઇંગ્લૅન્ડ સામે લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ જગતના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (JASPREET BUMRAH) પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી છતાં ભારત અન્ય બોલર્સની એકંદરે અસરહીન બોલિંગ તેમ જ કંગાળ ફીલ્ડિંગને કારણે એ મૅચમાં છેવટે પરાજિત થયું હતું અને થોડા દિવસથી એવી અટકળ ચાલે છે કે બુમરાહ પીઠની અને ખભાની જૂની ઈજાને કારણે (વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે) બીજી ટેસ્ટમાં નહીં રમે. જોકે બુમરાહ વિશે એક અપડેટ (update) આવ્યું છે જે મુજબ તે બીજી ટેસ્ટમાં રમે પણ ખરો.
આ નવી અપડેટ મુજબ બુમરાહના ન રમવા વિશેની અટકળ ખોટી સાબિત થઈ શકે એમ છે. બે દિવસ પહેલાં બુમરાહે બર્મિંગમ (Birmingham)માં પ્રૅક્ટિસ નહોતી કરી એટલે બીજી ટેસ્ટમાં તેના ન રમવા વિશેની અટકળ ફેલાઈ હતી, પરંતુ શનિવારે તેને એજબેસ્ટનના મેદાન પર પ્રૅક્ટિસ કરતો જોયા પછી તેના કેટલાક ચાહકોએ અટકળને ખોટી પાડતી એવી જાણકારી વાઇરલ કરી છે કે બુમરાહ બુધવાર, બીજી જુલાઈએ બર્મિંગમના એજબૅસ્ટનમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમશે.
બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલાં જ કહી દીધું હતું કે તે પાંચેય ટેસ્ટ નહીં રમે અને માત્ર ત્રણ ટેસ્ટ જ રમશે. જોકે તે પાંચમાંથી કઈ ત્રણ ટેસ્ટ રમશે એ વિશે ટીમ મૅનેજમેન્ટ પણ હજી નિર્ણય નથી લઈ શક્યું.
આ પણ વાંચો: સમરસૉલ્ટની સ્ટાઇલમાં સેન્ચુરી સેલિબ્રેટ કરવાની રિષભ પંતની આદત વિશે તેના ડોક્ટરે કહ્યું છે કે…
બુમરાહે આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા-પ્રવાસ દરમ્યાન સિડનીની છેલ્લી ટેસ્ટ દરમ્યાન ઈજા પામ્યો હતો. ત્યાર બાદ માર્ચ-મેની આઇપીએલમાં તે મોડો રમવા આવ્યો હતો.