નીરજ ચોપરાને સચિન તેંડુલકર જેવો ‘સુપરપાવર’ શા માટે જોઈએ છે?

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ કહ્યું હતું કે તે પડકારનો સામનો ઠંડા મગજથી કરવા માટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર જેવો ‘સુપરપાવર’ ઇચ્છે છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા 27 વર્ષીય ચોપરાએ એમ પણ કહ્યું હતું કે તેના દિગ્ગજ કોચ જાન ઝેલેન્જીએ ભાલા ફેંકતા પહેલા તેને 18 વર્ષના છોકરાની જેમ કોઈપણ તણાવ વિના દોડવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી મેદાનની અંદર અને બહાર તેમને મળેલી શ્રેષ્ઠ સલાહ ચેક કોચ ઝેલેન્જી તરફથી મળી છે, જેમના નામે 98.48 મીટર ભાલા ફેંકવાનો વિશ્વ રેકોર્ડ છે.ચોપરાએ ‘સ્ટાર સ્પોર્ટ્સ’ અને ‘જિયો હોટસ્ટાર’ ને કહ્યું હતું કે “જ્યારે પણ હું ભાલો ફેંકું છું ત્યારે હું ખૂબ જ ઉર્જાવાન રહું છું પરંતુ કોચે મને કહ્યું હતું કે મારે પ્રવાહ સાથે દોડવું પડશે. મારે 18 વર્ષના છોકરાની જેમ કોઈપણ તણાવ વિના દોડવું પડશે. હું ધીમે ધીમે પ્રવાહનો ખ્યાલ સમજી રહ્યો છું.”
તેમણે કહ્યું હતું કે, ”કોઈ પણ રમતમાં પ્રવાહ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે રોજર ફેડરર એટલી ગરીમા અને લય સાથે રમે છે કે ખબર નથી પડતી કે તે આટલી બધી મહેનત કરી રહ્યો છે. હું મારી પ્રેક્ટિસમાં તે આત્મસાત કરવા માંગુ છું.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ભાલા ફેંકવામાં કયા ક્રિકેટરની સુપરપાવરને આત્મસાત કરવા માંગે છે, ત્યારે ચોપરાએ કહ્યું હતું કે, ”સચિન તેંડુલકર. તેમણે આટલા વર્ષો સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું. આટલા મહાન બોલરોના પડકારોનો સામનો કર્યા પછી પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.” તેણે કહ્યું હતું કે, ”હું એ જ સુપરપાવર લેવા માંગુ છું અને એ જ રીતે રમવા માંગુ છું. જેનાથી મને શાંત રહીને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.”
ચોપરાએ મે મહિનામાં દોડા ડાયમંડ લીગમાં 90 મીટરના અંતરને પાર કર્યું હતું. તેણે કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શૉટ શક્તિ અને ટેકનિકની દ્રષ્ટિએ ભાલા ફેંકવા જેવો છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે કયો ક્રિકેટર ભાલા ફેંકી શકે છે ત્યારે તેના જવાબમાં ચોપરાએ કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે બ્રેટ લી ભાલા ફેંકનો ખેલાડી હતો. મને લાગે છે કે તે તેની કારકિર્દીના શિખર પર ભાલા ફેંકી શક્યો હોત.
આપણ વાંચો : ચુરમાના સ્વાદથી ભાવુક થયાં નરેન્દ્ર મોદી: નીરજ ચોપરાની માતાને પત્ર લખી કહ્યું….