માતા હજી આઈસીયુમાં, ગૌતમ ગંભીરનો ઈંગ્લૅન્ડ પાછા જવાનો નિર્ણય

નવી દિલ્હી: ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરના માતાને હાર્ટ અટેક આવ્યા પછી હવે તેમની તબિયત સારી છે એટલે ગંભીરે સોમવારે ઈંગ્લૅન્ડ પાછા જવાનો નિર્ણય લીધો હોવાનું કેટલાક અહેવાલોમાં જાણવા મળ્યું હતું.
ઈંગ્લૅન્ડ સામે ભારતની પાંચ ટેસ્ટની સિરીઝ (Test Series) શુક્રવાર, 20મી જૂને શરૂ થશે અને એ પહેલાં જ ગંભીર (GAUTAM GAMBHIR) ટીમ પાસે પહોંચીને બાકીનું કોચિંગ પૂરું કરવા માગે છે.
ગૌતમ ગંભીરનો ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન ભલભલી હરીફ ટીમ સામે ન ઝૂકવાનો અભિગમ હતો અને વ્યક્તિગત સિદ્ધિ કે તકલીફને નજરઅંદાજ કરીને ટીમ માટેના લક્ષ્યને અગ્રક્રમ આપવાનું વલણ તેણે રાખ્યું હતું.
ગંભીરે પ્લેયર તરીકેના એ દ્રષ્ટાંતને હવે હેડ-કોચ તરીકેની જવાબદારી નિભાવવામાં પણ અપનાવ્યું છે.
ગૌતમ ગંભીરના મમ્મી (mother) સીમા ગંભીર દિલ્હીની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (આયસીયુ)માં છે. જોકે ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમની તબિયત હવે સુધારા પર છે.
ગૌતમ ગંભીર લંડન પહોંચીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળશે અને ત્યાર પછી તેઓ બધા હેડિંગ્લી જવા રવાના થશે જ્યાં લીડ્સ ખાતે ૨૦મી જૂને પ્રથમ ટેસ્ટ શરૂ થશે.
આ પણ વાંચો - ઇંગ્લૅન્ડમાં ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મળશે આ દિગ્ગજનું કોચિંગ
11મી જૂને ગંભીરના મમ્મીને હૃદય રોગનો હુમલો (heart attack) આવ્યો હતો અને એની જાણ થતાં જ ગંભીર તરત ભારત પાછો આવ્યો હતો. તેની ગેરહાજરીમાં સહાયક કોચ રાયન ટેન ડૉચેટ, મોર્ની મોર્કલ અને સિતાંશુ કોટકે ટીમને કોચિંગ આપવાની જવાબદારી સંભાળી લીધી હતી. જોકે રવિવારે એક અહેવાલ એવો મળ્યો હતો કે બીસીસીઆઈએ એનસીએના ચીફ વીવીએસ લક્ષ્મણને ઇંગ્લૅન્ડમાં ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું કહ્યું હતું.