રોહિત શર્મા ‘ન્યૂ લૂક'માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લગભગ 70 ટકા જેટલા નિવૃત્ત થઈ ચૂકેલા રોહિત શર્મા (Rohit Sharma)ની ફિટનેસ (FITNESS) પર ઘણા સમયથી ચર્ચા થતી રહેતી હતી અને ફિટ ન હોવા બદલ તેની બાકી રહેલી 30 ટકા કરીઅર પર પણ બહુ જલ્દી પૂર્ણવિરામ મૂકાઈ જશે એવી વાતો થઈ હતી, પરંતુ તેણે સીઍટ (CEAT) અવૉર્ડ સમારોહમાં નવા લૂકમાં આગમન કરીને સૌને ચોંકાવી દીધા હતા.

રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 ઇન્ટરનેશનલમાંથી અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું અને હવે તેની પાસેથી વન-ડે ટીમની કેપ્ટન્સી આંચકી લેવામાં આવી છે એટલે તે ખૂબ ચર્ચામાં છે. 2027નો વન-ડે વર્લ્ડ કપ હજી બે વર્ષ દૂર છે એટલે આવનારા મહિનાઓમાં તે વન-ડે ટીમમાં માત્ર પ્લેયર તરીકે જોવા મળશે કે કેમ એમાં પણ શંકા છે.

જોકે રોહિતે વજન ઘટાડીને અને પોતાની બૉડી મેઇનટેઇન કરવા પર વધુ ધ્યાન આપીને હમણાં તો ટીકાકારોની બોલતી બંધ કરી છે. તેણે ચહેરાનો લૂક પણ થોડો બદલ્યો છે અને તેના હાવભાવ પરથી લાગી રહ્યું છે કે તે ખેલાડીના રૂપમાં વન-ડે કારકિર્દીને 2027ના વિશ્વ કપ સુધી ખેંચી જવા મક્કમ છે.

38 વર્ષના રોહિતે વજન ઘટાડ્યું છે અને તે અગાઉ કરતાં વધુ પ્રભાવશાળી લાગે છે. સીઍટના ફંકશનમાં તે પહોંચ્યો કે તરત શ્રેયસ ઐયર અને સંજુ સૅમસન સાથે વાતે વળગી ગયો હતો.

રોહિત શર્માનું માર્ચ મહિનામાં કેપ્ટન તરીકે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી અપાવવા બદલ આ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…સેહવાગની પત્ની વિશે ઉડી છે એક અફવા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button