સ્પોર્ટસ

સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ ખેલાડી બન્યો…

આઈપીએલના સુપરસ્ટાર બૅટ્સમૅનને પુજારાને હસ્તે મળી ટેસ્ટની કૅપ

લીડ્સઃ ટેસ્ટ-ક્રિકેટ રમવાનું બૅટ્સમૅન સાઇ સુદર્શન (SAI SUDARSHAN)નું વર્ષોનું સપનું હતું જે શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ સાથે પરિપૂર્ણ થયું અને એ ગૌરવપૂર્ણ ટેસ્ટ કૅપ (test cap) તેને પીઢ ક્રિકેટર અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારા (pujara)ના હસ્તે મળી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અહીં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર પાંચ મૅચવાળી સિરીઝની પહેલી ટેસ્ટ શરૂ થઈ એ પહેલાં મેદાન પર આયોજિત ટૂંકી ઇવેન્ટમાં પુજારાએ સુદર્શનને કૅપ સોંપી હતી અને ત્યારે સુદર્શન ભાવુક થઈ ગયો હતો. સુદર્શન ટેસ્ટ-ક્રિકેટ રમનાર ભારતનો 317મો ખેલાડી છે. આ ઇવેન્ટ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં સુદર્શનને બીસીસીઆઇ તરફથી અભિનંદન મળ્યા હતા અને ત્યાર બાદ સુદર્શનને ક્રિકેટરો તેમ જ અનેક ચાહકોના અભિનંદન તથા શુભેચ્છા મળ્યા હતા.

23 વર્ષના સુદર્શને ડોમેસ્ટિક ક્રિકેટમાં અને તાજેતરમાં આઇપીએલમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું જેને પગલે તેને ટેસ્ટ ટીમમાં તરત જ પ્રવેશ મળી ગયો છે. જોકે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બૅટ્સમેનોની નિવૃત્તિને પગલે ટીમમાં સ્થાન ખાલી પડ્યું જ હતું અને એમાં (વનડાઉનમાં) સુદર્શનને ફિટ થઈ જવા મળ્યું છે. સુદર્શને તાજેતરની આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી 15 મૅચમાં 759 રન કર્યા હતા જે તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ હતા. ચેતેશ્વર પુજારા ઍન્ડરસન-તેન્ડુલકર’ ટ્રોફીમાં કૉમેન્ટેટર છે. આ સિરીઝ જીતનાર ટીમના કૅપ્ટનને પટૌડી મેડલ’ આપવામાં આવશે.

આપણ વાંચો : વોશિંગ્ટન સુંદર મારી પ્રેરણા: સાંઈ સુદર્શનનો ટેસ્ટ ડેબ્યૂ પહેલા મોટો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button