સદી પૂરી કરવા યશસ્વીને રોહિત શર્માએ આપ્યું હતું પ્રોત્સાહન; સ્ટેન્ડમાંથી કર્યો હતો આવો ઈશારો

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ હાલ લંડનના ઓવલ સ્ટેડીયમમાં રમાઈ રહી છે, આ મેચમાં ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં જણાઈ રહી છે. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે એક શાનદાર સદી ફટકારીને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન (Yashasvi Jaiswal century in Oval Test) આપ્યું. ગઈ કાલે મેચના ત્રીજા દિવસે ઓવલ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા હાજર હતો, યશસ્વી જ્યારે રમી રહ્યો હતો ત્યારે રોહિત સ્ટેન્ડમાંથી તેને પ્રોત્સાહિત કરી રહ્યો હતો.
ગઈ કાલે 23 વર્ષીય યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી અને ઇંગ્લેન્ડ સામે ચોથી સદી ફટકારી. ત્રીજા દિવસની રમાત સમાપ્ત થયા પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યશસ્વીએ કહ્યું કે જ્યારે તે રમી રહ્યો હતો ત્યારે તેણે રોહિત શર્માને સ્ટેન્ડમાં જોયો, ત્યારે રોહિતે તેને રમવાનું ચાલુ રાખવાનો ઈશારો કર્યો.
રોહિતની હાજરીથી આત્મવિશ્વાસ વધ્યો:
યશસ્વીએ કહ્યું કે, “મેં રોહિત ભાઈને જોયા અને તેમણે મને હાય કહ્યું. તેમણે મને રમવાનું ચાલુ રાખવાનો સંકેત આપ્યો, તેમના આ મેસેજથી મારો આત્મવિશ્વાસ વધુ વધ્યો.”
ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં જયસ્વાલના બે કેચ છૂટ્યા હતાં, ત્યાર બાદ તેણે સાંભળીને બેટિંગ કરી. તેણે છગ્ગો ફટકારીને અડધી સદી પૂર્ણ કરી અને પછી શાનદાર સદી ફટકારી.
નોંધનીય છે કે ભરતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિતે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યાર બાદ શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. રોહિતે નિવૃત્તિ જાહેર કર્યા બાદ વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી. હવે રોહિત અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ટીમનો ભાગ નથી. યશસ્વીની વાત પરથી એક સ્પષ્ટ થાય છે કે દિગ્ગજ ખેલાડીની હાજરી ટીમને આત્મવિશ્વાસ અપાવે છે.
આ પણ વાંચો…ભૂતપૂર્વ કૅપ્ટનની ઓવલના સ્ટૅન્ડમાં પધરામણી થઈ…વાતાવરણ ખુશનુમા થઈ ગયું!