આઇપીએલમાં હવે વિદેશી ખેલાડીઓનું આવી બન્યું…જાણો શા માટે

નવી દિલ્હી: બીસીસીઆઇ અને આઇપીએલની ટીમોના માલિકો વચ્ચેની મીટિંગ પહેલાં બહુ મોટી વાત બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આઇપીએલની ટીમોના માલિકોએ ભાર દઈને કહ્યું છે કે જે વિદેશી ખેલાડીઓ છેલ્લી ઘડીએ આઇપીએલની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે એવા ખેલાડીઓ સામે બીસીસીઆઇએ કડક પગલાં લેવા જોઈએ.
આવી ચોંકાવનારી રજૂઆત એક કે બે નહીં, પણ મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે એટલે ભારતીય ક્રિકેટ બોર્ડ આ મુદ્દે બહુ જલદી મોટો નિર્ણય જાહેર કરશે એવું મનાય છે.
ઇંગ્લૅન્ડના જેસન રૉય તથા ઍલેક્સ હેલ્ઝ તેમ જ વનિન્દુ હસરંગા સહિત ઘણા ખેલાડીઓ ઘણી વાર ખેલાડીઓ ખરા સમયે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ ચૂક્યા છે. આવું સામાન્ય રીતે હરાજીમાં ધાર્યા કરતાં ઓછા પૈસા મળવાને કારણે બન્યું છે.
આ પણ વાંચો: ફ્રૅન્ચાઇઝીઓના આગ્રહથી હવે આઇપીએલમાં મેગા ઑક્શન દર પાંચ વર્ષે? બીજા મોટા ફેરફાર પણ આવી શકે
ફ્રૅન્ચાઇઝીઓના આ મુદ્દાએ આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલને અને ખાસ કરીને બીસીસીઆઇને વિચારતી કરી દીધી છે. સામાન્ય રીતે ખેલાડીઓ અંગત કારણ બતાવીને અથવા ઈજાનું બહાનું બતાવીને પોતાનું નામ પાછું લઈ લેતા હોય છે. પરિણામે, તેઓ જે ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયેલા હોય એ ફ્રૅન્ચાઇઝીના માલિકો અને ટીમ-મૅનેજમેન્ટ માટે પરેશાની વધી જાય છે.
કેટલાક ખેલાડીઓ મેગા ઑક્શન કરતાં મિની ઑક્શનને વધુ મહત્ત્વ આપતા હોય છે, કારણકે મેગા ઑક્શનને બદલે મિની ઑક્શન તેમને વધુ રકમ અપાવી શકતી હોય છે.
2024ની આઇપીએલની વાત કરીએ તો ડેવિડ વિલી અને જેસન રૉયે નામ પાછું લઈ લીધું હતું.
બીસીસીઆઇ હવેથી મેગા ઑક્શન દર ત્રણને બદલે દર પાંચ વર્ષે રાખવા વિચારે છે.