ભારત-પાકિસ્તાન મેચથી PCBએ 1000 કરોડ કમાયાઃ સંજય રાઉતનો આરોપ

મુંબઈઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. રાઉતના મતે આ સટ્ટામાંથી 25,000 કરોડ રૂપિયા પાકિસ્તાન પહોંચ્યા છે. રાઉતે દાવો કર્યો હતો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આ મેચથી લગભગ 1,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, ‘આ પૈસાનો ઉપયોગ આપણી વિરુદ્ધ થશે. શું સરકાર અને BCCI આ વાતથી વાકેફ નથી?’
હાથ ન મિલાવવાની ઘટનાને ‘નાટક’ કહ્યું
ભારતે આ મેચ સાત વિકેટથી જીતી હતી, પરંતુ મેચ પછી ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. રાઉતે આ પગલાને પણ નાટક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો, પરંતુ BCCI અને ટીમ મેનેજમેન્ટની સંમતિથી લેવાયેલો નિર્ણય હતો.
રાઉતે વધુમાં કહ્યું કે, ‘જ્યારે દેશમાં આવું વાતાવરણ હોય, ત્યારે પાકિસ્તાનને આર્થિક રીતે ફાયદો થાય તેવી મેચ ન રમવી જોઈએ. આટલું મોટું સટ્ટાબાજીનું રેકેટ સરકારની આંખો ખોલવા માટે પૂરતું હોવું જોઈએ. ભારત-પાકિસ્તાન મેચ હંમેશા લાગણીઓનું કેન્દ્ર રહી છે, પરંતુ આ વખતે મેદાનની બહારના વિવાદોએ વધુ ચર્ચા જગાવી છે.
મેચના આયોજન પર પ્રશ્નો ઊભા થયા
આ હાઇ-વોલ્ટેજ મેચ એવા સમયે રમાઈ હતી જ્યારે ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, મે મહિનામાં, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પ સામે કાર્યવાહી કરી. આવી સ્થિતિમાં ઘણા રાજકીય પક્ષો અને સંગઠનોએ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
‘દેશભક્તિ કરતાં નફાને પ્રાધાન્ય આપ્યું’
આ દરમિયાન, કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું, ‘હું શરૂઆતથી જ કહેતો હતો કે ભારત-પાકિસ્તાન મેચ રમવી જોઈતી નહોતી. બીસીસીઆઈએ આ મેચ યોજવાનો નિર્ણય લીધો તે ખૂબ જ શરમજનક છે. આ પહલગામમાં માર્યા ગયેલા લોકોનું અપમાન છે અને આપણા સૈનિકોનું અપમાન છે. સરકારે સ્પષ્ટપણે દેશભક્તિ કરતાં નફાને વધુ પ્રાધાન્ય આપ્યું છે.’
પ્રિયાંક ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, ‘હવે આ નાટક કરવાની શું જરૂર હતી? હાથ ન મિલાવવાનું આ નાટક કોના માટે છે? કોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે? બધા રાષ્ટ્રવાદીઓ ક્યાં છુપાઈ ગયા છે? જો ભારતીય ટીમના કેપ્ટને રમવાનો ઇનકાર કર્યો હોત, તો હું તેની પ્રશંસા કરત. કમનસીબે, ‘મેન ઇન બ્લુ’ (એટલે કે ભારતીય ટીમ) બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ મજૂરો કરતાં વધુ કંઈ નથી.’
ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ગ્રુપ A માં સુપર-ફોરમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ભારતીય બોલરોએ પહેલા પાકિસ્તાનને ફક્ત 127 રનમાં જ રોકી દીધું અને પછી 15.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીત મેળવી. એશિયા કપ 2025 ના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર આમને-સામને આવી શકે છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે, તો ટાઇટલ મેચમાં પણ ટક્કર શક્ય છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં, આગામી મુકાબલો વધુ રોમાંચક બનવાની શક્યતા છે.
આ પણ વાંચો…ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાકિસ્તાને નોંધાવી ફરિયાદ; જાણો શું છે વિવાદ…