ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ટેસ્ટ છોડી શ્રેયસ અય્યર અચાનક મુંબઈ પહોંચ્યો! જાણો શું છે કારણ

મુંબઈ: ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ આજે મંગળવારથી લખનઉના એકના સ્ટેડિયમ ખાતે શરુ (IND A vs AUS A unofficial test) થઇ. આ મેચમાં ભારત Aની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરની જગ્યાએ ધ્રુવ જુરેલ કરી રહ્યો છે. અહેવાલ મુજબ શ્રેયસ ઐયર (Shreyas Iyer) છેલ્લી ઘડીઓએ મેચમાંથી હટી ગયો હતો અને મુંબઈ પહોંચી ગયો હતો, જેના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
અહેવાલ મુજબ કોઈ વ્યક્તિગત કારણે તેને તાત્કાલિક મુંબઈ જવાની ફરજ પડી હતી. પહેલી મેચમાં વાઈસ કેપ્ટન રહેલા વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલને બીજી ટેસ્ટમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
શ્રેયસને ફટકો પડ્યો:
સુત્રોના જણાવ્યા મુજબ શ્રેયસે બ્રેક લીધો છે, તેણે BCCIને જાણ કરી છે કે તે ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ચાર દિવસીય મેચમાં નહીં રમી શકે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ટીમની પસંદગી કરવા સિલેક્ટર્સ આજે મળી રહ્યા છે, ત્યારે શ્રેયસનું પગલું મહત્વનું છે.
શ્રેયસ લાંબા સમય બાદ ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં પરત ફરવાની આશા રાખી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયા A સામેની મેચમાથી અચાનક ખસી જતાં, તેને ફટકો પડી શકે છે.
ઓસ્ટ્રેલિયા A સામેની પહેલી અનઓફિશિયલ ટેસ્ટમાં શ્રેયસ ઐય્યરે 13 બોલમાં ફક્ત 8 રન બનાવ્યા. તે ઓસ્ટ્રેલિયન ઓફ-સ્પિનર કોરી રોચીસીઓલીના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. લખનઉમાં જ રમાયેલી આ મેચ ડ્રો રહી હતી.
આ મહિનાની શરૂઆતમાં દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે વેસ્ટ ઝોન માટે શ્રેયાસે 25 અને 12 રનના બનાવ્યા હતા. ઐયરને ટેસ્ટ ટીમમાં સ્થાન મળે છે કે નહીં એ જોવું રહ્યું.
આપણ વાંચો: એશિયા કપઃ સુપર-4માં પાકિસ્તાન માટે ‘કરો યા મરો’ મેચઃ આવતીકાલે શ્રીલંકા સામે ટકરાશે