એશિયા કપની ટ્રોફી માટે સુર્યકુમાર યાદવને જવું પડશે ACC ઓફિસ? નકવીએ મુકી નવી શરત

એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ખિતાબ જીત્યો, પરંતુ આ જીતનો આનંદ અધૂરો રહ્યો. ભારતીય ટીમે ટ્રોફી વિના જ જશ્ન મનાવ્યું, કારણ કે તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જ્યો છે, જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની શકે છે.
ભારતે એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો, પરંતુ ટ્રોફી ન મળવાને કારણે ખેલાડીઓએ લગભગ એક કલાક સુધી રાહ જોઈ. ભારતીય ટીમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ મોહસિન નકવી પાસેથી ટ્રોફી નહીં લે, અને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના વાઇસ-ચેરમેન દ્વારા ટ્રોફી આપવામાં આવે તેવી માગણી કરી હતી. જોકે, નકવીએ આ શરત માનવાનો ઇનકાર કર્યો અને ટ્રોફી લઈને પોતાના હોટેલમાં ચાલ્યા ગયા. આ પછી ભારતીય ખેલાડીઓ ટ્રોફી વિના ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા.
ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ મોહસિન નકવીને સ્પષ્ટ શબ્દોમાં ટ્રોફી ભારતને સોંપવાની માગણી કરી. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ 30 સપ્ટેમ્બરે યોજાયેલી ACCની બેઠકમાં આ મુદ્દો ઉગ્ર રીતે ઉઠાવ્યો, પરંતુ નકવીએ તેમની અપીલ ફગાવી દીધી. નકવીનું કહેવું હતું કે ટ્રોફી લેવા માટે ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ACCની ઓફિસે આવવું પડશે. આ વલણે બંને બોર્ડ વચ્ચે તણાવ વધાર્યો છે, અને આ મામલો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સુધી પહોંચી શકે છે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મોહસિન નકવીના વર્તનને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને રમતગમતની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું, “અમે નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ટ્રોફી અને મેડલ લઈને ભાગી જાય. આ શરમજનક છે, અને અમને આશા છે કે ટૂંક સમયમાં ટ્રોફી ભારતને સોંપવામાં આવશે.” BCCIએ એશિયા કપ ટ્રોફી ભારતને આપવાની માગણી યથાવત્ રાખી છે, પરંતુ ACCની બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય ન થયો. હાલમાં ટ્રોફી હજુ પણ નકવી પાસે છે.
આપણ વાંચો: મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજયી આરંભઃ દીપ્તિ શર્મા સુપરસ્ટાર…