પાકિસ્તાનના હૉકી ખેલાડીઓને કેમ ગમે એમ કરીને ભારત આવવું જ છે?

કરાચીઃ હૉકીનો એશિયા કપ આગામી 27મી ઑગસ્ટથી ભારતના બિહાર રાજ્યના રાજગીરમાં યોજાવાનો છે જેમાં પોતાને રમવા મળે એની તકેદારી રાખવાની અપીલ પાકિસ્તાન હૉકી ફેડરેશને (PHF) હૉકીની રમતનું એશિયામાં સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાને કરી છે. સૌથી મોટું કારણ એ છે કે આ એશિયન સ્પર્ધામાં સારું રમીને પાકિસ્તાની હૉકી (PAKISTAN HOCKEY) ટીમ આવતા વર્ષે નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા હૉકીના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા તત્પર છે.
પાકિસ્તાન ફેડરેશનનો એશિયન સંસ્થા સમક્ષ આગ્રહ છે કે એના ખેલાડીઓને ભારતમાં રમવા માટે વીઝા (VISA) મળે એની તકેદારી રાખજો. જોકે ભારતીય હૉકીની સર્વોચ્ચ સંસ્થા હૉકી ઇન્ડિયાએ જણાવ્યું છે કે ભારત સરકાર પાકિસ્તાનના ખેલાડીઓના વીઝાની બાબતમાં જે નિર્ણય લેશે એને અમે અનુસરીશું. પાકિસ્તાની હૉકી ટીમને ભારત સરકાર મંજૂરી આપે એવી સંભાવના નથી, કારણકે એ પરવાનગી અપાય તો ભારતમાં પ્રચંડ વિરોધ થઈ શકે અને પાકિસ્તાની ખેલાડીઓની સલામતીનો પ્રશ્ન ઊભો થઈ શકે.
બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલામાં હિન્દુ સહેલાણીઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા અને 26 જણની હત્યા કરવામાં આવી હતી. ભારતે બે અઠવાડિયા બાદ પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ છૂપા સ્થાનો પર તેમ જ પછીથી પાકિસ્તાની હવાઈ દળના મથકો અને વિમાનીમથકો પર હુમલો કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
જો પાકિસ્તાની ટીમને ભારતમાં હૉકીનો એશિયા કપ રમવા ન મળે અને એની મૅચો (ક્રિકેટના હાઈબ્રિડ મૉડેલની જેમ) બીજા કોઈ દેશમાં પણ ન રમાય તો એણે વર્લ્ડ કપથી વંચિત રહી જવું પડે.પાકિસ્તાન હૉકી ફેડરેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે ` હૉકીના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા 2026ની સાલમાં પણ કેટલીક ઇવેન્ટ યોજાવાની છે, પણ અમે એશિયા કપમાં સારું પર્ફોર્મ કરીને વહેલાસર ક્વૉલિફાય થઈ જવા માગીએ છીએ.’