હું તેમની તાકાત અને નબળાઈઓથી વાકેફ છું’….કેપ્ટન સૂર્યકુમારના વિચારો થયા વાયરલ
![suryakumar-yadav-reaction-on-becoming-india-t20i-captain](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/suryakumar-yadav-1.webp)
નવી દિલ્હી: નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના શરૂ થયેલા શાસનકાળમાં નિયુક્ત ટી-20ના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયાની નવી જવાબદારી મળતાં જ તેનો થોડા સમય પહેલાંનો એક વીડિયો ફરી વાયરલ થયો છે. એમાં તેણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે વ્યક્ત કરેલા વિચારો ફરી એક વાર ચર્ચાસ્પદ થયા છે.
ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કેપ્ટન હતો. મોટાભાગના લોકોને એવું લાગતું હશે કે રોહિતે ટી-20 ઇન્ટરનેશનલમાંથી હવે નિવૃત્તિ લઈ લીધી હોવાથી હાર્દિકને જ શ્રીલંકા સામે શનિવાર 27મી જુલાઈએ શરૂ થતી ટી-20 સિરીઝમાં ટીમનું સુકાન સોંપવામાં આવશે. જોકે એવું નથી બન્યું અને હાર્દિકની ફિટનેસ સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મજબૂત તથા લાંબા સમયના વિકલ્પ તરીકે સૂર્યકુમારને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે.
હાર્દિકને કેપ્ટન્સી તો નથી સોંપાઈ, તેને વાઇસ-કેપ્ટન પણ નથી બનાવવામાં આવ્યો. તેને બદલે શુભમન ગિલને એ જવાબદારી સોંપાઈ છે. સૂર્યકુમારનો એક જૂનો વીડિયો એક જાણીતી ચેનલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જે વાયરલ થયો છે. ગયા વર્ષે સૂર્યકુમારની કેપ્ટન્સીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 4-1થી ટી-20 સિરીઝ જીતી લીધી હતી અને સાઉથ આફ્રિકા સામેની શ્રેણી 1-1થી ડ્રો કરાવી હતી એ સમયનો આ વીડિયો છે.
એ વીડિયોમાં સૂર્યકુમાર એવું કહી રહ્યો હતો કે, ‘હું આ નવી ભૂમિકાનો ખરેખર આનંદ માણી રહ્યો છું. મારા તમામ સાથી ખેલાડીઓ સાથે હું ભરપૂર આનંદ લઈ રહ્યો છું. અમે બધા ફ્રેન્ચાઇઝી તેમ જ રાજ્ય ક્રિકેટ સ્પર્ધાઓમાં સાથે રમી ચૂક્યા છીએ એટલે મને તેમની તાકાત અને નબળાઈઓ સમજવામાં બહુ તકલીફ નથી પડતી. એ બધાથી હું બહુ સારી રીતે વાકેફ છું.
| Also Read: એ Reddit Post જેને કારણે Hardik Pandya-Natasa Stankovicની ખટપટની વાત જાહેર થઈ…
અમે બધા મેદાનની બહાર પણ સમય એટલો બધો સાથે વિ વિતાવીએ છીએ કે મેદાન પર અમારો સારો તાલમેલ થતા વાર નથી લાગતી. હું હંમેશાં બધી બાબતોને સરળ રાખવામાં જ માનું છું. સાથી ખેલાડીઓને પણ હું કહેતો હોઉં છું કે બધી બાબતોને હંમેશાં સરળ રાખવાનો પ્રયાસ કરો. તમે જેવા હો એવા જ બની રહો, પોતાને અલગ રજૂ કરવાનો પ્રયત્ન ન કરો.’