કોલકાતાની ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વના બે સર્વોચ્ચ ખેલાડીની ગેરહાજરી…

કોલકાતાઃ અહીં બુધવારે (સાતમી જાન્યુઆરીએ) ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ ઓપન ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, પણ એમાં હાલના બે સર્વોચ્ચ ખેલાડીઓની ગેરહાજરી વર્તાશે. ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ (GUKESH) તેમ જ વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (CARLSEN) આ સ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા.
જોકે પીઢ ખેલાડી અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ, અર્જુન એરીગૈસી, આર. પ્રજ્ઞાનાનંદ તથા વિદીત ગુજરાથી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

કાર્લસન રૅપિડ તથા બ્લિટ્ઝ બન્નેમાં વિજેતા થઈ ચૂક્યો છે, પણ આ વખતે તે નથી રમવાનો. ગઈ સીઝનમાં રૅપિડમાં ચૅમ્પિયન બનેલા ઍલેક્સાન્ડ્રા ગૉર્યાચ્કિના તથા બ્લિટ્ઝ વિજેતા કેટરિના લૅગ્નો તેમ જ ખાસ કરીને મહિલાઓની વર્લ્ડ કપ વિજેતા નાગપુરની દિવ્યા દેશમુખ આ વખતે મહિલા વર્ગમાં સ્ટાર અટ્રૅક્શન છે.

ભારતના અર્જુન એરીગૈસીએ તાજેતરમાં દોહાની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રૅપિડ અને બ્લિટ્ઝ બેઉમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધા હતા અને તે કોલકાતાની ઇવેન્ટ જીતવા માટે ફેવરિટ છે.
વિશ્વનાથન આનંદ (ANAND) છ વર્ષે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેણે આ વખતે ભારતીયો સહિતના વિશ્વના કેટલાક ટોચના ખેલાડીઓના પડકાર ઝીલવા પડશે.



